કેન્દ્ર સરકારના મહિલા અને બાળ વિકાસ ખાતાંએ કિશોરીઓ માટે સેક્સની બાબતમાં સંમતિ આપવાની ઊંમર ૧૮ વર્ષથી ઘટાડીને ૧૬ વર્ષની કરવા માટે કાયદો ઘડવાનો સંકેત આપીને વિવાદનો મધપૂડો છંછેડી દીધો છે. તાજેતરમાં મહારાષ્ટ્રની સ્ત્રીઓનો સર્વે કરવામાં આવ્યો ત્યારે ચોંકાવનારી વાત જાણવા મળી હતી કે ૫૦ ટકા કરતાં વઘુ સ્ત્રીઓ ૧૮ વર્ષની ઊંમરે પહોંચતા પહેલાં જ પોતાનું કૌમાર્ય ગુમાવી બેઠી હતી.
અલબત્ત, આ આંકડાઓમાં સગીર વયે પરણી જનારી ગામડાંની સ્ત્રીઓનો પણ સમાવેશ થાય છે. તો પણ, શહેરમાં રહેતી, ભણેલીગણેલી અને નોકરી કરતી બુદ્ધિશાળી સ્ત્રીઓના સેક્સ વિષયક અભિગમમાં જે પરિવર્તન આવ્યું છે તે ચોંકાવનારૂં છે.
અગાઉ જ્યારે પણ સેક્સની બાબતમાં પુરૂષોનો સર્વે કરવામાં આવતો હતો ત્યારે એમને એક સવાલ અચૂક પૂછવામાં આવતો હતો કે, તમે કૌમાર્ય ભંગ કરી ચૂકેલી કન્યાને પરણશો ખરા? હવે આ સવાલનું કોઇ મહત્વ રહ્યું નથી.
હવે સરકાર જો ૧૬ વર્ષની કન્યા સાથે તેની સંમતિથી જાતિય સંબંધો બાંધવાની પુરૂષોને છૂટ આપી દેશે તો તેને કારણે લગ્ન સંસ્થા જ જોખમમાં આવી જશે.
સેક્સ, પ્રેમ અને વિવાહની બાબતમાં આજની નવી પેઢી હવે ફિલ્મી સિતારાઓને અનુસરી રહી છે. આ વાત ફિલ્મી સિતારાઓના ઓન સ્ક્રીન લફરાંઓની નથી પણ તેમની ઓફ્ફ સ્ક્રીન અંગત જિંદગીની છે.
ટીના મુનિમ વર્ષો સુધી રાજેશ ખન્ના સાથે રહેતી હતી એ જગજાહેર વાત હોવા છતાં અનિલ અંબાણી તેના પ્રેમમાં પડયો હતો અને તેની સાથે લગ્ન કરીને સુખી થયો છે. વર્તમાનની વાત કરીએ તો સલમાન ખાનની ‘ગર્લફ્રેન્ડ’ તરીકે વિશ્વ વિખ્યાત બનેલી ઐશ્વર્યા રાય સાથે પરણવામાં અભિષેક બચ્ચનને કોઇ છોછ નડતો નથી.
શાહિદકપૂરની ગર્લફ્રેન્ડ તરીકે વર્ષો સુધી રહેનારી કરીના કપૂરને પરણવામાં સૈફ અલી ખાનને કોઇ વાંધો નહીં આવે. અમિતાભ બચ્ચનની પ્રેમિકા તરીકે વિખ્યાત રેખાને પરણનારા પણ મળી ગયા હતા. આ બધા જ સંબંધોમાં સ્ત્રીના કૌમાર્યનો મુદ્દો ગૌણ બની ગયો હતો.
અગાઉ પુરુષો માટે એમ કહેવામાં આવતું હતું કે તેમને સ્ત્રીના દેહમાં જ રસ હોય છે, તેમને કોઇ લાંબા ગાળાના લાગણીપૂર્ણ સંબંધોનો વિકાસ કરવામાં રસ નથી હોતો. પુરુષો પ્રેમનું નાટક કરીને સ્ત્રીના દેહનો ઉપભોગ કરીને તેને છોડી દેતા ત્યારે સ્ત્રી પ્રેમભંગ થઇને વર્ષો સુધી પુરુષની યાદમાં ઝૂર્યા કરતી હતી. હવેની આઘુનિક સ્ત્રીઓ એટલી ઇમોશનલ રહી નથી.
છેલબટાઉ પુરુષોની જેમ આ સ્ત્રીઓ પણ સેક્સને કોઇ ગંભીર કમિટમેન્ટ માનવાને બદલે ‘બે ઘડી મોજ’ની રમત માનવા લાગી છે. સ્ત્રીઓ પણ હવે સમજણપૂર્વક ‘વનનાઇટ સ્ટેન્ડ’ માટે તૈયાર થઇ જાય છે. રાખી સાવંત જેવી કન્યાઓ ટીવીના સ્ક્રીન ઉપર આવીને બિનધાસ્ત કહી શકે છે, ‘‘સેક્સમાંખૂબ આનંદ આવે છે. શા માટે કુંવારી સ્ત્રીઓને આ આનંદથી વંચિત રાખવી જોઇએ?’’
મુંબઇની પોશ ઓફિસમાં કામ કરતી એક આઘુનિક મહિલા પોતાની સહકર્મચારિણીઓના સેક્સ વિષયક પરાકર્મોની કથા ગર્વથી કહે છે. આ સ્ત્રીઓ પોતાના બોસથી માંડીને કોઇ સહકર્મચારી સાથે માત્ર મનોરંજન માટે સેક્સ કરવા તૈયાર થઇ જાય છે. આ રમતમાં કોઇ બંધન નથી હોતું અને કોઇ શરતો નથી હોતી. કેટલીક વખત તો પાર્ટીમાં કોઇ હેન્ડસમ પુરુષ ગમી જાય ત્યારે આ કન્યાઓ સામે ચાલીને પોતાની કાયાની ઓફર કરે છે.
વનનાઇટ સ્ટેન્ડ માટે તેઓ કોઇ હોટેલમાં ચાલ્યા જાય છે અને સવારે કપડાં પહેરી જાણે કાઇ બન્યું ન હોય તેમ છુટાં પડી જાય છે. આ પુરૂષને જીવનમાં ફરી મળવાની જરૂર સ્ત્રીને જણાતી નથી. સ્ત્રીને તેમાં સ્વતંત્રતાનો અહેસાસ થાય છે.
એક મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરતી મહિલા આ વાતને અત્યંત સરળતાથી સમજાવતા કહે છે, ‘‘આ એક જાતની શારીરિક ભૂખ છે, જેને શાંત કરવી જરૂરી છે. શું તમને ભૂખ લાગે ત્યારે કોઇ રેસ્ટોરન્ટમાં જઇને તમારી ભૂખ શાંત નથી કરતા? એ વખતે તમને રેસ્ટોરન્ટ કે તેના વેઇટર પ્રત્યે લાગણી હોય છે? તમે બહાર નીકળતી વખતે ફરી વખત આવવાનો વાયદો કરો એ જરૂરી હોય છે? જો તમને ફૂડ ગમે તો પાછા આવો છો, વારંવાર આવો છો, પણ તેમાં આજીવન કોલકરાર કરવાની તો જરૂર નથી ને?’’ આ મહિલા વિદેશની કોન્ફરન્સ દરમિયાન પોતાના બોસની સાથે હોટેલમાં રહે છે, પણ પાછા આવીને જાણે કાંઇ બન્યું જ નથી તેમ વર્તી શકે છે.
આજની આઘુનિક સ્ત્રીઓ હવે કહેવા લાગી છે કે, અત્યાર સુધી પુરૂષ જાતે અમને સેક્સની બાબતમાં ગુલામ રાખી હતી.
સ્ત્રી તેના પતિ સિવાયના કોઇ પુરુષ સાથે સંબંધ બાંધે તો તેને પાપ માનવામાં આવતું હતું. તેઓ કહે છે કે, પુરુષો અમને સતી સાવિત્રી બનવાની પ્રેરણા કરતા હતા પણ પોતાની જાતને સંબંધો બાબતમાં સ્વતંત્ર જ માનતા હતા. હવે આ સ્ત્રીઓ સેક્સની બાબતમાં સ્વતંત્ર બનવા માંગે છે અને પુરૂષોની જેટલી જ સ્વતંત્રતા માણવા માંગે છે.
આજની આઘુનિક કન્યાઓને લાગે છે કે ભારતીય સમાજવ્યવસ્થામાં લગ્ન કર્યા પછી આ પ્રકારની સ્વતંત્રતા માણવી શક્ય નથી. આ કારણે તેઓ લગ્નનો જ ઇનકાર કરવા લાગી છે. ૩૦ વર્ષ પછી પણ અપરિણીત રહેલી ઇન્ટેલિજન્સ અને બ્યુટીફૂલ સ્ત્રીઓની સંખ્યા આ કારણે વધી રહી છે.
આ સ્ત્રીઓ ગર્વથી કહે છે કે, અમે અપરિણીત છીએ, કુંવારી નહીં. આ કારણે જ તેઓ ‘મિસ’ ને બદલે ‘મિઝ’ તરીકે ઓળખાવાનું વઘુ પસંદ કરે છે. આજની સ્ત્રીઓમાં શિક્ષણને કારણે અને આર્થિક સ્વતંત્રતાને કારણે પ્રચંડ આત્મવિશ્વાસ પેદા થયો છે. તેઓ જિંદગીનો ભરપૂર આનંદ માણી લેવા માંગે છે. જિંદગીનો આનંદ માણવાનાં જે વિવિધ સાધનો છે, તેમાં સેક્સનો પણ સમાવેશ થાય છે, એમ તેઓ માને છે.
તેમને એ વાતની પણ ખબર છે કે એક વખત તેઓ પરણીને જીવનમાં ‘સેટલ’ થઇ જશે તે પછી આ સ્વતંત્રતા તેઓ માણી શકશે નહીં. આ કારણે તેઓ ‘સેટલ’ થવા માટે જરાય ઉતાવળ જ કરતા નથી. આ સ્ત્રીઓ કોઇ પુરૂષથી આકર્ષાય ત્યારે વિનાસંકોચ તેની સાથે જાતીય સંબંધો બાંધવા તૈયાર થઇ જાય છે. હવે તો એવું બને છે કે રિલેશનશિપની બાબતમાં સ્ત્રીઓ પુરૂષો કરતાં બેજવાબદાર બની રહી છે.
સ્ત્રીને એક પુરુષ સાથેના જાતીય સંબંધોમાંથી મજા ઉડી જાય ત્યારે તે કોઇ જાતના લાગણીવેડા વગર બીજા પુરુષનું પડખું સેવવા લાગે છે ત્યારે તેના પહેલા પુરુષને આઘાત લાગે છે.અગાઉ આ પરિસ્થિતિ સ્ત્રીઓની થતી હતી.
ભારતનાં નાનાં શહેરોની લાખો યુવતીઓ ભણીગણીને નોકરી અને કેરિયરની તલાશમાં મુંબઇ, દિલ્હી, બેંગલોર અને હૈદરાબાદ જેવાં શહેરોમાં આવી ચડે છે. તેમનામાં બુદ્ધિ પ્રતિભા હોય છે, મહેનત કરવાની ધગશ હોય છે અને બળબળતી મહત્વાકાંક્ષા પણ હોય છે. વળી તેમની ઉપર માતાપિતાનો કે વડીલોનો વોચ પણ નથી હોતો. તેઓ કોઇ લેડિઝ હોસ્ટેલમાં કે પેઈંગ ગેસ્ટ તરીકે રહેતી હોય છે.
તેમને નોકરીમાંથી છુટીને ઘરે પહોંચવાની કોઇ ઉતાવળ હોતી નથી. ઘરે મોડા પહોંચે તો તેમણે કોઇને જવાબ આપવાનો નથી હોતો. વળી તેમની મનોરંજનની ભુખ કુદરતી રીતે જ ઉઘડી હોય છે. મોટાં શહેરોમાં એકલી રહેતી ખુબસુરત યુવતીને કંપની આપવા અને તેમની પાછળ ખર્ચો કરવા ઉત્સુક પુરૂષોની કોઇ કમી હોતી નથી.
ગર્ભનિરોધનાં સાધનોનું જ્ઞાન અણિશુઘ્ધ હોવાથી આ યુવતીઓને ગર્ભાવસ્થાનો ભય નથી હોતો. આ કારણે તેઓ બિનધાસ્ત બની જાય છે. આ યુવતીઓની લાઇફસ્ટાઇલ જોઇને શહેરમાં પોતાનાં મમ્મી-પપ્પાસાથે રહેતી અને નોકરી કરતી યુવતીઓ એક જાતની લધુતાગ્રંથિનો અનુભવ કરવા લાગે છે.
પોતાની જિંદગી પોતાની શરતોએ જીવતી યુવતીઓ કાયમ માટે કુંવારી રહેવા માંગતી હોય છે, તેવું નથી. તેમને લગ્નસંસ્થા અને પરિવાર વ્યવસ્થા પસંદ નથી, તેવું પણ નથી. લગ્ન કરીને સેટલ થવામાં,બાળકોને જન્મ આપવામાં, પરિવારની હૂંફમાં રહેવાના આનંદની પણ તેમને કલ્પના હોય છે. પરંતુ આ આનંદ માણતા પહેલા તેઓ યુવાનીનાં પ્રારંભિક વર્ષોમાં આઝાદીનો આનંદ પણ લૂંટી લેવા માંગે છે.
આ રીતે થોડાં વર્ષો સુધી ભટકી લીધા પછી જ્યારે અસ્થાયી સંબંધોનો કંટાળો આવવા લાગે ત્યારે તેઓ પોતાના મમ્મી-પપ્પાને મૂરતિયો શોધવાનું કહે છે. આ રીતે ત્રીસીમાં પ્રવેશી ગયેલી કન્યાને મૂરતિયાઓ પણ મળી જાય છે.
લગ્નની પ્રથમ રાતે પતિને શું જવાબ આપવો, તેની મૂંઝવણ આ સ્ત્રીઓ અનુભવતી નથી. મોટા ભાગના પતિઓ આ માટે માનસિક રીતે તૈયાર પણ હોય છે. વસ્ત્રોની જેમ પુરૂષો બદલતી આઘુનિક સ્ત્રીઓ પોતાના અંતરમાં કોઇ જાતની ગુનાઇત લાગણીથી પીડાતી નથી.
તેઓ માનતી જ નથી કેતેઓ કાંઇ ખોટું કરી રહી છે. તેમનો મંત્ર એ જ હોય છે કે, ‘‘આ મારી જિંદગી છે અને હું તેને મારી શરતોએ જીવવા માંગું છું.’’ આજે જે સ્ત્રીઓ એક જ પુરુષને વફાદાર રહેવાની, સંબંધોની પવિત્રતા સાચવવાની અને નીતિમત્તાની વાતો કરે છે, તેઓ પાતળી લધુમતીમાં છે.
લગ્ન કર્યા વગરનું સુખ માણતી આ સ્ત્રીઓને જોઇને લગ્ન કરીને સેટલ થયેલી સ્ત્રીઓને પણ લાગે છે કે એક જ પુરુષની ગુલામી કરીને તેઓ જિંદગીના ખરા આનંદથી વંચિત રહી ગઇ છે.
આ કારણે તેઓ પણ લગ્નબાહ્ય સંબંધોનો વિકલ્પ તપાસવા લાગે છે. સ્ત્રીઓની આઝાદીના આ યુગમાં છેલછોગાળા પુરુષોને તો જલસો પડી ગયો છે. અહીં લાખ રૂપિયાનો સવાલ એ છે કે પરસ્ત્રી સાથે રંગરેલિયા મનાવવામાં સંકોચ ન અનુભવતા પુરુષો પોતાની પત્નીના લગ્નબાહ્ય સંબંધો ચલાવી લેશે ખરા?
- સુપાર્શ્વ મહેતા