| Last Update : 20-Jan-2012,Friday |
|
|
| |
|
|
|
|
વિસનગર તાલુકાના ગણેશપુરા-કાંસા માર્ગ પર
કાર વાંઘામાં ખાબકતાં ચાર મોત |
|
| |
ડ્રાઇવરે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતાં લગ્ન પ્રસંગમાં જઇ રહેલા પરિવારને નડેલો જીવલેણ અકસ્માત
અમદાવાદ, તા. ૧૯
મહેસાણા જિલ્લાના વિસનગર પોલીસ મથકની હદના ગણેશપુરા-કાંસાના ધોરીમાર્ગ ઉપર આજે સવારે સાડા અગિયારેક વાગ્યાના સુમારે ગમખ્વાર વાહન અકસ્માતના બનાવમાં ચાર વ્યક્તિના ઘટનાસ્થળ ઉપર જ મોત નિપજયા હતા. તેમજ અન્ય કેટલીક વ્યક્તિઓને ઇજાઓ થવા પામી હતી.
વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં રહેતા પટેલ પરિવારના સભ્યો ટોયેટો ફોર્ચ્યુન કાર દ્વારા વિસનગર ખાતેના આસોપાલવ પાર્ટી પ્લોટમાં તેમના સ્વજનની પુત્રીના લગ્ન પ્રસંગે યોજાયેલ સમારોહમાં ભાગ લેવા આવી રહ્યા હતા ત્યારે આ જીવલેણ અકસ્માત સર્જાયો હતો. જેના પરિણામો લગ્ન પ્રસંગની ખુશાલીના સ્થાને રડારોળ મચી જતાં માતમ છવાઈ ગયો હતો.
વિસનગર પોલીસના જણાવ્યા અનુસાર આ ગમખ્વાર અકસ્માતમાં બે મહિલા સહિત ચાર વ્યક્તિના ઘટનાસ્થળે જ મોત નિપજયા હતા. જેમાં (૧) વડોદરા શહેરના કારેલી બાગના ફાલ્ગુનીબેન નીતીનભાઈ પટેલ (ઉ.વ.૩૬) તથા (૨) સંગીતાબેન ચેતનભાઈ પટેલ (ઉ.વ.૩૨), (૩) વિસનગર તાલુકાના મૂળ ભાંડુ ગામના વતની અને હાલ મુંબઈમાં રહેતા પટેલ દિનેશભાઈ અમૃતલાલ તથા (૪) વિસનગર તાલુકાના સંડેર ગામના મૂળ વતની અને હાલ અમદાવાદ શહેરમાં રહેતા પટેલ પ્રવીણભાઈ નારણભાઈ (ઉ.વ.૪૮)નો સમાવેશ થતો હતો.
ગમખ્વાર અકસ્માતની જાણ થતાં ઘટનાસ્થળે આવી પહોંચેલી વિસનગર પોલીસને પ્રાથમિક તપાસમાં વધુમાં જાણવા મળ્યું હતું કે - વિસનગરના આસોપાલવ પાર્ટીપ્લોટમાં આજરોજ અશોકભાઈ પટેલની પુત્રીઓ લગ્ન સમારોહ યોજાયો હતો. જેમાં ઉપસ્થિત રહેવા ઉપરોક્ત સ્વજનો ટોયેટો ફોર્ચ્યુન કાર દ્વારા વિસનગર આવવા નીકળ્યા હતાં.
ગણેશપુરા તથા કાંસા ગામના સાંકડા ધોરીમાર્ગ ઉપરના વળાંક પાસેથી કાર પસાર થઈ ગઈ હતી ત્યારે તેના ચાલકે સ્ટીયરીંગ ઉપરનો એકાએક કાબૂ ગુમાવી દીધો હતો. આ સાથે જ મોટરકાર પાણીથી ભરેલા વોકળામાં ખાબકી હતી. જેના પરિણામે ઉપરોક્ત ચાર વ્યક્તિના મોત નિપજ્યા હતાં.
આ બનાવ અંગે વિસનગરના પટેલ પ્રવીણભાઈ ગણેશદાસની ફરિયાદના આધારે વિસનગર પોલીસે કારના ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.
|
|
|
|
|
|
|
|
|
|
|
|
| |
|
|
|
|
Gujarat Samachar © 2012 All Rights Reserved |
|
|