(પીટીઆઈ) જયપુર, તા. ૯
દેશભરમાં શનિવારે ગણેશ ચતુર્થી ઉજવવાની તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે જયપુરના મોતી ડુંગરી મંદિર ખાતે ભગવાન વિઘ્ન વિનાયકને ૧.૨૫ લાખ લાડુનો અનોખો ભોગ ચડાવવામાં આવ્યો છે. જેમાં ૩ લાડુ ૨૫૧ કિ.ગ્રા., પાંચ લાડુ ૫૧ કિગ્રા, ૨૧ લાડુ ૨૧ કિગ્રા, ૧૦૮ લાડુ ૧.૨૫ કિગ્રા, જેટલું વજન ધરાવે છે. જ્યારે બાકીના લાડુ વિવિધ કદનાં છે.
જયપુર પાસેના મંદિરમાં ભક્તોએ ૨૫૧ કિલોના ૩,૫૧ કિલોના પાંચ, ૨૧ કિલોના ૨૧ લાડુ સહિત સવા લાખ લાડુનો પ્રસાદ ચડાવ્યો
સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ મંદિરમાં ભગવાન ગણેશની મૂર્તિને ફુલોથી શણગારીને મુકવામાં આવી છે. ગણેશ ચતુર્થી માટે વિશેષ સ્ટેજ પણ બનાવવામાં આવ્યું છે અને તે દિવસે ગમેશજીની વિવિધ વાઘા પહેરાવીને સરઘસ કાઢવામાં આવશે. જેમાં રિદ્ધિ-સિદ્ધિ અને લાભ-શુભના પોશાકોનો પણ સમાવેશ થાય છે.
આ મંદિરના મહંત કૈલાશચંદ્ર શર્માએ જણાવ્યું હતું કે ભગવાન ગણેશને પહેરાવાનારા દરેક વાઘા ૨૮ મીટર લાંબા હશે અને સાથે ૧૮૦ વર્ષ જુનો સોનાનો મુગટ પણ ગણેશજીને માથે શોભશે. આ ઉપરાંત ચાંદીમાંથી બનાવેલી ધોતિ પણ ભગવાનને પહેરાવવામાં આવશે. આ ઐતિહાસિક મંદિર મોતિ ડુંગરી (મોતિ પર્વત) પાસે આવેલું છે અને દૂરથી પર્વતની ટોચ પર હિરો જડેલો હોય તેવું દ્રશ્ય મંદિરના કારણે ખડું થાય છે.
આ મંદિર જયપુરના ભૂતપૂર્વ શાસક મહારાજા માઘોસિંહના પુત્રએ મેળવ્યા બાદ તે આ જ પરિવારની અંગત મિલકત છે. આ જગ્યાએ જ સ્વ. રાજમાતા ગાયત્રિ દેવી અને તેમના પુત્ર જગતસિંહ રોકાતા હતા. ઉલ્લેખનીય છે કે શંકરગઢ કિલ્લામાં આવેલું આ પૌરાણિક મંદિર વર્ષોથી પ્રવાસીઓ અને યાત્રાળુઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે.