| Last Update : 17-Jan-2012, Tuesday |
|
|
| |
|
|
|
|
મૃત વિધવાઓના ટુકડા કરી કોથળામાં ભરી નિકાલ થાય છે |
- પૈસા ઉઘરાવી સફાઈ કામદારને અપાય છે, કોઈ સંસ્થા જવાબદારી લેતી નથી
|
વૃંદાવન અને તેની આસપાસમાં રહેતી વિધવાઓ દારૂણ પરિસ્થિતિમાં જીવે છે પરંતુ મૃત્યુ પછી તો તેમની અંતિમવિધિ ખુબ શરમજનક રીતે થાય છે. અખબારી અહેવાલોના આધારે થયેલી તપાસમાં બહાર આવ્યું છે કે કોઈ આશ્રમ અંતિમવિધિની જવાબદારી સ્વીકારતી નથી એટલે આશ્રમની બાકીની મહિલાઓ સફાઈ કામદારને પૈસા આપીને બોલાવે છે. જે રાત્રે આવી મૃતદેહના ટુકડા કરીને તેને એક કોથળામાં ભરીને નિકાલ કરી દે છે.
‘હિન્દુ’ અખબારમાં પ્રગટ થયેલી આ સ્ટોરી કાળજું કંપાવી દે એવી છે.
ઉત્તર પ્રદેશના મથુરા જિલ્લામાં આવેલા વૃંદાવન અને તેની આસપાસના વિસ્તારોમાં રહેતી વિધવાઓની હાલત અંગે ડીસ્ટ્રીક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીએ કરેલા સર્વેમાં ઉપરોક્ત ચોંકાવનારી માહિતી મળી હતી. વિધવાઓની દશા અંગે અગાઉ છપાયેલા અહેવાલોના આધારે ઉત્તરપ્રદેશના ન્યાયમૂર્તિ અલ્તમેશ કબીરે નેશનલ લીગલ સર્વિસ ઓથોરીટીએ રાજ્યની લીગલ સર્વિસ ઓથોરીટીને સર્વે કરવાનો આદેશ આપ્યો હતો.
સ્ટેટ લીગલ સર્વિસને એવો પણ આદેશ આપવામાં આવ્યો હતો કે કેવા કારણોસર આ મહિલાઓને તરછોડી દેવાઈ છે તેની પણ તપાસ કરી તેમના કુટુંબીજનો અને સંતાનો સામે પગલાં લો. કેમકે મેન્ટેનન્સ એન્ડ વેલફેર ઓફ પેરેન્ટસ એન્ડ સીનીયર સીટીઝન એક્ટ, ૨૦૦૭ની કલમ ૨૪ હેઠળ કુટુંબીઓ પર પગલાં લઈ શકાય છે. આવી મહિલાઓની મિલકતો અને મિલકતના હકનું રક્ષણ કરવા પણ સત્તાવાળાઓએ પ્રયાસ કરવા જોઈએ એમ પણ લીગલ સર્વિસના રીપોર્ટમાં જણાવાયું છે. આવી મહિલાઓમાં તેમના હક અંગેની જાગૃતિ ઉભી થાય એટલે લીગલ એડ ક્લીનીક પણ ઉભા કરવા તેમજ તે બાબતે સહાય કરવા આદેશ અપાયા છે.
ડીસ્ટ્રીક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીએ તેમના રીપોર્ટમાં ચૈતન્ય વિહાર (વૃંદાવન)ના સ્વધાર મહિલા આશ્રમમાં રહેતી વિધવા મિથિલેશ સોલંકીને ટાંકીને જણાવ્યું છે કે સફાઈ કામદારો રાત્રે મૃતદેહને કાપીને કોથળામાં ભરીને તેનો નિકાલ કરી દે છે.
મહિલા અને ચાઈલ્ડ ડેવલોપમેન્ટના કેન્દ્રીય મંત્રાલયે ૨૦૦૬માં શરૂ કરેલા નોન ગવર્નમેન્ટ સંસ્થા અખિલ ભારતીય મા શારદા સમાજ કલ્યાણ સમિતિ વિધવા મહિલાઓની સ્મશાનવિધિની જવાબદારી નથી લેતી. રાજ્ય સરકાર દ્વારા ચાલતી આવી એક માત્ર સંસ્થાનું નામ મીરા સહભગીની સ્કીમ પણ અંતિમવિધિની જવાબદારી નથી ઉઠાવતી.
આખો અહેવાલ મથુરાના ડિસ્ટ્રીક્ટ જજ સાથે રહીને વિધવાઓ સાથે કરાયેલી વાતચીત બાદ તૈયાર કરાયો છે. અહેવાલમાં દર્શાવાયું છે કે વૃંદાવન અને તેની આસપાસના વિસ્તારોમાં ૩,૧૫૧ જેટલી વિધવાઓ રહે છે. મોટાભાગની મહિલાઓ પશ્ચિમ બંગાળની છે અને વિધવા તરીકેની નર્કસમાન જીંદગી તરફ તેમનું કુટુંબ તેમને ધકેલી દે છે.
કેટલાંક કેસોમાં તો યુવાન વયે વિધવા થતી મહિલાઓને ફરી લગ્ન કરવા દેવામાં નથી આવતા અને તેનું કુટુંબ તેને તરછોડી દે છે. કેમકે તે આવક નહીં લાવતી હોવાથી મોટી ઉંમરે તેની જવાબદારી સ્વિકારવા કોઈ તૈયાર નથી હોતું.
કેટલીક મહિલાઓને રૂા. ૩૦૦ માસિક પેન્સન મળે છે. જેનાથી તે પેટ ભરી શકતી નથી એટલે ફરજીયાતપણે યાત્રિકો પાસે ભીખ માગીને જીવનનું ગુજરાન ચલાવે છે.
આવી વિધવાઓ જે સંસ્થાઓમાં રહે છે (પડી રહે છે) ત્યાં ટોયલેટ કે પીવાના પાણીની વ્યવસ્થા પણ નથી હોતી. અહીં અપાતી મેડીકલ સવલતો પણ કાગળ ઉપર જ હોય છે. આવી મહિલાઓને નેશનલ સોશ્યલ આસિસ્ટન્ટ પ્રોગ્રામ, અંત્યોદય સ્કીમ કે ફૂડ મની સ્કીમ મારફતે સહાય મળે છે પરંતુ તે વચ્ચેથી જ ચાંઉ થઈ જાય છે.
દેશમાં વિકાસ અને આર્થિક સઘ્ધરતા મેળવવા પ્રયાસ થઈ રહ્યા છે ત્યારે સિક્કાની બીજી બાજુ સમાન આ કરૂણગાથા છે. રૂઢિચુસ્ત કુટુંબોમાં પતિના મૃત્યુ પછી તેની પત્નિ વિધવા અને નિઃસહાય બની જાય છે. તેનું કુટુંબ તેને તરછોડી દે છે. પેટ ભરવા તે વૃંદાવનના આશ્રય સ્થાનોમાં બાકીનું જીવન વિતાવે છે. તેમને મહિને રૂા. ૩૦૦ મળે છે. જેનાથી પેટ ભરી શકાય નહીં એટલે તેને બહાર યાત્રિકો પાસે માગવા જવું પડે છે કે ભજનોમાં બેસવું પડે છે. જ્યાં તેને રોજના માંડ ત્રણ રૂપિયા મળે છે. આમ માંડ-માંડ ગાડું ગબડાવતી વિધવાઓ જ્યારે મૃત્યુ પામે છે ત્યારે જીવતાં કરતાં પણ વઘુ કરૂણ દશા થાય છે. સંસ્થાની બાકીની મહિલાઓ પૈસા આપીને સફાઈ કામદારને વિનંતી કરે છે. જે મૃતદેહના ટુકડા કરીને કોથળામાં ભરીને તેનો નિકાલ કરી દે છે.
વિધવાઓ અહીં વઘુ સારી રીતે જીવી શકે અને તેવા આશ્રય સ્થાનોને મળતા ફંડનું યોગ્ય રીતે ઓડીટ થાય તે પણ જરૂરી છે. |
|
|
|
|
|
|
|
| |
|
|
|
|
Gujarat Samachar © 2012 All Rights Reserved |
|
|