પાકિસ્તાન માટે આ બઘું નવું નથી. ચૂંટાયેલી સરકારના નેતાઓના ભ્રષ્ટાચાર, તેમની ઢીલાશ અને તેમનાં નબળાં શક્તિપ્રદર્શન, સૈન્યના જનરલોની અસલી તાકાત, રાજકીય નેતાગીરીને નચાવવાની તેમની શક્તિ, આ બધા વચ્ચે ખેંચતાણને કારણે સર્જાતું સસ્પેન્સ, લશ્કરી બળવાનાં ઘેરાતાં વાદળ, અમેરિકાની સંદેહાસ્પદ ભૂમિકા, બીજા રાજકીય પક્ષોની સત્તા હાંસલ કરવાની તત્પરતા, એકંદરે એક એવું નાટક જેને ક્રૂર - અને અંગ્રેજીમાં ક્રુડ (ભદ્દું)- ફારસ કહી શકાય.
પાકિસ્તાનના પ્રમુખ આસિફઅલી ઝરદારી લશ્કરી બળવાની ભારે હવા વચ્ચે અચાનક દુબઇ ઉપડી ગયા તેનાથી અફવાએ વેગ પકડ્યો. ઝરદારી પાકિસ્તાન પાછા આવશે કે પોતાની ખેરિયત ખાતર દુબઇ રહી જશે એવી અટકળો થવા લાગી. શુક્રવારે ઝરદારીની વાપસી પછી એમના પૂરતો અફવાનો અંત આવ્યો, પણ ‘હવે શું થશે?’ની અનિશ્ચિતતા જરાય ઓછી થઇ નથી. છેલ્લા એકાદ દાયકામાં પહેલી વાર પાકિસ્તાનની રાજકીય નેતાગીરી અને લશ્કરી નેતાગીરી વચ્ચે મોટા પાયે સંઘર્ષની સ્થિતિ પેદા થઇ છે. સામાન્ય રીતે એવું એટલા માટે બનતું નથી કારણ કે પાકિસ્તાનમાં ચૂંટાયેલી સરકાર નામ પૂરતી હોય છે અને અસલી સત્તા લશ્કરી વડાના હાથમાં હોય છે એ સૌ જાણે છે. સંરક્ષણ અને વિદેશનીતિ જેવી મહત્ત્વની બાબતોના નિર્ણયો નાગરિકોના મતથી ચૂંટાયેલી સરકાર નહીં, પણ સૈન્યના વડા લે છે.
પાકિસ્તાનના માથે ઘેરાનારી આફતનાં એંધાણ તેની ધરતી પર કમાન્ડો ઓપરેશન કરીને અમેરિકાએ ઓસામાને ખતમ કર્યો એ સાથે જ આવી ગયાં હતાં. પરંતુ પાકિસ્તાનની સરકારે પોતાના લશ્કરના વધતા પ્રભાવને ખાળવા માટે અમેરિકાની મદદ માગી હતી એવું સૂચવતો નામ વગરનો એક મેમો જાહેર થતાં તોફાન મચ્યું. પાકિસ્તાની સૈન્યને એ મેમો અવિશ્વાસની દરખાસ્ત જેવો લાગ્યો. લશ્કરને નારાજ કરીને દેશ પર રાજ કરવાનું પાકિસ્તાનમાં આઝાદીનાં ૬૫ વર્ષ પછી પણ શક્ય બન્યું નથી. એટલે સરકારી રાહે અમેરિકામાં પાકિસ્તાનના રાજદૂતનો ભોગ લેવાયા પછી પણ ‘મેમોગેટ’ના નામે જાણીતો બનેલો વિવાદ ટાઢો પડ્યો નહીં.
‘મેમોગેટ’ના મુદ્દે ‘ગેરબંધારણીય અને ગેરકાયદે’ રીતે વર્તવાનો આરોપ વડાપ્રધાન ગિલાનીએ લશ્કરી વડા કયાની અને આઇ.એસ.આઇ.ના વડા શુજા પાશા પર મૂક્યો. તેમણે વળતો પ્રહાર કરતાં કહ્યું કે વડાપ્રધાનના આ નિવેદનના દેશ માટે ઘેરા પ્રત્યાઘાત પડી શકે છે. બીજા દિવસે પાકિસ્તાની સર્વોચ્ચ અદાલતે સરકારનો વારો કાઢ્યો અને અદાલતની અવમાનના બદલ છ મુદ્દાનું ગંભીર આરોપનામું સરકાર સામે મૂક્યું. એ જ દિવસે લશ્કરી બળવામાં સક્રિય ભૂમિકા માટે કુખ્યાત ગણાતી પાકિસ્તાની સૈન્યની ૧૧૧મી બ્રિગેડના કમાન્ડમાં પરિવર્તન કરવામાં આવતાં, બળવાની સંભાવનાઓ બળવત્તર બની. વડાપ્રધાન ગીલાનીએ પોતાનો મિજાજ દાખવતાં, લશ્કરના વફાદાર ગણાતા સંરક્ષણ સચિવને પાણીચું પકડાવી દીઘું. તેમની સામે વડાપ્રધાને પાડેલો વાંધો એવો હતો કે મેમોગેટના મુદ્દે તેમણે સંરક્ષણ મંત્રાલય અને કાનૂન મંત્રાલયને બાજુએ રાખીને પરબારો સર્વોચ્ચ અદાલતમાં જવાબ આપી દીધો.
સૈન્ય અને સર્વોચ્ચ અદાલતે મોરચા ખોલ્યા હોય, પછી વિરોધ પક્ષ બાકી રહે? સરકારે પોતાની સ્થિતિ મજબૂત બનાવવા માટે સંસદમાં વિશ્વાસની દરખાસ્ત માટે વિચારણા કરી ત્યારે વિપક્ષો અવિશ્વાસની દરખાસ્તના વિકલ્પ અંગે વિચારવા લાગ્યા. વડાપ્રધાનપદની હરીફાઇમાં સક્રિય ઉમેદવાર ગણાતા ઇમરાનખાને સરકારની કડક ટીકા કરીને વહેલી ચૂંટણી યોજવાની માગણી કરી. સાથોસાથ, પોતે લશ્કરી બળવાની તરફેણમાં નથી એવી ચોખવટ પણ કરી.
દરમિયાન લશ્કર અને સરકાર વચ્ચે જાણે સમાધાનનો ખેલ પડી ગયો હોય એમ બન્ને પક્ષે એકબીજા સામે ભેરવેલાં શીંગડાં પાછાં કાઢ્યાં અને પોતે લીધેલાં પગલાં પૂર્વયોજિત હતાં એવી જાહેરાતો કરી. એ પ્રમાણે ૧૧૧મી બ્રિગેડના કમાન્ડમાં થયેલો ફેરફાર રાબેતા મુજબનો હોવાનું સૈન્ય તરફથી જાહેર કરવામાં આવ્યું. વડાપ્રધાન ગીલાનીએ જાહેર કર્યું કે કયાનીનું ‘ઘેરા પ્રત્યાઘાત’વાળું નિવેદન તેમની (વડાપ્રધાનની) મંજૂરી પછી જ પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું.
પાકિસ્તાનમાં ચાલી રહેલા ઉંદરબિલાડીના ખેલનો અંજામ કલ્પવો અઘરો છે. આ રમતમાં સોમવારનો દિવસ મહત્ત્વનો બની રહે એમ છે. કારણ કે એ દિવસે સર્વોચ્ચ અદાલતમાં સાત ન્યાયાધીશોની બનેલી બેન્ચ પાકિસ્તાની સરકાર સામેના છ ગંભીર આરોપો પર સુનાવણી હાથ ધરશે. એ આરોપો પુરવાર થાય તો વડાપ્રધાનને ઘરભેગા થવાનો વારો આવે. તેમની સાથે બીજા થોડા મંત્રીઓ-અફસરોને પણ હોદ્દા છોડવા પડે. મુખ્ય આરોપો સર્વોચ્ચ અદાલતના આદેશોની અવગણનાના છે. તેની ગંભીરતા જોતાં અને વર્તમાન સંકટને ટાળવા સરકાર મઘ્યસત્ર ચૂંટણી જાહેર કરે, તો અત્યારની અનિશ્ચિતતાનું સઘળું જોર ચૂંટણીની તૈયારીઓની દિશામાં ફંટાઇ જાય એવું પણ બને. |
|