મહારાષ્ટ્ર રાજ્યના વિદર્ભમાં આવેલા આકોલા જિલ્લાના આકોટ ગામના એક ખેતરમાં સવારના પહોરમાં હાહાકાર મચી ગયો હતો. ખેતરના એક વૃક્ષ પર સુભાષ ખરોડે નામનો ખેડૂત ગળે ફાંસો ખાધેલી અવસ્થામાં લટકી રહ્યો હતો. આ કિસાને માથે ચડેલા કરજને કારણે આત્મહત્યા કરી લીધી હતી. પોતાનો જીવ કાઢવાથી પહેલા તેણે ૫૦ રૃપિયાના સ્ટેમ્પ પેપર પર સ્યુસાઈડ નોટ લખી હતી, ''સરકારની અસ્થિર નીતિને કારણે મને મારા પાકની ખરી કિંમત નથી મળતી. હું એકદમ હતાશ થઈ ગયો હોવાથી આત્મહત્યા કરી રહ્યો છું. આવી જ અન્ય એક નોેંધ મેં જિલ્લા કલેક્ટરને લખી છે. અને તે મારા ગજવામાં મુકી છે.'' પરંતુ વિડંબણા એ છે કે ખરોડેની આત્મહત્યાના કિસ્સામાં ૫૦ રૃપિયાના સ્ટેમ્પ પેપરથી પણ કાંઈ ન વળ્યું. આનું કારણ એ છે કે પોલીસે મરણોત્તર તપાસ પછી લખેલી કાનૂની નોંધમાં તેની આત્મહત્યાને 'અકસ્માત મૃત્યુ' ગણાવી હતી.
અહીંનો એક સામાજિક કાર્યકર કિશોર તિવારી કહે છે કે રાજ્ય સરકાર અને પોલીસ દ્વારા અપનાવવામાં આવેલી આ નવી ચતુરાઈ (છટકબારી) છે. કિસાનો દ્વારા કરવામાં આવતી આત્મહત્યાની સંખ્યાને ઓછી બતાવવા માટે. જે કેસમાં આત્મહત્યાની નોંધ કરવામાં આવે છે તે કેસમાં પણ કેટલાંક એવા છીંડા છોડી દેવામાં આવે છે કે મૃતકના પરિવારજનોને જ તે કિસાનની આત્મહત્યા બદલ મળતું એક લાખ રૃપિયાનું વળતર ન મળી શકે.
વિદર્ભમાં દર અઠવાડિયે ડઝનબંધ ખેડૂતો આત્મહત્યા કરે છે. આ પ્રદેશમાં સપ્ટેમ્બર મહિના સુધીમાં ૬૫૪ ખેડૂતોએ પોતાના જીવ આપી દીધાં છે. આનો સીધો અર્થ એ થાય છે કે વિદર્ભમાં દર ૧૩ કલાકે એક કિસાન મોતને વહાલું કરે છે. આકોલાનો એક એક્વિવિસ્ટ અને પત્રકાર પ્રકાશ પોહારે કહે છે કે આ તો સત્તાવાર આંકડો છે. પોલીસે જે મૃત્યુને આત્મહત્યા તરીકે નથી નોંધ્યા તેની સંખ્યા ૨૫૦ થી ૩૦૦ જેટલી છે. ખરોડેએ આત્મહત્યા કરી પછી તેના મૃત્યુને 'અકસ્માત મૃત્યુ' તરીકે નોેંધવામાં આવતા પ્રકાશે પોેલીસ થાણા સુધી વિરોધદર્શક રેલી કાઢી હતી. પરંતુ રેલીના નારા બહેરા કાને અથડાયા. તે કહે છે કે બધાને ખબર છે કે કિસાનો આત્મહત્યા શા માટે કરે છે. પાક ન થતાં અથવા પાકની પૂરતી કિંમત ન મળતાં ખેડૂતોના માથે દેવું ચડી જાય છે, પરિણામે તેઓ મોતને વહાલું કરે છે. પરંતુ અહીં પ્રશ્ન એ છે કે સરકાર પાકના મૂલ્યો સ્થિર કેમ નથી કરતી? આનો એક જ જવાબ છે, સરકારની ભૂલભરેલી અને અસ્થિર નીતિ.
ગયા વર્ષના સપ્ટેમ્બર માસમાં સંગીતા પંચલેન્વરના પતિ નીલેશે જંતુનાશક દવા પીને આત્મહત્યા કરી લીધી. તેના માથે સેન્ટ્રલ બેંકનું ૪૦,૦૦૦ રૃપિયાનું કરજ હતું અને અતિવૃષ્ટિને કારણે તેનો પાક નાશ પામવાથી તેને ભારે નુકસાની થઈ હતી. સંગીતા કહે છે કે મારા પતિના મૃત્યુને એક વર્ષ થઈ ગયું છે. પરંતુ મન ેહજી સુધી વળતર પેટે કાણી કોડીય નથી મળી. પોલીસે મરણોેત્તર નોંધમાં શું લખ્યું છે તે પણ હું નથી જાણતી. સંગીતાએ તેની પાંચ એકર જમીન પડોશી ખેડૂતને કોન્ટ્રાક્ટ પર આપી છે, જેના બદલે તેને દર મહિને ૧૦૦૦ રૃપિયા મળે છે. પોેતાના બંને બાળકોનું ભરણપોષણ કરવા સંગીતા અન્ય કિસાનના ખેતરમાં દહાડીએ જાય છે. તેને ખબર નથી કે વળતર વગર દેવું શી રીતે ચુકવવું.
સંગીતાના યવતમાળ જિલ્લામાં આવેલા હિવારા બારસા ગામમાં ૧૫૦ ઘર છે અને લગભગ બધા પરિવાર દેવામાં ડૂબેલા છે. છેલ્લા નવ મહિનામાં અહીં ત્રણ કિસાનોેએ આત્મહત્યા કરી લીધી છે અને લોકોને ડર એ છે કે હજી વધુ ખેડૂતો મોતને વહાલું કરશે. અહીંનો એક ખેડૂત પ્રકાશ બોલેનવાર એક અંગ્રેજી સામયિકના સંવાદદાતાને કહે છે કે મેં મારી ૨૮ એકર જમીન પર નવ લાખ રૃપિયાની લોન લીધી છે. આ વર્ષે અતિવૃષ્ટિને કારણે મારા કપાસ અને સોયાબીનના પાકનો નાશ થઈ ગયો છે. અમે અમારા સંતાનોને ભણાવી શકવાની સ્થિતિમાં પણ નથી. મને લાગે છે કે આગામી મહિનાઓમાં અહીં ઘણા ખેડૂતો મોતનો માર્ગ અપનાવશે. અફસોસની વાત એ છે કે વિદર્ભનો સૌથી ફળદ્રુપ ગણાતો વિસ્તાર યવતમાળ સૌથી વધુ આત્મહત્યાનો સાક્ષી બન્યો છે.
પોેહારે કહે છે કે સરકાર મૂળ સમસ્યાને સમજવા જ તૈયાર નથી. વિદર્ભમાં ખેતીની સ્થિતિનો આવો કરૃણ અંજામ આવી રહ્યો છે તેનું મૂળ કારણ રાસાયણિક ખાતર, જંતુનાશકો અને મોડીફાઈડ બિયારણનો પ્રચાર પ્રસાર છે. કિસાનોેને તેના માટે જે રોકાણ કરવું પડે છે તેમાં ધરખમ વૃદ્ધિ થઈ છે. પરંતુ પાકની પૂરતી કિંમત નથી મળી રહી. જેમ કે બીટી કપાસની ખેતી માટે વાપરવામાં આવતા રાસાયણિક ખાતર અને જંતુનાશકોની કિંમતમાં છેલ્લા ૧૦ વર્ષમાં દસગણો ઉછાળો આવ્યો છે. પરંતુ કપાસનું કિસાનોને મળતું મૂલ્ય સતત ઘટી રહ્યું છે. આકોલામાં બીટી કપાસની ખેતી કરતો ગોપાલ શેળકે કહે છે કે અમારા કાન્હેરી ગામમાં બીટી કપાસનો પાક લેતાં બધા કિસાનો દેવામાં ડૂબી ગયા છે. બે વર્ષ અગાઉ શેળકેના મિત્ર રાજેન્દ્ર સારપે પણ આત્મહત્યા કરી હતી.
વિડંબણા એ છે કે વિદર્ભમાં દેવામાં ડૂબેલા સૌથી વધુ ખેડૂતોએ મોતને વહાલું કર્યું છે, તોય સરકારની લોનમાફી યોજનાનો સૌથી ઓછા ફાયદો અહીંના કિસાનોને થયો છે. વાસ્તવમાં જે ખેડૂત પાસે પાંચ એકર કરતાં ઓછી જમીન હોય તેને જ સરકારની લોનમાફી યોજનાનો લાભ મળે છે. મહારાષ્ટ્રમાં વિદર્ભ સિવાયના મોટાભાગના વિસ્તારોમાં પારિવારિક જમીનને પરિવારના પ્રત્યેક સભ્યના નામે થોડા થોેડા ભાગમાં વહેેંચી નાખવામાં આવી હોવાથી દરેક કિસાન ખેડૂત તરીકેના સ્વતંત્ર દરજ્જો ધરાવે છે. જ્યારે વિદર્ભમાં સંયુક્ત કુટુંબની પ્રોપર્ટી પરિવારના બધા સભ્યોના નામે હોવાથી તેઓ લોનમાફી યોજના માટે અયોગ્ય ઠરે છે.
સુનીતા સારપનો જ દાખલો લઈએ તો તેના પતિએ જંતુનાશક દવા ગટગટાવી જઈને મોતને વહાલું કર્યું. તેની પાસે ૧૨ એકર જમીન હતી અને તેના માથે એક લાખ રૃપિયાનું દેવું હતું. તેના મોત પછી દેવું ચૂકવવા અને પુત્રીના લગ્ન કરવા સુનીતાને સાત એકર જમીન વેચી નાખવી પડી. તેની પાસે ખેતરોને પાણી પૂરું પાડવા માટે કૂવો પણ છે. આમ છતાં ૧૪ કલાક લાંબા લોડ શેડિંગને કારણે તે પાકને પાણી નથી સિંચી શકતી. તે કહે છે કે અમને ચૌદ ચૌદ કલાક સુધી વિજળી નથી મળતી. મોડી રાત્રે વિજળી પૂરવઠો મળે ત્યારે સાપ અને જંગલી ભૂંડના ભયને કારણે અમે ખેતરમાં નથી જઈ શકતા. આને કારણે અમે ખેતી નથી કરી શકતા. તેને લોનમાફી માત્ર એટલા માટે નહોતી મળી કે તેના પતિના નામે પાંચ એકર કરતાં વધુ જમીન હતી.
વિદર્ભના કિસાનોની વિડંબણાઓનો પાર નથી.જે કિસાનોને લોનમાફી મળી તે પણ માત્ર ૨૫,૦૦૦ રૃપિયા સુધીની જ હતી. બાકીની રકમને નવી યાદીમાં મુકવામાં આવી. સત્તાવાર માહિતી મુજબ વિદર્ભના ૧૧ જિલ્લામાંથી છ જિલ્લા (અમરાવતી, આકોલા, યવતમાળ, બુલઢાણા, વાશીમ અને વર્ધા) માં જ ૮૦૦૦ કરતાં વધુ ખેડૂતોએ આત્મહત્યા કરી છે. પરંતુ એક લાખ રૃપિયાના વળતર માટે માત્ર ૨,૪૯૭ ખેડૂતોને જ યોેગ્ય ઠેરવવામાં આવ્યાં છે. તિવારી કહે છે કે દર વર્ષે વળતર માટે અયોગ્ય ઠરાવવામાં આવેલા મૃતકોના પરિવારની યાદી લંબાતી જાય છે. આનો સઘળો યશ સરકારના ઈશારે પોલીસ દ્વારા કરવામાં આવતા 'ભૂલભરેલા' પંચનામાને જાય છે. આ ઉપરાંત લોેનમાફી આપતાં અધિકારીઓ મૃતક કિસાનના પરિવારજનો પાસેથી લોનમાફી માટે લાંચ માગે છે. જો આ લોકો પાસે નાણાં હોય તો તેઓ શા માટે લોનમાફી માગે?
જૂન ૨૦૦૫માં તત્કાલીન મુખ્ય પ્રધાન વિલાસરાવ દેશમુખે કિસાનોને રાહત આપવા ૧,૦૭૫ કરોડના પેકેજની જાહેરાત કરી હતી. જુલાઈ ૨૦૦૬માં વડા પ્રધાન મનમોહન સિંહે વિદર્ભની મુલાકાત લીધી ત્યારે તેમણે ૩,૭૫૦ કરોડ રૃપિયાના પેકેજની ઘોષણા કરી હતી. આમાંના ૭૧૨ કરોડ રૃપિયા બાકી વ્યાજ જતું કરવા માટે હતા, ૧,૨૯૬ કરોડ રૃપિયા ફરીથી લોન આપવા માટે બાકીના સિંચાઈ પ્રકલ્પ માટે હતા. પોહારે કહે છે કે આ બધું માત્ર રોગના લક્ષણોની સારવાર સમાન હતું. તેનાથી વ્યાધિ નિર્મૂળ નહોતી થવાની. સિંચાઈ યોજના શરૃ થવાને વર્ષોે લાગી જાય અને તે પૂરી થવાને બીજા કેટલાંય વર્ષ વીતી જાય. પરંતુ પાકની ઉત્પાદન કિંમતમાં થતી વૃધ્ધિ, પાકનું લઘુત્તમ મૂલ્ય, ઘટતું જતું ઉત્પાદન, ખાદ્યાન્ન સુરક્ષા અને પાકનો વીમો જેવી મૂળભૂત સમસ્યાઓ તો યથાવત જ રહે. વર્ષ ૨૦૦૬ પછી પણ ૫૦૦૦ ખેડૂતોએ કરેલી આત્મહત્યા દર્શાવે છે કે આત્મહત્યાઓ રોકવા માટે જે પગલાં લેવામાં આવ્યા તે કારગત નથી નીવડયા.
સરકારને પુષ્કળ ફરિયાદો મળવાથી સંબંધિત પેકેજના અમલ વિષયક અભ્યાસ કરવાનું કામ વસંતરાવ નાઈક શેતી સ્વાવલંબન મિશનને સોંપવામાં આવ્યું. મિશનના બી.વી.ગોપાલ રેડ્ડીએ સંબંધિત સ્થળોની મુલાકાત લીધી અને કિસાનોની વાતો સાંભળી પોતાનો રિપોર્ટ સરકાર સમક્ષ મૂક્યો. તેમણે જોયું હતું કે વિધાનસભ્યોની પત્નીઓ કે જિલ્લા પરિષદના અધિકારીઓ કિસાનોના ગાય-ભેંસ લઈ જતા, પરિણામ કિસાનો કંગાળ હાલતમાં મુકાઈ જતાં, સરકારે ૫૦ અધિકારીઓને નિલંબિત કર્યા અને ૪૫૦ સામે વિભાગીય તપાસનો આદેશ આપ્યો.
ખેડૂતો દેવામાં ડૂબવા લાગ્યા તેનું મૂળ કારણ તેમને પરાણે પરંપરાગત ખેતી પધ્ધતિથી દૂર કરવામાં આવ્યા તે છે. વર્ણસંકર બિયારણ, રાસાયણિક ખાતર અને જંતુનાશકોના વપરાશને પગલે ઉત્પાદન ખર્ચમાં ભારે ઉછાળો આવ્યો. જેમ કે લીલા મરચાંના વર્ણસંકર બીની એક કિલોની કિંમત ૩૦,૦૦૦ રૃપિયા,રીંગણાના બીનો ભાવ ૮,૦૦૦ રૃપિયા અને ટામેટાંના બી ૬૫,૦૦૦ રૃપિયા કિલો. આટલા મોઘા બિયારણ વાવ્યા પછી જો સમયસર વરસાદ ન પડે તો કિસાનોએ ફરીથી બી વાવવાં પડે, વળી વર્ણસંકર બિયારણ ઝડપથી રોગગ્રસ્ત થઈ જતાં હોવાથી તેના ઉપર મોંઘાદાટ રાસાયણિક ખાતર અને જંતુનાશકોેનો ખર્ચ કરવો પડે તે છોગામાં. પોહારે કહે છે કે વેપારીઓ આ બધું કાળા બજારમાં વેચે છે. લગભગ બમણાં ભાવે, સરકાર રાસાયણિક ખાતર બનાવતી કંપનીઓને દર વર્ષે ૧.૪ લાખ કરોડની સબસિડી આપે છે. જો સરકાર ખરેખર કિસાનોનોે આત્મહત્યા કરતા રોકવા ઈચ્છતી હોય તો તેણે આ નાણાં કિસાનોેને ઓર્ગેનિક ખેતી માટે પ્રોત્સાહન આપવા વાપરવા જોઈએ.
તિવારી કહે છે કે કિસાનોની સમસ્યાનો અંત લાવવાનો સચોટ માર્ગ છે તેમને તાત્કાલીક રીતે ઓર્ગેનિક ખેતી તરફ વાળવાનો. ઓર્ગેનિક ખેતીનો ઉત્પાદન ખર્ચ એકદમ ઓછો હોય છે. આમ છતાં તેનો પાક પૌૈષ્ટિક હોય છે. પરંતુ તેને એમ લાગે છે કે સરકાર વર્ણસંકર બિયારણ, રાસાયણિક ખાતર અને જંતુનાશકો બનાવતી કંપનીઓના હિતમાં કામ કરી રહી છે. જેને કારણે ખેડૂતો મોતને ગળે વળગાડી રહ્યાં છે.
પોહારે તેના ૨૫ એકરના ખેતરોમાં સફળતાપૂર્વક ઓર્ગેનિક (સેન્દ્રિય) ખાતરનો વપરાશ કરીને ખેતી કરી રહ્યો છે. આકોલાના કાન્હેરીમાં આવેલા તેના ખેતરોમાં છાણાં અને કચરામાંથી બનાવવામાં આવેલા સેન્દ્રિય ખાતરનો વપરાશ જ કરવામાં આવે છે. તે કહે છે કે હું લીમડાના બી જેવા કુદરતી જંતુનાશકો ઉપયોગમાં લઉં છે જેની કિંમત રાસાયણિક ખાતર અને જંતુનાશકોની તુલનામાં નજીવી ગણાય. એક એકરમાં સોેયાબીનની ઓર્ગેનિક ખેતી માટે મને માત્ર થોડાં સો રૃપિયા ખર્ચ કરવો પડે છે, જ્યારે રાસાયણિક ખેતી હજારો રૃપિયા માગી લે છે. જો ઉત્પાદન ખર્ચ ઓછો થાય તો વળતર આપોઆપ વધી જાય તે વાત સાવ સ્વાભાવિક છે.
- કાંતિલાલ