(પીટીઆઈ) નવીદિલ્હી, તા. ૯
યુપીએ સરકાર અને કોંગ્રેસ પક્ષ વચ્ચે ભૂમિસંપાદન મુદ્દે ચાલતી ચર્ચામાં નવો વળાંક આવ્યો છે. કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ વિશાળ ફળદ્રુપ જમીનોનો પટ્ટો ગુમાવ્યા વિના ઔદ્યોગિક હેતુઓ માટે જમીન સંપાદન કરવામાં સંતુલિત અભિગમની તરફેણ કરી હતી.
ઉદ્યોગો માટે ખેડૂતોની ફળદ્રુપ જમીન છીનવાય નહિ તેવી સમતોલ નીતિ ઘડવાની કોંગ્રેસ પ્રમુખની તરફેણ
સોનિયા ગાંધીએ એક જાહેર સમારંભમાં જણાવ્યું હતું કે નવા ઉદ્યોગો અને ઇન્ફ્રાસ્ટ્રકચરનું નિર્માણ જમીન સંપાદન કર્યા વિના થઈ શકે નહિ. આ સ્પષ્ટ છે, જેના વિશે કોઈ દલીલ થઈ શકે નહિ. પરંતુ ભૂમિસંપાદન એ રીતે થવું જોઈએ કે ફળદ્રુપ અને ખેતીલાયક જમીનોના વિશાળ પટ્ટાઓ ગુમાવવા પડે નહિ. ભૂમિસંપાદનના મુદ્દે ચાલતી વર્તમાન ચર્ચાના સંદર્ભમાં સોનિયા ગાંધીની ટીપ્પણી ખાસ મહત્ત્વ ધરાવે છે. આ મુદ્દે કોંગ્રેસના મહામંત્રી રાહુલ ગાંધીએ પણ તાજેતરમાં વડાપ્રધાન મનમોહનસિંહની મુલાકાત લઈને એવી ખાતરી મેળવી હતી કે ખેડૂતની જમીન સંપાદિત કરવાના મુદ્દે સરકાર નવો કાયદો લાવશે.
સોનિયા ગાંધીએ જણાવ્યું હતું કે ખેડૂતોની જમીનો સંપાદિત કરવામાં આવે ત્યારે તેમને પૂરતું વળતર અને વૈકલ્પિક ધંધો-રોજગાર મળવા જોઈએ. હરિયાણા જેવા પ્રગતિશીલ રાજ્યોએ આ બાબતે સારા કાયદા ઘડેલા છે અને અન્ય રાજ્યોએ તેનું અનુસરણ કરવું જોઈએ. પર્યાવરણના મુદ્દાને સ્પર્શતાં સોનિયાએ જણાવ્યું હતું કે આપણે નિશ્ચિતપણે વધુ વીજળીના ઉત્પાદનની જરૃર છે જેનાથી આપણાં ખેડૂતો, ફેકટરીઓ અને ઉદ્યોગોની જરૃરિયાત પૂરી પાડી શકાય. આની સાથોસાથ ટકાઉ વિકાસની ચોકસાઈ માટે પર્યાવરણનું રક્ષણ પણ આપણે કરવું જોઈએ.
તેમણે કહ્યું હતું કે આપણે જે પણ કરીએ, લીલાંછમ જંગલો અને પર્વતો જરૃરી છે તે ન ભૂલીએ. તેમના રક્ષણની આપણી જવાબદારી છે. નદીઓ અને સ્વચ્છ હવાની જાળવણી કરવાની પણ જરૃર છે. આપણી વસતિના તમામ વર્ગોને પોસાય તેવી વીજળી આપવાની આપણી જવાબદારી છે. જો આપણે આર્થિક વિકાસની ગતિને ટકાવવી હોય અને લોકોને ગરીબીમાંથી બહાર કાઢવા હોય તો વીજક્ષેત્રે અગ્રેસર બનવું પડશે.
સોનિયા ગાંધીએ કહ્યું હતું કે દેશની ભાવિ ઊર્જા જરૃરિયાતોના કારણે ઊર્જાના સ્વચ્છ અને રીન્યુએબલ સ્ત્રોતો તરફ ધ્યાન આપવાનું જરૃરી બન્યું છે. તેમણે દેશના તમામ ગામોને વીજળી પૂરી પાડવા રાજીવ ગાંધી ગ્રામીણ વિદ્યુતીકરણ પ્રોજેક્ટનો પણ ઉલ્લેખ કર્યો હતો. કોમનવેલ્થ ગેમ્સને વીજળી પૂરી પાડવાના. ઉત્તરપ્રદેશ સ્થિત દાદરી ખાતે વિદ્યુત પ્રોજેક્ટ રાષ્ટ્રને અર્પણ કરવાના સમારંભમાં તેઓ બોલી રહ્યાં હતાં.