નવી દિલ્હી,તા.૯
ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપ અને ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન આઇસીસી માટે ટંકશાળ પાડનારું બની રહ્યું છે. આઇસીસીને એક જ વર્ષમાં આશરે ૩૯૮ કરોડ રૃપિયાનો જંગી નફો થયો છે. ૩૧મી ડિસેમ્બર, ૨૦૦૯ના રોજ પુરા થતાં વર્ષના આંકડા દર્શાવે છે કે આઇસીસીની નાણાંકિય સ્થિતીમાં નાટકિય પણ આવકારદાયક ફેરફાર થયો છે. નોંધપાત્ર છે કે આઇસીસીએ અગાઉના વર્ષે આશરે ૧૫ કરોડ રૃપિયાની ખોટ ગઇ હતી.
આઇસીસીના વાર્ષિક અહેવાલના આંકડા જણાવે છે કે વર્ષ ૨૦૦૯માં તેમની આવક રૃા. ૮૧૬ કરોડની હતી. ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપ અન ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી રૃપિયા ૬૭૪.૯૨ કરોડની જંગી આવક થઇ હતી, જેમાંથી ૩૮૨.૫૮ કરોડ રૃપિયા સરપ્લસ ઊભુ થયું હતુ. આઇસીસીને ૨૦૦૮માં એટલે ખોટ ગઇ હતી કારણ કે તે વર્ષે તેની એક પણ ટુર્નામેન્ટ આયોજીત થઇ શકી નહતી.
હવે ૨૦૧૧માં ક્રિકેટનો વર્લ્ડ કપ ભારત, શ્રીલંકા અને બાંગ્લાદેશમાં યોજાવાનો છે, ત્યારે આઇસીસીને તેમાંથી જંગી આવક થાય તેની અપેક્ષા છે. ચાહકોને ક્રિકેટ તરફ આકર્ષવા માટે આઇસીસી સતત નવા પ્રયોગો કરતું રહે છે. વર્ષ ૨૦૦૩ના વર્લ્ડ કપમાંથી ૯૧૧.૮૦ કરોડ રૃપિયાનો નફો થયો હતો, જે ૨૦૦૯ની વાર્ષિક આવકના આંકડા કરતાં ક્યાંય વધુ છે.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સીલે ઓપરેટિંગ કોસ્ટ પાછળ રૃપિયા ૪૧૯.૭૧ કરોડનો ખર્ચ કર્યો હતો, જેમાંથી બે ટુર્નામેન્ટનું આયોજન કરવા પાછળ ૨૯૧.૮૭ કરોડ રૃપિયાનો ખર્ચ થયો હતો, જ્યારે ૪૨.૩૦ કરોડ રૃપિયાનો ખર્ચ વિશ્વ સ્તરે ક્રિકેટના પ્રચાર અને વિકાસ પાછળ કરવામાં આવ્યો હતો. આઇસીસીએ સભ્ય એસોસિએશનોને સરપ્લસમાંથી ૩૩૧.૩૫ કરોડ રૃપિયાની ચુકવણી કરી હતી. જ્યારે સભ્યોએ સબસ્ક્રીપ્શન પેટે ૧૦૨.૯૩ કરોડ રૃપિયાની ચૂકવણી કરી હતી, જે ૨૦૦૮ કરતાં લગભગ બગણી કરી દેવામાં આવી છે.
|
|