| Last Update : 14-Feb-2011, Monday |
|
|
|
|
|
|
| કેલિફોર્નિયામાં ભારતીય વિદ્યાર્થીઓ સાથે અમાનવીય વર્તન |
| વિદ્યાર્થીઓએ વિઝાના નિયમોનો ભંગ કરીને પ્રવેશ મેળવ્યો હોવાની શંકાના આધારે તપાસ કરતી વખતે તેમની હિલચાલ પર નજર રાખવા માટે આ પગલું ભરવામાં આવ્યું હતું |
૧૯મી જાન્યુઆરી, ૨૦૧૧નો દિવસ કેલિફોર્નિયાના પ્લેસેન્ટોન ખાતે આવેલી ટ્રાઇ-વેલી યુનિવર્સિટી (ટીવીયુ)માં ભણતા ભારતીય વિદ્યાર્થીઓ માટે ભારે આઘાતજનક હતો. આ દિવસે ઇમિગ્રેશન અધિકારીઓએ યુનિવર્સિટી પર રેડ પાડીને બધા વિદ્યાર્થીઓના રેકોર્ડ જપ્ત કરીને યુનિવર્સિટી પર પડદો પાડી દીધો હતો. આ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા ૯૫ ટકા વિદ્યાર્થીઓ ભારતીય છે અને આ કારણે રેડ પાડયા પછી ઇમિગ્રેશન વિભાગે દરેક વિદ્યાર્થીની કલાકો સુધી ્આકરી પુછપરછ કરી હતી. કેટલાક વિદ્યાર્થીઓએ સ્વૈચ્છિત રીતે દેશ છોડવાની તૈયારી ન બતાવી ત્યારે તેમના પાસપોર્ટ જપ્ત કરી લેવામાં આવ્યા હતા. કેટલાક વિદ્યાર્થીઓ પર તેમણે વિસાના નિયમોનો ભંગ કર્યો હોવાની શંકા પડતા તેમના પગે ખાસ પ્રકારનું ઇલેકટ્રોનિક સાધન ભરાવી દેવામાં આવ્યું હતું જેથી વિદ્યાર્થી અમેરિકામાં ગમે ત્યાં જાય, પણ ઇમિગ્રેશન અધિકારીઓ હંમેશા તેમની પર નજર રાખી શકે.
કેલિફોર્નિયાના પ્લેસેન્ટોન વિસ્તારમાં મોટી સંખ્યામાં ભારતીયો રહે છે અને ટીવીયુનું કૌભાંડ બહાર નહોતું ત્યાં સુધી એની ગણતરી ઉચ્ચ દરજ્જાના પરામાં થતી હતી. હવે કેલિફોર્નિયાની કોર્ટમાં દાવો દાખલ કરવામાં આવ્યો છે કે ટીવીયુ વિદેશી નાગરિકોને ગેરકાયદેસર રીતે ઇમિગ્રેશન સ્ટેટસ મેળવવામાં મદદ કરતી હતી. આ યુનિવર્સિટી પર ૨૦૧૦ના મે મહિનાથી ઇમિગ્રેશન ખાતાની નજર હતી. અહીં લગત્રગ ૧,૫૫૫ વિદ્યાર્થીઓ ભણે છે જેમાંથી ૯૫ ટકા જેટલા વિદ્યાર્થીઓ ભારતીય છે. આ બધા વિદ્યાર્થીઓમાંથી લગભગ વીસેક ટકા વિદ્યાર્થીઓને વિસાના નિયમોનો ભંગ કરવા બદલ રેડિયો ટેગ પહેરાવવામાં આવ્યા છે જેથી તેઓ ઇમિગ્રેશન ખાતાની નજરમાંથી છટકી ન શકે.
જોકે અમેરિકાના ઈમિગ્રેશન ખાતાની આ હરકતનો ભારતમાં ભારે ઉગ્ર પ્રતિભાવ નોંધાયો છે અને સરકારે આ મુદ્દે પોતાની નારાજગી વ્યક્ત કરી છે. આ મુદ્દે વાત કરતા યુએસ કોન્સ્યુલેટના પબ્લિક અફેર્સ ઓફિસર કહે છે કે ''જો તમે કોઈ નિયમોનો ભંગ કર્યો હોય અથવા તો તમારી પાસે કોઈ વિશેષ માહિતી હોય તો સત્તાધીશો ઇચ્છે કે તમારી દરેક હરકતની માહિતી તેમની પાસે હોય. પોતાની આ જરૃરિયાત માટે તેઓ ખાસ પ્રકારનું સાધન પગમાં બેસાડે એ જરૃરી બની જાય છે. નિયમ ભંગક કરવાના સંજોગોમાં વ્યક્તિ માટે બે જ વિકલ્પ છે. પહેલો વિકલ્પ છે નારંગી રંગનો જમ્પસુટ પહેરીને સતત જેલના સળિયાં પાછળ રહેવાનો અને બીજો વિકલ્પ છે પગમાં ખાસ પ્રકારનું ઇલેકટ્રોનિક ડિવાઇસ પહેરીને મન ફાવે ત્યાં જવાની આઝાદી ભોગવવાનો. હકીકતમાં દરેક વિદ્યાર્થીને આ સાધન પહેરવાની ફરજ પાડવામાં નથી આવી. જે વિદ્યાર્થીઓએ છેતરપિંડી કરીને વિસા મેળવ્યા હોય અથવા તો અજાણતામાં વિસાને લગતા કોઈ નિયમનો ભંગ કર્યો હોય ત્યારે જ તેમને આ પ્રકારનું સાધન પહેરવાની ફરજ પાડવામાં આવે છે જેની તેમની દરેક હરકતો પર જવાબદાર અધિકારી નજર રાખી શકે.''
હકીકતમાં ટીવીયુમાં ભણતા મોટાભાગના વિદ્યાર્થીઓ તેલુગુભાષી છે અને આ કારણે હૈદ્રાબાદમાં આ ઘટનાનો ભારે ઉગ્ર પ્રતિભાવ પડયો છે. ભારત સરકાર આ ઘટનામાં કોઈ કડક વલણ નથી અપનાવી રહી એ વાતનો તેમને ભારોભાર અસંતોષ છે. આ મુદ્દે વાત કરતા કાર્તિકેયા નામનો સ્થાનિક વિદ્યાર્થી કહે છે કે ''મારી બહેનના પગે આ પ્રકારનું સાધન લગાવવામાં આવ્યંુ છે. આ ઘટનાથી તે ભારે ડિપ્રેશનમાં આવી ગઈ છે. અમેરિકામાં તે જાણે ભારતની નાગરિક નહીં, પણ અનાથ હોય એવું વર્તન તેની સાથે થઈ રહ્યંુ છે. જોકે તે પાછી આવવા નથી માગતી કારણ કે જો તે પરત આવે તો પાંચ વર્ષ સુધી તેના પાછા જવાની શક્યતા પર પુર્ણવિરામ લાગી શકે છે.''
આટલા મોટા કૌભાંડની સુત્રધાર ગણાતી ટીવીયુની સ્થાપના સુસાન ઝીયો-પિંગ શુ નામની ચાઇનીઝ મહિલાએ કરી છે. અત્યાર સુધી એની ગણતરી નિયમોનું પાલન કરતી યુનિવર્સિટી તરીકે થતી હોવાના કારણે ભારતીયો એમાં એડમિશન લેવેા તલપાપડ રહેતા હતા કારણ કે એમાં એડમિશન લેવા માટેના નિયમો અમેરિકાની તમામ યુનિવર્સિટી કરતા સરળ હતા અને એમાં અભ્યાસ કરવાથી એચ-વન બી વિસા મેળવવાની પ્રક્રિયા થોડી ઝડપી થઈ જતી હતી. આ મુદ્દે વાત કરતા અમેરિકાની જ એક અન્ય યુનિવર્સિટીમાંથી એમબીએનો અભ્યાસ કરનારી સોમ્યા સ્વામિનાથન નામની વિદ્યાર્થિની કહે છે કે ''હકીકતમાં જે વિદ્યાર્થીઓએ ટીવીયુમાં પ્રવેશ લીધો છે તેમણે પુરતી તપાસ કર્યા વગર આંધળુકિયું કર્યું છે જેના કારણે હવે તેમના માટે વિકટ પરિસ્થિતિ ઉભી થઈ છે. હકીકતમાં તેમણે જો ટીવીયુમાં પ્રવેશ મેળવતા પહેલાં એક વખત પણ ઇન્ટરનેટ પર આ સંસ્થાની પુરતી તપાસ કરી હોત તો તેમના માટે ક્યારેય પસ્તાવાનો વારો ન આવ્યો હતો. મેં ગોલ્ડન ગેટ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો છે, પણ હું પણ પહેલાં ટીવીયુમાં અભ્યાસ કરવા માગતી હતી. આ માટે મેં ઇન્ટરનેટ પર આ યુનિવર્સિટીની વિશેષ તપાસ કરી હતી. આ તપાસ દરમિયાન મને આ યુનિવર્સિટીની કામગીરી શંકાસ્પદ હોય એવી ચેતવણી આપતા અનેક પુરાવાઓ મળ્યા હતા જેના કારણે મેં એમાં એડમિશન લેવાનું માંડી વાળ્યું હતું. ટીવીયુમાં જે વાયદાઓ કરવામાં આવ્યા હતા એ વધારે પડતા સારા હોવાના કારણે શંકા ઉપજાવતા હતા. સામાન્ય રીતે અમેરિકાની કોઈપણ યુનિવર્સિટીમાં ુપ્રવેશ મેળવવા માટે જીઆરઈ, ટોફેલ અને જીમેટ ફરજિયાત છે, પણ ટીવીયુમાં આમાંથી મુક્તિ આપવામાં આવી હતી. વળી, બીજી કોઈ પણ યુનિવર્સિટીમાં એચ વન બી વિસા મેળવવા માટેની ઓપીટી-સીપીટીની પ્રક્રિયા પ્રવેશના બીજા વર્ષથી શરૃ કરવામાં આવે છે, પણ ટીવીયુમાં આ પ્રક્રિયા પહેલાં જ દિવસથી શરૃ કરવામાં આવતી હતી. ટીવીયુની આ પ્રકારની કાર્યપ્રણાલિને કારણે મને શંકા ગઈ હતી અને મેં ત્યાં પ્રવેશ નહોતો લીધો. હકીકતમાં જે વિદ્યાર્થીઓએ ટીવીયુમાં પ્રવેશ લીધો છે તેમણે કાં તો સંસ્થા વિશે પુરતી તપાસ કર્યા વગર પ્રવેશ લીધો છે અથવા તો તેમણે તપાસ કરી છે, પણ સંસ્થાએ આપેલી લાલચમાં આવી ગયા છે. આમ, સંજોગો ગમે તે હોય પણ ટીવીયુના વિદ્યાર્થીઓ સાથે આ બન્યું એમાં તેમનો પણ એટલો જ વાંક છે. હકીકતમાં આ વિદ્યાર્થીઓને ટીવીયુમાં પ્રવેશ લેતી વખતે ભયસ્થાનોની ખબર હતી, પણ આમ છતાં તેમણે અમેરિકામાં સહેલાઇથી પ્રવેશ મેળવવા માટે આ રસ્તો અપનાવ્યો હતો.''
ટીવીયુ વિરૃદ્ધ યુએસ ડિસ્ટ્રિક્ટ એટોર્નીની ઓફિસમાંથી ફરિયાદ કરવામાં આવી છે. આ ફરિયાદમાં તેમણે જણાવ્યું છે કે ''ટીવીયુની સ્થાપના જ વિદેશી વિદ્યાર્થીઓને ગેરાકાયદેસર રીતે ઇમિગ્રેશન અપાવવા માટે થઈ છે. આ યુનિવર્સિટીના ૯૫ ટકા જેટલા વિદ્યાર્થીઓ ભારતીય છે અને ૫૦ ટકા જેટલા ભારતીયોએ પોતાના એડ્રેસમાં સનીવેલી ખાતેના એક ચોક્કસ એપાર્ટમેન્ટનું સરનામું આપ્યું છે. આ સરનામા પર તપાસ કરતા ખબર પડી છે કે ત્યાં તો કોઈ અન્ય વિદ્યાર્થીઓ જ રહે છે અને જેમણે આ જગ્યાનું સરનામું પોતાના રહેણાંકના પુરાવા તરીકે આપ્યું છે તેમનું તો ત્યાં ક્યારેય નામોનિશાન નહોતું. હકીકતમાં ઇમિગ્રેશન માટે વિદ્યાર્થી માટે પોતાનું સરનામું આપવાનું તેમજ તેઓ નિયમિત ક્લાસમાં હાજરી આપતા હોય એવો પુરાવો જરૃરી હોવાના કારણે તેમણે આ રસ્તો અપનાવ્યો હતો.''
ટીવીયુના વિદ્યાર્થીઓ એવો દાવો કરતા હતા કે તેેઓ ઓનલાઇન માધ્યમથી ટીવીયુના ક્લાસમાં હાજરી આપતા હતા, પણ વધારે તપાસ કરતા ખરબર પડી છે કે મોટાભાગના વિદ્યાર્થીઓ મેરીલેન્ડ, વર્જિનિયા, પેન્સિવેનિયા અને ટેક્સાસ જેવા વિસ્તારોમાં રહેતા હતા અને ટીવીયુની એફ વન વિસાની મદદથી નાની મોટી નોકરી કરતા હતા.
જોકે ટીવીયુ પર ઇમિગ્રેશન અધિકારીની રેડ પડી એના કારણે ફેકલ્ટી અધિકારીઓને પણ ભારે આશ્ચર્ય થયું હતું કારણ કે આ મોટાભાગે ચાઇનીઝ અને ભારતીય ફેકલ્ટી ધરાવતી યુનિવર્સિટીને ક્યારેય એના શંકાસ્પદ વલણ બદલ સરકાર તરફથી રેડ ફ્લેગ આપવામાં નહોતો આવ્યો. જોકે હાલમાં સમગ્ર કિસ્સામાં યુનિવર્સિટીએ ગેરરીતિ આચરી હોવા છતાં પાડાના વાંકે પખાલીને ડામના ન્યાયે ભારતીય વિદ્યાર્થીઓ એનો ભોગ બની રહ્યા છે.
અમેરિકનોને આંખના કણાની જેમ ખુંચે છે અનધિકૃત રીતે વસવાટ કરતા ભારતીયો
એક સમયે અમેરિકનોએ રેડ ઇન્ડિયનોની માલિકીના અમેરિકા ખંડ પર હક જમાવ્યો હતો અને હવે તેમને લાગે છે કે ભારતીયો તેમના પર હક જમાવા આવી રહ્યા છે. આ કારણોસર જ અમેરિકનોને ત્યાં અનધિકૃત રીતે વસવાટ કરતા ભારતીયો આંખના કણાની જેમ ખુંચે છે. એક આંકડા પ્રમાણે છેલ્લા દાયકામાં અમેરિકામાં ગેરકાયદેસર રીતે ઘુસણખોરી કરતા ભારતીયોની સંખ્યામાં ૬૪ ટકાનો વધારો થયો છે. જોકે અમેરિકામાં જે કુલ ગેરકાયદેસર ઘુસણખોરી થાય છે એમાં ભારતીયોનું પ્રમાણ માત્ર બે ટકા જેટલું હોવા છતાં સરેરાશ અમેરિકનને એમ લાગે છે કે તેને અને તેની નોકરીને ભારતીયથી ખતરો છે.
સામાન્ય રીતે ભારતીય જ્યારે અમેરિકામાં પ્રવેશ મેળવે છે ત્યારે તેણે તમામ કાયદા અને કાનૂનનું પાલન કરીને પ્રવેશ મેળવ્યો હોય છે. જોકે પછી તેઓ વિસાના નિયમોનો ભંગ કરતા તેમની ગણતરી ગેરકાયદેસર ઘુસણખોરમાં થવા લાગે છે. સ્ટુડન્ટ વિસા, ટુરિસ્ટ વિસા કે પછી વર્ક વિસામાં ગયેલો ભારતીય જ્યારે પરત આવવાને બદલે લોસ એન્જલસ કે પછી ન્યુ યોર્ક જેવા મહાનગરમાં ઓગળી જાય છે ત્યારે આ સમસ્યા ઉભી થાય છે.
|
|
|
|
|
|
|
|
|
|
| |
|
|
|
|
Gujarat Samachar © 2011 All Rights Reserved |
|
|