પરંપરાગત હંિદી ફિલ્મોમાં ફોર્મ્યુલાનો ભારે મહીમા છે. સફળતાની ફોર્મ્યુલાની તલાશ તો ફિલ્મઉદ્યોગ શરૂ થયો ત્યારની ચાલી રહી છે. વચ્ચે વચ્ચે એવા મુકામ આવે છે જ્યારે એવું લાગે કે બસ, કેવી ફિલ્મો બોક્સઓફિસ પર ચાલશે તેની ચાવી મળી ગઇ છે. પરંતુ એક પ્રકારની સફળ ફિલ્મને ફોર્મ્યુલા ગણીને તેની પરથી અઢળક અને મોટે ભાગે આડેધડ ફિલ્મો બનવા માંડે ત્યારે ‘સફળતાની ફોર્મ્યુલા’નો રંગ ઉતરી જાય છે અને ચમક ઓસરી જાય છે.
ફિલ્મની કથા કે તેની સાથે સંકળાયેલાં આઇટેમ સોંગ જેવાં તત્ત્વો વખતોવખત સફળતાની ખાતરી જેવાં ગણાતાં રહ્યાં છે. છેલ્લા દાયકામાં- ખાસ કરીને છેલ્લાં થોડાં વર્ષોમાં- મલ્ટીપ્લેક્સની બોલબાલા અને એક સાથે અસંખ્ય પ્રિન્ટ રિલીઝ કરીને થોડા દિવસમાં રોકડી કરી લેવાની રીતને કારણે હવે કેવળ ફોર્મ્યુલાબદ્ધ ફિલ્મોને બદલે અવનવી અને અજબગજબની કથાઓ ધરાવતી ફિલ્મો આવે છે. તેના કારણે બીબાંઢાળ કથાઓનો પ્રભાવ ઘટ્યો છે. પરંતુ અવનવી કથાઓમાં પણ કેટલાંક પાત્રો અને ચરિત્રો એટલાં જ ચોકઠાબદ્ધ રહ્યાં છે, જેટલાં તે વીસ-ત્રીસ-ચાળીસ વર્ષ પહેલાં હતાં. ફિલ્મો સમાજનું પ્રતિબંિબ છે કે સમાજમાં ફિલ્મોનું પ્રતિબંિબ પડે છે, એવી ‘પહેલી મરઘી કે પહેલું ઇંડું’ પ્રકારની ચર્ચામાં ઉતરવાની જરૂર નથી. એના બદલે બન્ને બાબતો પોતપોતાની જગ્યાએ કામ કરી શકે છે, તે સ્વીકાર્યા પછી તેની મર્યાદાઓ પણ અંકે કરવી પડે.
જેમ કે, ફિલ્મોમાં આવતાં વિવિધ સામાજિક સમુદાયનાં ચિત્રણ. ગંભીર પ્રકારના સમાજશાસ્ત્રીય અભ્યાસનો વિષય બની શકે એવો આ મુદ્દો પહેલી નજરે લાગે એટલો હળવો નથી. સાઠ-સિત્તેર-એંસીના દાયકાની ફિલ્મોમાં ખલનાયિકા (વેમ્પ) અથવા ‘આઇટેમ સોંગ’ કરનાર અભિનેત્રીઓનાં ફિલ્મી નામ ખ્રિસ્તી શા માટે રાખવામાં આવતાં હતાં? એવો સવાલ કેટલાક ફિલ્મપ્રેમીઓને થઇ શકે છે. તેમાં જુલીથી માંડીને મોનિકા સુધીનો વ્યાપ આવરી શકાય. એવી જ રીતે ગોવાની સંસ્કૃતિ એટલે શું? સરેરાશ હંિદી ફિલ્મોમાં ગોવાનું ચિત્રણ જોઇને એવું લાગે, જાણે ગોવાના લોકોને અડધાં કપડાં પહેરીને, દારૂ પીતાં પીતાં, એકોર્ડિયન વગાડતાં વગાડતાં દરિયાકિનારે પ્રેમ કરવા સિવાય બીજું કોઇ કામ જ નહીં હોય. રાજ કપૂર જેવા નિર્દેશકો હીરોઇનના દેહના મહત્તમ પ્રદર્શન માટે સગવડપૂર્વક કથામાં ગોવાના સમાજની કે આદિવાસી સમાજની વાત રાખી શકે. એટલું જ નહીં, તેને ‘સંસ્કૃતિના ચિત્રણ’ તરીકે ખપાવીને સેન્સર બોર્ડને પણ ઊંઠાં ભણાવી શકે.
ફિલ્મોમાં આવતા પારસી એટલે એકદમ સોજ્જા-મજેના, કાલુંઘેલું ગુજરાતી બોલતા, વિન્ટેજ મોટરકાર ધરાવતા, હાસ્યપ્રેરકને બદલે હાસ્યાસ્પદ બનતા લોકો. પરંતુ વાસ્તવિક જીવનમાં પારસીઓના નિકટ પરિચયમાં આવવાનું થાય અને તેમની બોલીની મીઠાશથી મોહાયા વિના કે મોહાઇ ગયા પછી તેમના માનવીય ગુણ-અવગુણનો પરિચય મળે ત્યારે વધારે સ્પષ્ટતાથી સમજાય કે બીજા સમુદાયોની જેમ પારસીઓની ફિલ્મી છાપ વાસ્તવિકતા કરતાં કેટલી જુદી છે. પારસીઓમાં પણ સારા અને ખરાબ, સજ્જન અને દુષ્ટ ચરિત્રો એટલા જ પ્રમાણમાં હોય છે. કદાચ તેમની સંખ્યા ઓછી હોવાને કારણે અને બિનપારસીઓનો પારસી-સંપર્ક અમુક પાત્રો પૂરતો મર્યાદિત હોવાને કારણે ફિલ્મી છાપ ટકી રહે છે અને આગળ વધે છે.
ફિલ્મો તેમ જ ટીવી સિરીયલોમાં આવતા ગુજરાતીઓને જોઇને એવું લાગે કે ઢોકળાં ગુજરાતનો ‘રાષ્ટ્રિય ખોરાક’ છે અને ગુજરાતીઓ મોંઘીદાટ સાડીઓ પહેરવા સિવાય અને બોલચાલમાં શુદ્ધ હંિદીની કત્લેઆમ કરવા સિવાય બીજું કોઇ કામ કરતા નથી. ફિલ્મી પંજાબીઓેને જોઇને કોઇને પણ એવું ધારી લેવાનું મન થાય કે એ કાયમ બે હાથ ઊંચા કરીને બલ્લે બલ્લે કરતા હશે અને ‘મદ્રાસી’ એટલે કે ભારતના નકશામાં મુંબઇથી નીચેના પ્રદેશોમાં- દક્ષિણ ભારતમાં વસતા લોકો ‘ઐયૈયો’ બોલીને જીવન વીતાવતા હશે. આ બધાં બીબાં કોઇ સમયે પાત્રાલેખન તરીકે ફિલ્મી કથા-પટકથાલેખકોનાં ફળદ્રુપ દિમાગની સર્જકતાની નીપજ હશે, પરંતુ તેમના ભયાનક હદે થયેલા પુનરાવર્તનને કારણે તેમની હાલત બધો રસ ગુમાવી ચૂકેલા શેરડીના કૂચા જેવી થઇ ચૂકી છે. તેમાંથી રસ નહીં, કેવળ કચરો જ નીકળે. |
|