((પીટીઆઈ) નવીદિલ્હી/ચંદીગઢ, તા. ૯
હરિયાણાના હથની કુંડ બેરેજમાંથી છોડાયેલા પાણીથી યમુના નદીની જળ સપાટી વધવાની ધારણા હોવાથી દિલ્હી સરકારે નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સલામત સ્થળે ખસેડવાની કવાયત આદરી હતી. બીજી તરફ, પંજાબ અને હરિયાણામાં ચાલુ રહેલા મૂશળધાર વરસાદથી હરિયાણાનાં યમુનગર જિલ્લાના ૬૦ ગામ જળબંબાકાર થઈ ગયા હતા અને નદીઓ જોખમની સપાટીથી ઉપર વહેતી થઈ હતી.
હરિયાણા હથની કુંડ ડેમમાંથી છ લાખ ક્યુસેક પાણી છોડાતાં દિલ્હી પર પૂરનું જોખમ
હરિયાણા સરકારે બુધવારે હથની કુંડ બેરેજમાંથી આશરે ૬ લાખ ક્યુસેક પાણી છોડયું હતું, જે ગુરૃવારે સાંજે દિલ્હી પહોંચવાની ધારણા છે. આના કારણે યમુના નદીની જળસપાટી વધવાથી દિલ્હીના નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર થઈ જવાની શક્યતા છે. ગારહી માન્ડુ, ઉસ્માનપુર, બાટલા હાઉસ, મજની કા ટીલા, રિંગ રોડની આસપાસના નીચાણવાળા વિસ્તારો, યમુના બાઝાર અને કુદેશિયા ઘાટ વિસ્તારોને યમુના નદીના પુરનો કોપ સહન કરવાનો આવશે તેમ કહેવાય છે.
યમુના નદીમાં જળસપાટી વધતા પુર આવશે તો ૧૯૭૮ પછી આ સૌથી ખરાબ બીજુ પૂર બની રહેશે. નિષ્ણાંતોએ એવી ચેતવણી આપી છે કે મોડી રાતે યમુના નદીમાં પાણી ઓસરવા લાગે અને ઉપરવાસમાં વરસાદ અટકે નહિ તો રાષ્ટ્રીય રાજધાનીને ભારે પૂરનો કોપ સહન કરવામાં આવશે. ૧૯૭૮માં સાત લાખ ક્યુસેકથી વધુ પાણી યમુના નદીમાં છોડાયા પછી શહેરમાં ભારે પુર આવ્યું હતું, જેથી અસરને નાગરિકો ત્રણ દાયકા પછી પણ યાદ કરે છે.
દરમિયાન, પંજાબ અને હરિયાણામાં સતત મૂશળધાર વરસાદ ચાલુ રહેતાં હરિયાણાના યમુનાનગર જિલ્લાના ૬૦ ગામડાં જળ બંબાકાર બન્યાં હતાં. મોટા ભાગની નદીઓ જોખમની સપાટી પર વહેતી હોવાથી આ બધાં વિસ્તારોમાં પણ પરિસ્થિતિ વણસી રહી છે. હરિયાણાને ઉત્તર પ્રદેશની સાથે સાંકળતા અંબાલા-સહરાનપુર માર્ગ પર એક ફૂટ પાણી હોવાથી ટ્રાફિકને ભારે અસર પડી હતી.
હરિયાણાને હિમાચલ પ્રદેશ સાથે જોડતા યમુનાનગર-પોઆન્ટા સાહિબ નેશનલ હાઈવે ૭૩ નજીક ૨૦ ફૂટનું ભંગાણ પડતાં વાહન વ્યવહાર થંભાવી દેવાયો હતો. સતલજ નદી પર નાંગલના ભાકરા બંધ, તાંગરી અને મારકાનાડા નદીઓના તટપ્રદેશોને પૂરનો ડર સતાવી રહ્યો છે.