નવી દિલ્હી,તા.૧૩
રાજધાની નવી દિલ્હીમાં સત્તાની કોરિડોર્સમાં જાત જાતના કૌભાંડોની બદબુ આવી રહી છે એક પછી એક એટલા કૌભાંડો શ્રેણીબઘ્ધ રીતે બહાર આવી રહ્યા છે કે દરેક કૌભાંડો પર નજર રાખતા અને તેની ઝીણી ઝીણી વિગતો શોધી કાઢવામાં મશગુલ રહેતા મિડીયાપર્સન્સ અને સાથે સાથે વિપક્ષી નેતાઓ પણ થાકવા માંડ્યા છે.
બીજી તરફ, કોંગ્રેસની હાલત પણ આભ ફાટે ત્યાં થીગડુ ક્યાં દેવુ તેના જેવી છે. આજે ફરી કોમનવેલ્થ ગેમ્સમાં શશી થરૂરને લાખો રૂપિયાની ફી સલાહકાર તરીકે ચુકવી દેવામાં આવી હોવાનું કૌભાંડ ગાજ્યું છે.
શાસક-વિપક્ષ, મિડીયા સહિત સમગ્ર દેશનું ઘ્યાન કૌભાંડો પર ખેંચાયેલું છે ત્યારે હજુ તો આકરા ઉનાળાની શરૂઆત પહેલાં જ કેન્દ્રીય ગૃહ મંત્રાલય અને સંરક્ષણ મંત્રાલયના અધિકારીઓને પરસેવો વળી રહ્યો છે.
ઇજિપ્તમાં લોકટોળા એ દિવસોના દિવસો સુધી ઉગ્ર દેખાવો કર્યા બાદ સરમુખ્યાર હોસ્ની મુબારકે દેશમાંથી ઉચાળા ભરીને ભાગવું પડ્યું અને તેનાથી બીજા આરબ દેશોમાં પણ લોકવિરોધની આગ ભડકવા માંડી છે. આ પરિસ્થિતિનો ફાયદો લેવા માટે કાશ્મીરના અલગતાવાદી નેતાઓ પણ તલપાપડ બની ગયા હોવાના અહેવાલો છે.
સતત ભારત વિરોધી ઝેર ઓકતા રહેતા પીડીપીના નેતા મહેબુબા મુફતી સૈયદે તો પત્રકાર પરિષદ ભરીને એલાન કરી દીઘું છે કે ઇજિપ્ત અને કાશ્મીરની હાલત એકસરખી જ છે. કાશ્મીરમાં પણ ટોળાઓ માર્ગો પર આવી જશે અને જ્યાં સુધી કાશ્મીરને આઝાદી નહી મળે ત્યાં સુધી કોઇ જંપીને બેસશે નહીં. ઇજિપ્તમાં લોકોને સફળતા મળી તેથી કાશ્મીરી આઝાદી માટે લડનારાઓનો આત્મ વિશ્વાસ વધી ગયો છે.
કાશ્મીરના મુખ્યપ્રધાન ઓમર અબ્દુલ્લા મોજમાં છે. તેમણે મહેબુબા મુફતીની જાહેરાત પાછળ છુપાયેલી ધમકીને ગંભીરતાથી લક્ષમાં લીધી હોય તેમ લાગતુ નથી પણ, કાશ્મીરના પોલીસ અધિકારીઓ તથા સંરક્ષણ દળોના અધિકારીઓ આ ઘટનાક્રમથી ભારે ચિંતામાં છે.
અઘૂરામાં પુરૂ અત્યારે એક પછી એક છબરડાના નવા વિક્રમો સર્જી રહેલી યુપીએ સરકાર આવા સંવેદનશીલ સમયે જ કાશ્મીરમાંથી ૧૦ હજાર સૈનિકોને પાછા બોલાવી લેવાની વેતરણમાં છે.
રાજધાનીના સુત્રો કહે છે કે યુપીએ સરકારને ફરી પાકિસ્તાન સાથે સમાધાન પ્રક્રિયા આગળ ધપાવવાના ઓરતા જાગ્યા છે. આ પ્રક્રિયાના ભાગરૂપે જ કાશ્મીરમાંથી ૧૦ હજાર સૈનિકો પાછા ખેંચવાની હિલચાલ હાથ ધરવામાં આવી હોય તો નવાઈ નહીં. કાશ્મીરની ગતિવિધિઓથી વાકેફ વર્તુળો કહે છે કે આવા સમયે આ પગલું આત્મઘાતી પુરવાર થઈ શકે છે.
ઉનાળામાં તાપમાન ઓછું થશે એટલે ખીણ પ્રદેશમાં ઘણા માર્ગો ખુલ્લા થશે. આવા સમયે ત્યાં હજારોના ટોળાં માટે દિવસ રાત ઉગ્ર દેખાવો કરવાનું મુશ્કેલ નહીં હોય. એકવાર કાશ્મીરમાં પરિસ્થિતિ સ્ફોટક બની જાય પછી પાકિસ્તાન અને ચીન પણ આ ટોળાંઓને મદદ પુરી પાડી શકે છે.
કાશ્મીરના અલગતાવાદી નેતાઓ અને ચીન વચ્ચે કોઈ સંપર્કો હોવાની શંકાઓ પ્રેરે એવા ઘટનાક્રમમાં તાજેતરમાં આ નેતાઓ દ્વારા તૈયાર કરાયેલા વિઝન કાશ્મીરના ડોક્યુમેન્ટમાં કાશ્મીરના કેટલાક હિસ્સાઓને ચીનમાં પણ દર્શાવવામાં આવ્યા છે.