મુંબઈ - નવી મુંબઈમાં ઈન્ટરનેશનલ એરપોર્ટ વિકસાવી રહેલી રાજ્ય સરકાર અને સિટી એન્ડ ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોરપોરેશન (સિડકો)એ સાઈટ નજીક રહેણાંક ઈમારતો બાંધવાની પરવાનગી આપવાની ધસીને ના પાડી દીધી છે. સત્તાવાળાઓએ એવી સ્પષ્ટતા કરી છે કે એરપોર્ટની સાઈટ તેમજ ફનેલ ફરતો ઓછામાં ઓછી પાંચ કિ.મી. ત્રિજયાનો વિસ્તાર રહેણાંક ઈમારતોથી મુક્ત હોવો જોઈએ.
નવા એરપોર્ટ માટે કેન્દ્ર સરકારે મંજુરી આપી દીધી હોવાથી નેશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (એનસીપી) અને કોંગ્રેસના ટોચના નેતાઓના એક જુથે હાલના જમીનના આરક્ષણોમાં ફેરફાર કરીને નવા એરપોર્ટ નજીક રહેણાંક ઝોન્સ ઊભા કરવાની પરવાનગી આપવા સિડકો પર દબાણ લાવવાનું શરૃ કરી દીધું છે.
'સિડકો'ના સ્ત્રોતોએ જણાવ્યું હતું કે સાઈટની આસપાસની જમીનના ઉપયોગમાં ફેરફાર કરાવવા અમુક ટોચના રાજકારણીઓએ અમારો સંપર્ક સાધ્યો હતો.
'એરપોર્ટ નજીક રહેણાંક મકાનો બાંધવાની પરવાનગી આપવાથી ત્યાં પક્ષીઓ આકર્ષાશે, જે વિમાનો માટે જોખમી બની શકે છે. વળી, આ વિસ્તારમાં ઊંચી ઈમારતો બાંધવા બિલ્ડરો અમુક વરસો બાદ વધુ એફએસઆઈ મેળવવા રાજકારણીઓને લાંચ આપશે, એમ 'સિડકો'નાએક અધિકારીએ જણાવ્યું હતું.
રાજ્ય સરકારનું પણ એવું માનવું છે કે એરપોર્ટની આસપાસ રહેણાંક બંધાવાથી આ વિસ્તારની સલામતી જોખમાશે. 'આવા મકાનો ત્રાસવાદી હુમલાનું જોખમ ઊભું કરી શકે છે', એમ અધિકારીએ વધુમાં જણાવ્યું હતું.
તાજેતરમાં નવી મુંબઈની મુલાકાત લેનારા ઈન્ટરનેશનલ સિવિલ એવિયેશન ઓર્ગેનાઈઝેશન (આઈસીએઓ)એ પણ 'સિડકો'ને આ બાબતમાં તકેદારી રાખવા જણાવ્યું હતું. રાજ્ય સરકારે 'સિડકો'ને વાઘીવલી ટાપુ યથાવત્ જાળવી રાખી ત્યાં કોઈ પણ પ્રકારના વસવાટની પરવાનગી ન આપવા જણાવ્યું છે. સુધરાઈઓને ઝૂંપડપટ્ટીથી મુક્ત રાખવા જણાવાશે. |