અમદાવાદ,
અમદાવાદમા ગઇકાલથી શરુ થયેલો વરસાદ આજે પણ ચાલુ હતો. આજે સમગ્ર શહેરને કાળા ડિબાંગ વાદળોએ ઘેરી લેતાં ધોળે દિવસે પણ અંધકારનુ વાતાવરણ સર્જાયું હતું. જેને કારણે લોકો ભારે વરસાદ પડશે તેવા ડરથી ઘરમાં પૂરાઇ ગયા હતા. અમદાવાદમાં આજે સવારથી જ વરસાદ ચાલુ રહેતા વધુ બે ઇંચ પાણી ખાબક્યું હતું. વરસાદને લીધે માણેકચોક વિસ્તારમાં એક મકાન ધરાશાયી થયું હતું અને જમાલપુરમાં મકાનની ગેલેરી પડી હતી. જોકે આ બંને ઘટનામાં કોઇ જાનહાની ન થતાં તંત્રને રાહત થઇ હતી.
અમદાવાદમાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. જેમાં રોજ છૂટોછવાયો વરસાદ પડે છે. આજે પણ શહેરમાં સાંજે છ વાગ્યા સુધી બે ઇંચ વરસાદ પડયો હતો. જેમાં સૌથી વધુ પશ્ચિમ, નવા પશ્ચિમ, દક્ષિણ અને મધ્ય ઝોનમાં પડયો હતો. જોકે અમદાવાદમાં આજના વાતાવરણે લોકોને ભયભીત કરી મૂક્યા હતા. સવારથી જ શહેરને કાળા ડિબાંગ વાદળોએ ભરડામાં લીધું હતું. જેથી ધોળા દિવસે અંધકાર સર્જાયો હતો. લોકોએ દિવસના સમયે ઘરોમાં લાઇટો ચાલુ કરવી પડી હતી. આવા વાતાવરણ વચ્ચે નાગરિકોને ૮.૮.૧૦નો ૧૫ ઇંચ વરસાદ યાદ આવી ગયો હતો. વરસાદના ડરે લોકો ખાસ કામ વગર ઘરમાં જ પૂરાઇ રહ્યા હતા. ઓફિસમાંથી પણ સાંજે વહેલું કામ પતાવીને નાગરિકો ઘરભેગા થઇ ગયા હતા.
વરસાદના લીધે આજે માણેકચોક વિસ્તારમાં સાંકડીશેરીમાં આવેલી ગંગાધીયાની પોળમાં મકાન ધરાશાયી થઇ ગયું હતું. જ્યારે આવી જ એક ઘટનામાં જમાલપુરમાં કાચની મસ્જીદ પાસે નાની સાલીગ્રામની પોળમાં મકાનની ગેલેરી પડી ગઇ હતી. જોકે આ બંને ઘટનામાં કોઇ જાનહાનિ ન થતાં તંત્રને રાહત થઇ હતી. જમાલપુરની ઘટનામાં અશમાબાનુ નામની મહિલાને ઇજા થતાં તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ફાયરબ્રિગેડે ૧૨ વ્યક્તિને નીચે ઉતારી આપી હતી. વરસાદને લીધે ઇસનપુરમાં મિલ્લતનગર વિસ્તારમાં ભૂવો પડયો હતો. ઉપરાંત, મોટેરા, રાણીપ, ઘાટલોડિયા, વેજલપુર વગેરે વિસ્તારોમાં પાણી ભરાવાની ફરિયાદો મ્યુનિ. ચોપડે નોંધાઇ હતી. અમદાવાદમાં આજે વાદળો છતાં ભલે બે જ ઇંચ વરસાદ પડયો પરંતુ શુક્રવારે મોસમ વિભાગે ચાર ઇંચ વરસાદ પડવાની આગાહી કરી છે. શનિવારે પણ અઢી ઇંચ વરસાદની આગાહી કરવામા આવી છે.
|