મુંબઇ - ભાયખલાસ્થિત એમએચ સાબુ સિદીક પોલિટેકનિક કોલેજના વિદ્યાર્થીઓ પરિણામ જોઈને ચકિત થઈ ગયા હતા. પહેલી જુલાઈએ ફાઇનલ પરીક્ષાનું પરિણામ જોઇને વિદ્યાર્થીઓ આશ્ચર્યચકિત થઇ ગયા હતા. 'લાઇસેન્ટીએટ ઇલેક્ટ્રોનિક એન્ડ રેડિયો સર્વિસિંગ'ના તમામ ૫૭ વિદ્યાર્થીને થિયરી તથા પ્રેકિટકલની તમામ પરીક્ષામાં શૂન્ય માર્ક મળ્યો હતો.
જેને પરિણામે હતપ્રભ થયેલા કોલેજના સંચાલકોએ 'મહારાષ્ટ્ર સ્ટેટ બોર્ડ ઓફ વોકેશનલ એક્ઝામ્સ' (એમએસબીવીઇ)ને પત્ર મોકલ્યો હતો. જેમાં ઉત્તરવહીની પુનઃચકાસણી કરીને ભૂલ સુધારવાનું જણાવવામાં આવ્યું હતું. જોકે પુનઃચકાસણી કર્યા પછી ફક્ત ત્રણ જ વિદ્યાર્થીઓને પરીક્ષામાં ઉત્તીર્ણ જાહેર કરવામાં આવ્યા હતા.
ઘૂંઘવાયેલા વિદ્યાર્થીઓએ બોર્ડની બેદરકારીને પરિણામે સમગ્ર વર્ષ ગુમાવવું પડયું હોવાનો આરોપ મૂક્યો હતો. 'અમે ૧૩મી જુલાઇએ એમએસબીવીઇને ભૂલને સુધારવા સંદર્ભનો પત્ર પાઠવ્યો હતો' એમ કોલેજના શિક્ષક પ્રકાશ પાટણેએ જણાવ્યું હતું. ૨૩મી ઓગસ્ટે નવીન માર્કલિસ્ટ મોકલી હોવાની જાણકારી આપીને શિક્ષકે ઉમેર્યુ હતું કે જે મુજબ ફક્ત ત્રણ વિદ્યાર્થી ઉત્તીર્ણ થયા હતા. કોલેજની ઇન્ટર્નલ પરીક્ષામાં સારા માર્કસ મેળવનારા વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષામાં શૂન્ય માર્ક મળે એ બાબત અંગે તેમણે શંકા વ્યક્ત કરી હતી.
આ સંદર્ભમાં એમએસબીવીઇના સેક્રેટરી ટી. એમ. વાડિલેનો વારંવાર સંપર્ક સાધવાની કોશિશ કરવા છતાં તે નિષ્ફળ સાબિત થઇ હતી. વાંદરાસ્થિત બોર્ડની ઓફિસના વરિષ્ઠ અધિકારીએ બોર્ડના નીતિ-નિયમ મુજબ વોકેશનલ કોર્સ માટે ઉત્તરવહીની પુનઃચકાસણી કરવામાં આવતી ન હોવાનું જણાવ્યું હતું.
એમએચ સાબુ સિદીક પોલિટેકનિક કોલેજના પ્રાચાર્ય ૅજાવેદ અખ્તરે બોર્ડમાં ઉત્તરવહીની પુનઃચકાસણી કરવાની જોગવાઇ ન હોવા બદલ આશ્ચર્ય વ્યક્ત કર્યુ હતું. વધુમાં ઉત્તરવહીની ફોટોકોપી પણ પ્રદાન કરવા તૈયાર ન હોવાનું જણાવીને પ્રાચાર્યએ આ બાબતને બોર્ડની બેદરકારી લેખાવી હતી.
વિદ્યાર્થીઓના ભવિષ્ય અંગે ચિંતિત કોલેજે આ સંદર્ભમાં 'હાયર એન્ડ ટેકિનકલ એજ્યુકેશન'ના પ્રધાન રાજેશ ટોપેને મધ્યસ્થી કરવા માટેની વિનંતી કરી છે.