(પીટીઆઈ) નવી દિલ્હી, તા. ૯
ભારતીય સિનેમા ક્ષેત્રે આગવા પ્રદાન બદલ પીઢ ફિલ્મ નિર્માતા ડી. રામનાયડુને વર્ષ ૨૦૦૯ માટેની પ્રતિષ્ઠિત દાદા સાહેબ ફાળકે પુરસ્કારથી નવાઝવામાં આવ્યા છે. આ પુરસ્કાર તેમને ઓક્ટોબર મહિનામાં ગોવા ખાતે યોજાનારા ભારતના આંતરરાષ્ટ્રીય ફિલ્મ સમારોહમાં એનાયત કરાશે. આ પુરસ્કારમાં 'સુવર્ણ કમળ', રૃા. ૧૦ લાખની ધનરાશી અને એક શાલનો સમાવેશ થાય છે.
વિવિધ ભાષાઓમાં ૧૩૦થી વધુ ફિલ્મ બનાવનારા તેલુગુ નિર્માતાને ઓક્ટોબરમાં એવોર્ડ સાથે રૃા. ૧૦ લાખ અર્પણ થશે
આંધ્રપ્રદેશના પ્રકાશમ્ જીલ્લામાં કારામ્ચેક ખાતે ૧૯૩૬માં જન્મેલા રામનાયડુએ ૧૯૬૩માં તેમની પહેલી ફિલ્મ 'અનુરાગમ્' સાથે ફિલ્મ ક્ષેત્રે પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ સુપર સ્ટાર એન.ટી. રામારાવને લઈને તેમણે ૧૯૬૪માં ફિલ્મ બનાવી હતી. તેમણે છેલ્લા ૪૭ વર્ષમાં ભારતની અનેક ભાષાઓમાં ૧૩૦થી વધુ ફિલ્મોનું નિર્માણ કર્યું છે અને તેમનો ઉલ્લેખ ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ છે.
રામનાયડુએ તેલુગુ ઉપરાંત હિંદી, ગુજરાતી, બંગાળી, ઉડીયા, આસામી, મલયાલમ, તમિલ, કન્નડ, મરાઠી અને ભોજપુરી ભાષામાં પણ ઉત્તમ ફિલ્મો આપી છે. તેમની ફિલ્મ 'સુરિગડુ'ની ૧૯૯૩માં ભારતીય 'યેનો રામા'માં પસંદગી થઈ હતી. જ્યારે 'અસુખ' નામની બંગાળી ફિલ્મને ૧૯૯૯માં શ્રેષ્ઠ ફિલ્મનો રાષ્ટ્રીય એવોર્ડ મળ્યો હતો. તેમની ફિલ્મોને આંધ્રપ્રદેશ સરકાર દ્વારા પણ અનેક પુરસ્કારો એનાયત કરાયા છે.
આ પીઠ ફિલ્મ નિર્માતા સાથે કામ કરી ચુકેલા કલાકારોમાં સિવાજી ગણેશન, પન્દારિબાઈ, જમુના, પટમિનિ, કમલહસન, જયાપ્રદા, ચિરંજીવી, રજનિકાંત, રાજેશ ખન્ના, હેમા માલિની, રેખા, જીતેન્દ્ર અને શ્રીદેવીનો સમાવેશ થાય છે.
ઉલ્લેખનીય છે કે તેમણે બનાવેલી હિન્દી ફિલ્મોમાં પ્રેમનગર, દિલદાર, બંદિશ જ્યારે તેલુગુ ફિલ્મોમાં બોબ્બિલિ રાજા, અહના પેલાન્ત, આંધ્ર વૈભવમનો સમાવેશ થાય છે. આ ઉપરાંત રામનાયડુએ સ્ટુડીયો, રેકોર્ડીંગ અને ડબિંગ થિયેટર પણ ઉભા કર્યા છે જે હૈદરાબાદ અને વિશાખાપટ્ટનમ્ ખાતે કાર્યરત છે.