અમદાવાદ,
ઇશરત એન્કાઉન્ટર કેસમાં નવી સીટની રચના કરવા માટે ગુજરાત હાઇકોર્ટે આજે રાજય સરકાર અને કેન્દ્ર સરકાર પાસેથી સ્વચ્છ પ્રતિભા ધરાવતા અને તટસ્થ, કાબેલ એવા ઉચ્ચ પોલીસ અધિકારીઓના નામો મંગાવતો હુકમ કર્યો હતો. જસ્ટિસ જયંત પટેલ અને જસ્ટિસ અભિલાષાકુમારીની ખંડપીઠે તા.૧૬મી સુધીમાં આ નામો સુપ્રત કરી દેવા રાજય સરકાર અને કેન્દ્ર સરકારને તાકીદ કરી હતી. ઇશરત કેસમાં અગાઉ હાઇકોર્ટે રાયોટીંગ કેસોની તપાસ કરી રહેલી 'સીટ'ને તપાસ સોંપવા અંગેના કરેલા હુકમની સમીક્ષા માટે જાવેદના પિતા ગોપીનાથ પીલ્લાઇએ રિવ્યુ પીટીશન કરી હતી. જે કેસમાં તમામ પક્ષકારોની સુનાવણી પૂર્ણ થઇ જતા હાઇકોર્ટે તેનો ચુકાદો બાકી રાખ્યો હતો. કેસની વધુ સુનાવણી તા.૧૭મી પર રખાઇ હતી. આ દિવસે હાઇકોર્ટ નવી સીટ અંગેનો ચુકાદો જારી કરે તેવી શકયતા છે.
રિવ્યુ પીટીશનની આજની સુનાવણી દરમ્યાન હાઇકોર્ટે જાવેદના પિતા ગોપીનાથ પીલ્લાઇ પાસેથી પણ ચાર ઉચ્ચ પોલીસ અધિકારીઓના નામો માંગ્યા હતા. જેના પ્રત્યુત્તરમાં એડવોકેટ ડો.મુકુલ સિંહાએ રાજકોટ આર્મ્સ યુનિટના ડીઆઇજી રાહુલ શર્મા, જૂનાગઢ એસઆરપી ચોકીના ડીઆઇજી રજનીશ રાય, ગુજરાત પોલીસ હાઉસીંગ બોર્ડના એકઝીયુટીવ ડાયરેકકટર સતીષ વર્મા અને એસીબીના સ્પેશ્યલ ડાયરેકટર તીર્થરાજ એમ ચાર નામો આપ્યા હતા. હાઇકોર્ટે ગુજરાત સરકારને ચારથી પાંચ ઉચ્ચ પોલીસ અધિકારીઓના અને કેન્દ્ર સરકારને આર્મી, એનઆઇએ, સીબીઆઇ જેવી તપાસ એજન્સીઓમાંથી ચાર ઉચ્ચ પોલીસ અધિકારીઓના નામો આપવા તાકીદ કરી હતી.
દરમ્યાન રાજય સરકાર તરફથી એડવોકેટ જનરલ કમલભાઇ ત્રિવેદીએ જણાવ્યુ હતુ કે, હાઇકોર્ટે અગાઉ ડીઆઇજી પ્રમોદકુમાના વડપણ હેઠળ મોહન ઝા અને જે.કે.ભટ્ટની રચેલી 'સીટ'ને ચાલુ રાખી આ કેસમાં તેને તપાસ સોંપે તો પણ વાંધો નથી. કારણ કે, આ ત્રણેય ઉચ્ચ પોલીસ અધિકારીઓ વિશ્વાસુ, તટસ્થ અને કાબેલ છે. તેઓની વિરુદ્ધ કયારેય કોઇ આક્ષેપો કે શંકા થયા નથી. તે સંજોગોમાં વિખેરી નંખાયેલી આ સીટને તપાસ સોંપાય તો પણ ન્યાયના હિતમાં લેખાશે. જો કે, હાઇકોર્ટે આ મુદ્દો આખરી નિર્ણય વખતે વિચારાશે તેમ જણાવ્યુ હતુ. હાઇકોર્ટે રાયોટીંગ કેસોની તપાસ કરી રહેલી સીટને આ કેસની તપાસ સોંપવાનો હુકમ કરતા સીટ તરફથી એક અરજી કરી તેમના માટે આ તપાસ કરવી શકય નહી હોવાથી અદાલતને તેનો હુકમ પાછો ખેંચવા વિનંતી કરાઇ હતી. કારણ કે, તેમના ઉપર સુપ્રિમ કોર્ટના આદેશ મુજબ તપાસના હુકમોની જવાબદારી છે અને વધારાની કોઇ જવાબદારી તેઓ ઉપાડી શકે તેમ નથી. રાજય સરકાર તરફથી સ્પેશ્યલ પબ્લીક પ્રોસીકયુટર જે.એમ.પંચાલ અને મુખ્ય સરકારી વકીલ પ્રકાશ કે.જાની હાજર રહ્યા હતા.
|