નઅમદાવાદ, ગુરૃવાર
રિઝર્વ બેંક દ્વારા તાજેતરમાં વ્યાજદરમાં વધારો થવાના સંકેતો આપ્યા બાદ ખાનગી ક્ષેત્રની આગેવાન બેંકો દ્વારા વ્યાજદરમાં વધારાની જાહેરાત પણ કરી દેવાઈ છે. પરંતુ આ મુદ્દાની બીજી તરફ જોઈએ તો જાહેર ક્ષેત્રની બેંકો આ સિઝન પુરી ન થાય ત્યાં સુધી વ્યાજના દરમાં વધારો કરશે નહીં તેવું જાણવા મળે છે.
પીએનબી દ્વારા આકર્ષક યોજના જાહેર કરાઈ ઃ અન્ય બેંકો પણ તેને અનુસરે તેવી વકી
મળતી માહિતી મુજબ હાલમાં જ શરૃ થયેલી તહેવારોની સિઝન બે માસ જેટલી લાંબી ચાલે તેવી શક્યતા છે. તાજેતરમાં ગણેશોત્સવ ત્યાર બાદ નવરાત્રી, દશેરા અને દિવાળી જેવા તહેવારો આગામી બે માસમાં આવી રહ્યા છે. તહેવારોની સિઝનમાં નવા ઘર, નવી કાર તેમજ કેટલીક કન્ઝયુમર ડયુરેબલ્સ આઇટમોની ખરીદી કરતી હોય છે. કૃષિ ક્ષેત્રની વાત કરીએ તો આ સમયમાં ખેડૂતો ખરીફ મોસમની લણણી કરતી હોય છે.
આ વખતે દેશભરમાં થયેલ સારા વરસાદના કારણે અર્થતંત્ર ક્ષેત્રે ગુલાબી વાતાવરણ સર્જાવા પામ્યું છે. તેની અસર આ વખતે તહેવારોની સિઝનમાં નવી ઘરાકી ઉપર પણ સાનુકૂળ અસર થવાની શક્યતાઓ ઊદ્ભવી છે. નવા ઘર, કાર અને કન્ઝયુમર ડયુરેબલ્સ આઇટમોની માંગ વધશે તે સાથે ગ્રાહક વર્ષ લોન માટે પણ બેંકો તરફ વળે તે સ્વભાવિક બાબત છે.
આ ઉપરાંત અન્ય મહત્ત્વના કારણ પર દ્રષ્ટિપાત કરીએ તો રિઝર્વ બેંક આગામી તા. ૧૬ સપ્ટેમ્બરે નીતિવિષયક દરમાં ૦.૨૫ ટકાનો વધારો કરે તેવી શક્યતા છે. તો સાથોસાથ દેશનું અર્થતંત્ર ૨૦૦૯ની મંદીમાંથી ધીમે ધીમે મજબૂતાઈ તરફ પ્રયાણ કરી રહ્યું છે. આ તબક્કામાં જો ધિરાણ દરમાં વધારો થાય અથવા તો ઊંચા દર હોય તો તેની પ્રતિકૂળ અસર ધિરાણ વૃદ્ધિને થવાની સંભાવના છે. તાજેતરમાં ધિરાણ માંગમાં પણ એવરેજ સુધારો જોવા મળે છે. આમ, આ સુધારો જળવાઈ રહે તે દ્રષ્ટિબિંદુને જાહેર ક્ષેત્રની બેંકો ધ્યાનમાં રાખી રહી છે.
આ નિતીને ધ્યાનમાં લઈને તાજેતરમાં પંજાબ નેશનલ બેંક દ્વારા તહેવારોની સિઝનમાં સસ્તા દરની લોનની યોજના જાહેર કરવામાં આવી છે. જેમાં સ્થિર વ્યાજદર તેમજ ચૂકવણીનો સમય પણ લંબાવાયો છે. આ ઉપરાંત બેંક દ્વારા ડિસેમ્બર અંત સુધીમાં લોન પર કોઈ પ્રોસેસિંગ ફી તેમજ ડોક્યુમેન્ટ ચાર્જ પણ નહીં લેવાની જાહેરાત કરવામાં આવી છે. આ સિવાય બેંક દ્વારા બે નવી થાપણ યોજનાની પણ જાહેરાત કરાઈ છે. એજ્યુકેશન લોન માટે પણ બેંકે ખાસ યોજના બનાવી છે.
જાહેર ક્ષેત્રની ઇન્ડિય બેંક, દેના બેંક, યુનીયન બેંક સહિતની અન્ય બેંકો પણ આગામી તહેવારોમાં નવી યોજનાઓ રજૂ કરે તેવી શક્યતા છે. દરમિયાન ઇન્ડિયન બેંક ટૂંક સમયમાં સિલ્વાસા અને દમણ ખાતે તેની શાખા શરૃ કરવાની જાહેરાત કરાઈ છે. બેંકની ગુજરાતમાં વધુ ૫ બ્રાન્ચ ખોલવાની તેમજ ૧૩ નવા એટીએમ સ્થાપવાની યોજના હાથ ધરાઈ છે.