| |
સુરતમાંથી ચોરેલી ચાંદી ઓગાળી પાંચ પાટો બનાવી હતી
અમદાવાદ, શનિવાર
એક કારમાં ત્રણ શખ્સો ચાંદીની પાટો વેચવા માટે આવવાના હોવાની બાતમી પરથી ક્રાઈમ બ્રાંચે ત્રણ તસ્કરને પકડી પાડયાં છે. બાજુની દુકાનના શટર તોડી ઘૂસતા શખ્સો દિવાલમાં બાકોરૃં પાડી જ્વેલર્સની દુકાનમાં ઘૂસી ચોરી કરતા હતા. આ શખ્સોએ અમદાવાદમાં પાંચ જ્વેલરી શોપમાં ચોરી કર્યાની વિગતો ખૂલી છે.
બાજુની દુકાનમાં બાકોરૃં પાડી જ્વેલર્સની દુકાનમાં ચોરીની પધ્ધતિઃ અમદાવાદમાં પાંચ સ્થળે ઘરફોડ
સૌરાષ્ટ્ર તરફથી આવનારી મેટાલીક સિલેટીયા કલરની વેગન આર કારમાં ત્રણ શખ્સો ચાંદીની પાટો લઈને આવવાના હોવાની બાતમી ક્રાઈમ બ્રાંચને મળી હતી. પોલીસે કારમાંથી ઓઢવના (૧)જીજ્ઞોશ કાનાભાઈ કાતલીયા (૨) નિલેશ ધનજીભાઈ પટેલ અને (૩) ઉમેશ ઉર્ફે લાલો રમણભાઈ પટેલને ૧૨.૧૬ લાખની કિંમતની ૨૧,૭૩૨ કિલોગ્રામ વજનની ચાંદીની પાંચ પાટો સાથે પકડી પાડયા હતા.
ક્રાઈમ બ્રાંચના પી.આઈ. જે.ડી. પુરોહીત અને ટીમની પૂછપરછમાં એવી વિગતો ખૂલી છે કે, જીજ્ઞોશ અગાઉ સૂરતમાં હીરાઘસુ તરીકે કામ કરતો હતો હીરાની ચોરીના આરોપસર પકડાયો હતો. તેણે દરજી કામ કરતા અન્ય મિત્રો સાથે મળી જ્વેલર્સને ત્યાં જ ચોરી કરવા લાગ્યો હતો. સુરતમાં બે મહિના અગાઉ ક્રિષ્ના જ્વેલર્સ નામની દુકાનમાંથી ૪૬ કિલો ચાંદીના દાગીના, મૂર્તિઓ અને વાસણ બાઈક ઉપર ચોરી જવાયા હતા. આ પૈકીના અમુક દાગીના વેચી કાર ખરીદી હતી. બાકીના દાગીના મહૂવામાં ગળાવી પાંચ પાટો બનાવીને અમદાવાદમાં વેચવા આવતા ત્રણેય શખ્સો પકડાઈ ગયા હતા.
આ ગેંગે અગાઉ અમદાવાદના ખોખરા, બાપુનગર, મણિનગર અને અમરાઈવાડીમાં પાંચ સોનીની દુકાનમાં ચોરી કરી હતી પણ કુલ બે-અઢી લાખથી મોટો દલ્લો મળ્યો નહોતો. આ ગેંગે ઉનામાં સોનીની દુકાન અને ફોટો સ્ટુડીઓમાં ચોરી કરી હતી. કુલ આઠ ઘરફોડનો ભેદ ઉકેલાયો છે. રાતના સમયે જે જ્વેલરી શોપમાં ચોરી કરવાની હોય તેની બાજુની દુકાન નિશ્ચિત કરતા હતા. બાજુની દુકાનમાં શટર તોડી ઘૂસ્યા બાદ સોનીની દુકાનની તિજોરી હોય તે તરફની દિવાલ ખાસ પ્રકારના ખાતરીયાંથી તોડતા હતા. ક્રાઈમ બ્રાંચે પકડેલા આરોપીઓનો કબજો અમદાવાદ, સુરત અને ઉના પોલીસ મેળવશે. |