નવીદિલ્હી, તા. ૯
વડાપ્રધાનો પ્રધાનમંડળમાં ફેરફારો વિશે બોલે તે અસામાન્ય બાબત છે. જોકે મનમોહનસિંહે પ્રણાલિકા તોડીને આમ કર્યું છે. અગ્રણી અખબારોના તંત્રીઓની સાથે મુલાકાતમાં તેમણે સંસદના શિયાળુ સત્ર અગાઉ કેબિનેટની પુનઃરચનાની વાત કરવા સાથે એમ પણ કહ્યું હતું કે તેમની નવી ટીમમાં મુખ્યત્વે યુવાનોનો જ સમાવેશ કરવામાં આવશે.
જોકે, વડાપ્રધાને યુવાનો પર મૂકેલા ભાર પરથી રાજધાનીના રાજકીય વર્તુળો અને ખાસ કરીને કોંગ્રેસ પક્ષમાં ગણગણાટ અને અટકળોનો દોર શરૃ થઈ ગયો છે કે યુપીએ દ્વિતીય સરકારના પ્રથમ કેબિનેટ ફેરફારમાં કોંગ્રેસના યુવાન મહામંત્રી રાહુલ ગાંધીને પણ સ્થાન મળશે.
પક્ષના આંતરિક જાણકાર વર્તુળો પણ કોઈ અટકળો કરવાની સ્થિતિમાં નથી કારણ કે રાહુલ ગાંધી પોતાની ભાવિ યોજનાઓ જાહેર કરતા જ નથી. તેમની માતા અને કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ પણ સ્પષ્ટ કહેલું છે કે આખરી નિર્ણય તો રાહુલ ગાંધીનો જ હશે. હકીકત એ છે કે રાહુલ પ્રધાનપદની જવાબદારીઓ સ્વીકારવા ઇનકાર જ કરે છે. છ વર્ષ અગાઉ, યુપીએએ શાસનસૂત્રો સંભાળ્યા તે પછી તેમણે સંગઠનની કામગીરી સંભાળવા તરફ જ પસંદગી દર્શાવી છે. વડાપ્રધાને ઘણી વખત કેબિનેટમાં જોડાવા રાહુલ ગાંધીને આમંત્રણ આપવા છતાં આ સ્થિતિ છે.
યુપીએ દ્વિતીય સરકારે શાસનનો હવાલો સંભાળ્યો તે પહેલાં રાહુલ પોતાનો નિર્ણય બદલશે તેવી અપેક્ષા હતી, પરંતુ ન્યુકલીઅર સોદા મુદ્દે વડાપ્રધાનને મજબૂત સમર્થન આપવા સાથે રાહુલે તેમની ભારોભાર પ્રશંસા પણ કરી હતી. તેની આ યુક્તિના કારણે જ મનમોહનસિંહને ''નબળા વડાપ્રધાન'' ગણાવતા ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીના પ્રહારોની અસર ઓછી થઈ હતી.
કોંગ્રેસમાં યુવાનોની વાત કરીએ તો, પોતાની જવાબદારી ઘણી સારી રીતે નિભાવતા પક્ષના પ્રવક્તાઓ મનિષ તિવારી, અભિષેક મનુ સિંઘવી અને મીનાક્ષી નટરાજનના નામો ચર્ચામાં છે. દિલ્હીના મુખ્યપ્રધાન શીલા દીક્ષિતના પુત્ર અને દિલ્હીના સાંસદ સંદીપ દીક્ષિત તેમજ આંધ્ર પ્રદેશના દિવગંત મુખ્યપ્રધાન વાય.એસ. રાજશેખરના ''બળવાખોર'' પુત્ર જગન રેડ્ડી પણ કેબિનેટમાં સ્થાન મેળવી શકે છે.
જોકે, જગન આ લાલચને સ્વીકારે તેવી શક્યતા ઓછી છે કારણ કે તેની નજર તો મુખ્યપ્રધાનની ''ગાદી'' પર છે. પરંતુ પક્ષના મોવડીમંડળનું એમ માનવું છે કે જો જગન કેન્દ્રમાં પ્રધાનપદ સ્વીકારે તો તેની સહાનુભૂતિ યાત્રાએ જે સમસ્યા ઉભી કરી છે તેમાં ઘટાડો થશે.
- ઇન્દર સાહની