મુંબઇ - મહારાષ્ટ્રમાં બાઉન્સડ્ (અસ્વીકૃત) ચેકના અનિર્ણીત કેસોની મોટી સંખ્યાથી ચોંકેલી મુંબઈ હાઇ કોર્ટે બુધવારે આવા કેસના ઝડપી નિકાલ માટેના ઉપાયોનું સૂચન કરવા ત્રણ સભ્યોની એક સમિતિની રચના કરી હતી. રાજ્યમાં બાઉન્સડ્ ચેકના કુલ ૭.૧૨ લાખ કેસ અનિર્ણિત હાલતમાં છે. આ પૈકીના ૩.૧૭ લાખ કેસ એકલા મુંબઈની જ વિવિધ મેટ્રોપોલિટન અદાલત સમક્ષ પડતર સ્થિતિમાં છે.
ડિરેક્ટર ઓફ પ્રોસિક્યુશન, રજિસ્ટ્રાર (લિગલ) અને મુંબઈના મુખ્ય મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની બનેલી આ સમિતિને આ કેસો આટલી મોટી સંખ્યામાં કેમ અનિર્ણિત રહ્યા તેનાં કારણોનો અભ્યાસ કરવા તથા ચાર સપ્તાહમાં અહેવાલ સુપરત કરવા જણાવવામાં આવ્યું છે. નાશિક ડિસ્ટ્રિક્ટ ઇન્ડસ્ટ્રિયલ એન્ડ મર્કન્ટાઈલ કો. ઓ. બેન્ક લિ.એ નોંધાવેલી જાહેર હિતની અરજીની સુનાવણી કરતાં ન્યાયમૂર્તિઓ બી. એચ. માર્કોપલ્લે અને અમજદ સૈયદની ડિવિઝન બેન્ચે બાઉન્સડ્ ચેકના કેસ ચલાવવા ૧૫ ખાસ અદાલતોની સ્થાપના કરવા રાજ્ય સરકારને જણાવ્યું છે.
આ સાથે ન્યાયમૂર્તિઓએ એવી પણ ટકોર કરી હતી કે આ સમસ્યાનો ઉકેલ માત્ર નવા હોદ્દા ઊભા કરવાથી આવશે નહીં. સરકાર ૧૫ નવી અદાલતોની સ્થાપના કરે ત્યાં સુધી અમે રચેલી સમિતિ બાઉન્સડ્ ચેકની સમસ્યા તપાસશે અને ઉપયોગી સૂચનો કરશે. મુંબઈમાં મૂળભૂત સુવિધાન નબળા માળખા વિશે વાત કરતાં ન્યાયમૂર્તિ માર્કોપલ્લેએ ટિપ્પણી કરી હતી કે મુંબઈમાં વધુ ન્યાયમૂર્તિઓનો સમાવેશ કરી શકાય તેટલી જગ્યા જ ક્યાં છે? ખરેખરી સમસ્યા તો કેસોનો સમયસર નિકાલ થતો નથી તે છે.
રાજ્ય સરકારનું પ્રતિનિધિત્વ કરતા એડવોકેટ-જનરલ રવી કદમ અને ધારાશાસ્ત્રી આનંદ પાટીલે અદાલતને કહ્યું હતું કે સરકારે આ પરિસ્થિતિની ગંભીર નોંધ લીધી છે અને તે વિવિધ ઉપાયો વિશે વિચારી રહી છે. નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટ (અસ્વીકૃત ચેકના કેસ હાથ ધરવા માટેનો (એક્ટ)ની ૧૩૮ની કલમ હેઠળ ફરિયાદ નોંધાવવા માટેની કોર્ટમાં અમે વધારો કર્યો હતો પણ તેથી કોઈ ફાયદો થયો નહતો. મોટા ભાગની નાણાકીય સંસ્થાઓ મુંબઈ બહાર હોવાથી ચેક બાઉન્સિંગના મોટા ભાગના કેસ મુંબઈની અદાલતોમાં નોંધાવવામાં આવે છે. |