
આજે વિશ્વ વારસા દિન નિમિત્તે અમદાવાદના ઐતિહાસિક ગૌરવવંતા વારસાને કલા દ્વારા રજૂ કરવામા આવ્યો હતો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદના અમૂલ્ય વારસાને ચિત્રો દ્વારા રજૂ કરવા માટે સમગ્ર ગુજરાતમાંથી ૫૦થી વધારે કલાકારોને આમંત્રણ આપવામાં આવ્યું હતું.
જેમાં દરેક આર્ટિસ્ટે પોતાની કલા દ્વારા અમદાવાદને કેનવાસ પર ઉતાર્યું હતું. આ ચિત્રોમાં અમદાવાદની રાજાશાહી ઝલક જોવા મળી હતી. અને જૂના અમદાવાદને આ ચિત્રકારોએ ફરીથી પોતાની કલા દ્વારા ધબકતું કરવાનો પ્રયાસ કર્યુ ંહતો. જેમાં પાલનપુરના આર્ટિસ્ટ પાનચંદ ભુણેચીયાએ પોતાના ચિત્રમાં સમગ્ર અમદાવાદને આવરી લીઘું હતું.
જેમાં અમદાવાદની વચ્ચેથી પસાર થતી સાબરમતી નદી, ત્રણ દરવાજા, ભદ્રનો કિલ્લો, જુમ્મા મસ્જિદ, મિલો બંધ થઇ જતા મિલોના ભૂંગળાને લારીમાં લઇ જતો ફેરિયો, ગાંધી આશ્રમ જેવા અમદાવાદના અગત્યના ઐતિહાસિક વારસાને તેમણે એક જ ચિત્રમાં અદ્ભૂત રીતે રજૂ કર્યા હતા.
આ અંગે પાનચંદ ભુણેચીયા કહે છે કે, અમદાવાદની ઐતિહાસિક ધરોહરને આર્ટના ફોર્મમાં રજૂ કરતા હું આનંદની લાગણી અનુભવું છું, અને અમદાવાદ એ ગુજરાતના ઐતિહાસિક વારસાનું એપી સેન્ટર છે. અમદાવાદનો ખૂણે ખૂણો રોમાંચક ઇતિહાસથી ભરપૂર છે.
અમદાવાદના ઐતિહાસિક વારસાની વાત આવે તો ઝૂલતા મિનારા તો દરેક લોકોના હૈયે અને હોઠે હોય છે. અમદાવાદના આર્ટિસ્ટ ભૂપેન્દ્ર જેસલપુરાએ પોતાના રંગો દ્વારા ઝૂલતા મિનારાને કેનવાસ પર ઉતાર્યા હતા. તેઓ કહે છે, અમદાવાદના ઇતિહાસમાં ઝૂલતા મિનારાનું અમૂલ્ય સ્થાન છે.
અને ગોમતીપુરના ઝૂલતા મિનારા આજે પણ અડિખમ ઊભા છે એ આપણા માટે ગૌરવની બાબત છે.
જૂના અમદાવાદમાં પ્રવેશ કરો તો તમને તેની બીજી ખાસિયત ઠેર ઠેર ચબૂતરાઓ જોવા મળશે. પોળોમાં અને ચોકમાં તને ચબૂતરો અચૂક જોવા મળશે. અમદાવાદના આર્ટિસ્ટ બાબુભાઇ ગણારેએ પોતાના ચિત્રમાં જમાલપુરના ચબૂતરાને આબેહૂબ રજૂ કર્યો હતો.
તેઓ કહે છે કે, આજે આ પ્રકારના ચબૂતરા ક્યાંય જોવા મળતા નથી. અને આ ચબૂતરાઓ પણ અમદાવાદના વારસા સાથે વણાયેલા છે. દરેક કલાકારોએ અમદાવાદની ઐતિહાસિક ઇમારતોને કેનવાસ પર ઉતારી હતી.
અમદાવાદ એક માત્ર શહેર છે કે જ્યાં મીલ,મીનારા,મંદિર અને મસ્જિદની ગૌરવવંતી પરંપરાઓ આજે પણ જળવાયેલી છે.અહીં ચબુતરા છે એટલે જ ચણ નાંખનારા છે. કુદરતના રસ્તાને વઘુ પહોળો બનાવનારા લોકોએ આ શહેરને સમૃઘ્ઘ બનાવ્યું. |