(પ્રતિનિધિ દ્વારા)
સુરત, વડોદરા, રાજકોટ, તા. ૯
સમગ્ર ગુજરાતમાં મેઘરાજાની મહેર ચાલુ રહી છે. સૌરાષ્ટ્રમાં અનેક સ્થળે એકથી પાંચ ઇંચ વરસાદ વરસતાં લીલા દુકાળનો ભય સેવાય છે. મધ્ય ગુજરાતના વડોદરા, ભરુચ, સહિતના સ્થળોએ ભારે વરસાદથી પૂરનું સંકટ સર્જાયું હતું. વડોદરાની વિશ્વામિત્રી નદીમાં પૂરના કારણે નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર થયાં હતા. નર્મદા નદી ઓવરફલો થવાથી ભરુચ તેમજ નર્મદાના તટ પ્રદેશ વિસ્તારોને એલર્ટ કરાયા છે. સમગ્ર દક્ષિણ ગુજરાતમાં પણ દોઢથી આઠ ઇંચના વરસાદથી જનજીવનને ભારે અસર થઇ હતી. અને ૨૫૦૦ જેટલાનું સ્થળાંતર કરાવાયું હતું.
મધ્ય અને દ.ગુજરાતની નદીઓ ગાંડીતૂર ઃ સુરત જિલ્લામાં ૧,૦૦૦નું સ્થળાંતર ઃ સૌરાષ્ટ્રમાં એકથી પાંચ ઇંચ વરસાદથી લીલા દુકાળનો ભય
મધ્ય ગુજરાતના વડોદરા શહેરમાં ગઈકાલ રાતથી આજ સવારે નવ વાગ્યા સુધીમાં સાત ઇંચ વરસાદ ખાબકયો હતો અને સમગ્ર શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાવા સાથે નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સ્થળાંતર કરાવવું પડયું હતું. વડોદરાની વિશ્વામિત્રી નદીમાં પૂર આવેલ છે. કેવડિયા ખાતે નર્મદા બંધ ૧૨૧ મીટરની સપાટી વટાવી ઓવરફલો થતા નર્મદા નદીની જળસપાટી વધી હતી. જેના પરિણામે વડોદરા, ભરુચ અને નર્મદા જિલ્લાઓના નર્મદાકાંઠાના ગામોને એલર્ટ કરાયાં હતાં. મધ્ય પ્રદેશના ઉપરવાસમાં ભારે વરસાદ થવાથી નર્મદા નદી ઓવરફલો થઇ હતી. ભરુચ જિલ્લાના જંબુસરમાં છ ઇંચ વરસાદથી ગામડાંઓ બેટ જેવાં બની ગયાં હતાં. પંચમહાલ અને દાહોદમાં પણ ભારે વરસાદ પડયો હતો. મોટા ભાગની નદીઓ ગાંડીતૂર બની હતી.
દક્ષિણ ગુજરાતમાં નવસારીમાં સૌથી વધુ ૮ ઇંચ, જલાલપોરમાં અને વલસાડમાં ૭-૭ ઇંચ, ઉમરગામમાં ૬ ઇંચ, દાદરાનગર હવેલીમાં ૬ ઇંચ તથા દમણ-વાપીરમાં ૪ ઇંચ વરસાદ નોંધાયો હતો. તાપી જિલ્લાના વાલોડ તાલુકામાં ૬ ઇંચ, સૂરત શહેરમાં ૬ કલાકમાં ૪ ઇંચ અને કામરેજ તાલુકામાં ૪ ઇંચ વરસાદ ખાબકયો હતો. સુરત જિલ્લામાં ૨૨૦૦ અને નવસારી જિલ્લામાં ૨૯૦ લોકોનું સ્થળાંતર કરાવાયું હતું. મેઘરાજાની તોફાની ઇનિંગ્સથી ર્વત્ર જળ બંબાકારની સ્થિતિ સર્જાતા અનેક ગામડાંઓનો સંપર્ક કપાયો હતો. નવસારીની પૂણા અને અંબિકા નદીઓમાં ઘોડાપૂર આવ્યાં હતાં.
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે ગામડાં અને ખેતરો જળબંબાકાર થતાં લીલાં દુકાળનો ભય સેવાઇ રહ્યા છે. સૌરાષ્ટ્રના ૨૦થી વધુ તાલુકા મથકોમાં ૫૦ ઇંચથી વધુ વરસાદ ખાબકયો છે. જેમાં જામનગરના ખંભાળિયા તાલુકામાં ૯૫ ઇંચ વરસાદ પછી પણ ધોધમાર વરસાદ વરસે છે. રાજકોટમાં આજે દોઢ ઇંચ વરસાદ નોંધાયો હતો. વલ્લભીપુરમાં પાંચ, ભાવનગરમાં ચાર તથા અન્ય સ્થળોએ અડધાથી ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. બે ડઝન જેટલાં જળાશયો છલકાતાં નીચાણવાળા ગામો વિસ્તારોમાં ચિંતા સર્જાઈ હતી.