| |
આજ નું પંચાગ |
તા. ૧૦-૯-૨૦૧૦ શુક્રવાર
ભાદરવા સુદ બીજ (ત્રીજનો ક્ષય)
આજે કેવડાત્રીજ- હરિતાલીકાત્રીજ - સામવેદી શ્રાવણી
રમજાન ઈદ - મુ. સવ્વાલ મહિનો શરૂ
દિવસના ચોઘડિયા ઃ ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ.
રાત્રિના ચોઘડિયા ઃ રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ.
અમદાવાદ સૂર્યોદય ઃ ૬ ક. ૨૭ મિ., સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૪૭ મિ.
સૂરત સૂર્યોદય ઃ ૬ ક. ૨૬ મિ., સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૪૬ મિ.
મુંબઈ સૂર્યોદય ઃ ૬ ક. ૨૬ મિ., સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૪૫ મિ.
નવકારસી સમય ઃ (અ) ૭ ક. ૧૫ મિ., (સૂ) ૭ ક. ૧૪ મિ., (મું) ૭ ક. ૧૪ મિ.
જન્મરાશિ ઃ આજે રાત્રે ૨૯ ક. ૦૧ મિ. (શુક્રવારની રાત્રિ અને શનિવારની વહેલી પરોઢ સવારના ૫ ક. ૦૧ મિ.) સુધીમાં જન્મેલ બાળકની કન્યા (પ.ઠ.ણ.) રાશિ આવશે. ત્યારપછી જન્મેલ બાળકની તુલા (ર.ત.) રાશિ આવે.
નક્ષત્ર ઃ હસ્ત સાંજના ૬ ક. ૧૧ મિ. સુધી પછી ચિત્રા.
ગોચર ગ્રહ ઃ સૂર્ય - સિંહ, મંગળ - તુલા, બુધ - સિંહ, ગુરૂ - મીન, શુક્ર - તુલા, શનિ - કન્યા, રાહુ - ધન, કેતુ - મિથુન, હર્ષસ (યુરેનસ) - મીન, નેપચ્યુન - કુંભ, પ્લુટો - ધન, ચંદ્ર - રાત્રે ૨૯ ક. ૦૧ મિ. સુધી કન્યા પછી તુલા.
વિક્રમ સંવત ઃ ૨૦૬૬, શાકે ઃ ૧૯૩૨, જૈનવીર સંવત ઃ ૨૫૩૬
વિક્રમ સંવત્સર ઃ પ્લવ, શક સંવત્સર ઃ વિકૃતિ, દક્ષિણાયન શરદ ઋતુ, ભાદરવા સુદ બીજ ને શુક્રવાર. ભાદરવા સુદ ત્રીજનો ક્ષય છે. સામવેદી શ્રાવણી. વરાહ જયંતી. કેવડાત્રીજ, હરિતાલિકા ત્રીજ. મુ. રમજાન ઈદ. મુસલમાની શવ્વાલ મહિનો શરૂ. આજે સામવેદી ભૂદેવોએ તેમજ સ્વામિનારાયણ સંતોએ જનોઈ બદલવી.
મુસલમાની હજિરીસન ૧૪૩૧ શવ્વાલ માસનો પ્રથમ રોજ (રમજાન ઈદ)
પારસી શહેનશાહી વર્ષ ૧૩૮૦ ફરવરદીન માસનો તેવીસમો રોજ દએપદીન.
|
| [Top] |
| |
|
આજ નું ભવિષ્ય |
મેષ ઃ સીઝનલ ધંધામાં આવક થાય. નોકરીના કામમાં સગા, સંબંધી-મિત્રવર્ગના કારણે રૂકાવટ જણાય. વાહન ધીમે ચલાવવું.
વૃષભ ઃ નોકરચાકર, સહકાર્યકરવર્ગની તકલીફ બીમારીના કારણે તમારા કામમાં ધીરજ રાખવી પડે. મકાન-વાહનના ધંધામાં સંભાળવું.
મિથુન ઃ આડોશ-પાડોશના પ્રશ્ને, નોકરી-ધંધાના પ્રશ્ને અન્યના કારણે આંતરિક મનોવ્યથા-વિચારોમાં અટવાયેલા રહો.
કર્ક ઃ બહારગામના ધંધામાં સાનુકૂળતા રહે, ધંધો મેળવી શકો. ધર્મકાર્ય-શુભકાર્ય અંગે ચર્ચા-વિચારણા થાય.
સિંહ ઃ કૌટુંબીક કામકાજમાં, સામાજિક કામમાં, પત્ની-સંતાનના કામ અંગે ખર્ચ-ચિંતા રહે. તમારૂં નોકરી-ધંધાનું કામકાજ કરી શકો.
કન્યા ઃ મસ્તક, કમરપીડાના કારણે, માનસિક હતાશા-વિચારોના કારણે પત્ની સાથેના વિવાદના કારણએ શાંતિ, રાહત જણાય નહીં.
તુલા ઃ કાનૂની કામમાં, બેંકના, સરકારી હિસાબી કામકાજમાં, નાણાંની લેવડદેવડમાં, ભાગીદારીવાળા ધંધામાં ચિંતા રહે.
વૃશ્વિક ઃ વાણીની મીઠાસ-વ્યવહારની નમ્રતાથી નોકરી-ધંધાનું કામકાજ કરી શકો. પરંતુ શેરોના ધંધામાં ઘ્યાન રાખવું.
ધન ઃ નોકરી-ધંધાના કામમાં ચિંતા છતાં આપે વ્યસ્ત રહેવું પડે. ટ્રાવેલ્સના ધંધામાં, સીઝનલ ધંધામાં ઘ્યાન રાખવું.
મકર ઃ આકસ્મિક કોઈને મળવાનું થાય. હૃદય-મનની પ્રસન્નતા રહે. વધારાના કામ અંગે ચર્ચા વિચારણા થાય.
કુંભ ઃ નાણાંની જવાબદારીવાળા કામમાં, ખર્ચખરીદી કરવામાં આપને મુશ્કેલી અનુભવાય. સામાજિક, વ્યવહારિક કામ આવી જાય.
મીન ઃ સરકારી નોકરી હોય તેમને જવાબદારી વધે, સ્થળની ફેરફારી થાય. ધંધામાં, પરદેશના કામમાં રૂકાવટ જણાય.
|
| [Top] |
| |
|
સુપ્રભાતમ્ |
સ્ત્રીઓમાં કોણ શાંતા ? સીતા. રાજા સૌથી કોણ ગુણોત્તમ ? રામ. વિદ્વાનો માટે કોણ વંદ્યા ? વિદ્યા. અહીં જ જવાબ કહ્યા છે પણ જડતાં નથી !
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક
|
| [Top] |
| |
|
| |
આજ નું ઔષધ |
ડ્યુઓડીનલ અલ્સર આયુર્વેદથી મટી શકે છે
ઉગ્ર સ્વભાવવાળી વ્યક્તિને આ રોગ થવાની સંભાવના વિશેષ રહે છે એટલે ગુસ્સા પર કાબુ મેળવવો.
નવા જમાનામાં ખાટા, તીખા, તળેલા અને વાસી ખોરાકની વપરાશ વધી, વાઈનની વપરાશ ફેશન બની. આપણાથી વધારે સુખી માણસોનો વાદ કરવાનું વઘ્યું, ચિંતા અને ગુસ્સો વઘ્યો વિ. માનસિક વેગો વધવાથી પિત્ત વધે છે અને અલ્સર જેવા રોગો ઉત્પન્ન કરે છે. અલ્સર એટલે ચાંદુ. શરીરના ઘણાં અંગોમાં આ રોગ થાય છે. સ્ટમક અલ્સર, કોલનનું અલ્સર, ડ્યુઓડીનલ અલ્સરના દર્દીઓનું પ્રમાણ વધારે હોવાથી, આ નામો જાણીતાં છે. આપણે આજે ડ્યુઓડીનલ અલ્સર વિશે વિચારશું.
હોજરી ઉપર અન્નનળી સાથે અને નીચે નાના આંતરડા સાથે જોડાયેલી હોય છે. આંતરડાના શરૂઆતના આઠ આંગળ ભાગને ગ્રહણી (ડ્યુઓડીનલ) કહે છે. હોજરી સાથે જોડાયેલા નાના આંતરડાની શરૂઆતનાં ભાગમાં થતાં ચાંદાને ડ્યુઓડીનલ અલ્સર કહે છે. આયુર્વેદનાં પરિણામ શૂલ સાથે સરખાવી શકાય. આ શૂલ ખોરાક લીધા પછી બેથી ત્રણ કલાકે ઉપડે છે. હોજરી ખોરાક વિનાની ખાલી પડી હોય તો હોજરીની જમણી બાજુમાં શૂલ ઉપડે છે. પિત્તશામક ખાવાથી શૂલ સમે છે. આને હંગર પેઈન કહે છે. એક સર્વે મુજબ કુલ દર્દીઓના ચાર ટકા દર્દીઓ અલ્સરનાં હોય છે. હોજરી કરતાં ગ્રહણીના દર્દીઓ વિશેષ હોય છે. પિત્તવર્ધક આહાર અને ક્રોધાદિ માનસિક વેગોથી હોજરીમાં એસિડ, પેપ્સીન અને વાયુ વધે છે. હોજરીના આ પાચકરસોની તીવ્રતાથી હોજરી અને ગ્રહણીમાં અસ્લર ઉત્પન્ન થાય છે એટલે આ અલ્સરને પેપ્ટીક અલ્સર પણ કહે છે. તીવ્ર એસિડીટીની યોગ્ય ચિકિત્સા નહીં કરાવથી અને ખાટા તીખા, પિત્તવર્ધક પદાર્થો ખાવાનું ચાલુ રાખવાથી આ અલ્સરનું પેઈન તીવ્ર બને છે. દાંતના જૂના રોગોથી, ગળાનાં જુના સોજાથી અને નાકની જૂની શરદીનો ચેપ પેટમાં જાય તો અલ્સર થઈ શકે છે. એસ્પીરીન, કેફેન, આઈબુ્રફેન સોમલ, એન્ટીબાયોટિક વગેરે તીવ્ર ઔષધો મોટા ડોઝમાં કે લાંબો સમય લેવાથી આ વ્યાધિ થઈ શકે છે. આ શૂલ રાત્રે બાર વાગ્યાની આસપાસ તીવ્ર બને છે. એક અભિપ્રાય એવો છે કેર્ ં (ઓ) બ્લડગૃપવાળી વ્યક્તિને અલ્સર થવાની શક્યતા રહે છે.
આ શૂલમાં શરીરની મઘ્યરેખાથી જમણી તરફ પેટમાં દુઃખે છે. મોઢામાં પ્રવાહી આવ્યા કરે છે, પરેજી નહીં પાળવાથી, ચિકિત્સામાં ઘ્યાન નહીં આપવાથી અલ્સરમાંથી રક્તસ્ત્રાવ થાય છે. આ રક્ત મળ મારફત બહાર આવે છે. અલ્સર ઔષધ ઔષધ સાઘ્ય હોય તો આયુર્વેદનાં ઔષધો સારૂ કામ કરે છે.આ વ્યાધિની ચિકિત્સામાં પથ્યનું ખૂબ જ મહત્ત્વ છે. ઉષ્ણ, તીક્ષ્ણ, તીખો, ખાટો આહાર બંધ કરવો. ઉગ્ર સ્વભાવવાળી વ્યક્તિને આ રોગ થવાની સંભાવના વિશેષ રહે છે એટલે ગુસ્સા પર કાબુ મેળવવો. આરામ કરવો. આંતરડા તરફ આવેલ આમાશય દ્વારમાં સોજો આવવાથી કે સ્પાજમ થવાથી તીવ્ર શૂલ ઉપડે છે. આ શૂલ ઉલટી થવાથી શાંત થાય છે. શતાવરીમંડૂર, સુવર્ણસુતશેખર, પ્રવાલપંચામૃત યોગ્ય માત્રામાં મેળવી શતાવરીઘૃત સાથે લેવું. સવાર સાંજ નિયમિત લેવું. ભૂનિમ્બાદિ કવાથ સવાર સાંજ લેવો. શૂલવજ્રિણીવટી જમ્યા પછી લેવી. દર બે કલાકે ૨ ઔંસ દૂધ લેવું. આ ઉપરાંત ચંદ્રકલારસ, પ્રવાલપિષ્ટિ, સપ્તામૃતલોહ વિ.માંથી એક બે પસંદ કરી શરૂ કરવા. આ વ્યાધિમાં ચા કોફી તમાકુ અને વાઈન લેવાથી શૂલ ઉપડે છે.
ઘૃમ્રપાનથી પણ વધે છે. તીવ્ર ગુસ્સાથી છાતીમાં દાહ શૂલ વધે છે. રક્તસ્ત્રાવ થાય, છાતીમાં દાહ થાય અને તીવ્ર શૂલ ઉપડે તો સંપૂર્ણ આરામ કરવો જોઈે. રક્તસ્ત્રાવ બધ થતો હોય નહીં તો તાત્કાલિક નિષ્ણાંતની સલાહ લેવી કે હોસ્પિટલમાં દાખલ થવું. સમય બગાડવો નહીં. તીવ્ર અવસ્થામાં આહાર બંધ કરવો. દર બે કલાકે ૨ ઔંસ દૂધ લેવું. દિવસમાં ત્રણ વખત શતાવરીઘૃત એક ચમચી લેવું. અર્ધા ઇંચથી નાનું અલ્સર હોય તો ઔષધ, આરામ અને પથ્ય આહારથી મટી શકે છે. અર્ધા ઇંચથી વધારે હોય તો ઓપરેશન જરૂરી બને છે. ઔષધ ચિકિત્સાથી નાના અલ્સરનાં દર્દીઓ સારા થયાનાં ઘણા દાખલા છે. આપણી બેદરાકરીથી આ રોગ આગળ વધે છે. આ વ્યાધિમાં ચિકિત્કસનું માર્ગદર્શન જરૂરી છે.
- શાંતિભાઈ અગ્રાવત
|
| [Top] |
|
| |
આજ ની જોક |
છગન અને લીલી હંમેશની માફક મુંબઇના ગેટ-વે ઓફ ઇન્ડિયાની પાળ ઉપર બેઠા હતા. થોડી વાતચીત કરીને છગન બોલ્યો, ‘ચાલો, સામે તાજમાં ચા પીવા જઈએ અને પછી ત્યાંના બ્યુટી પાર્લરમાં હું સેવીંગ કરાવીશ અને તું ફેસીઅલ કરાવી લે જે !’
લીલી છગન સામે જોઈ રહી પછી થોડી વારે બોલી, ‘આટલા બધા પૈસા ક્યાંથી આજે તારી પાસે આવી ગયા ? હજી ગયા મહિને આપણે મળ્યા ત્યારે અહિંના શીંગ વેચનાર ફેરીયાએ શીંગની પડીકીના દસ રૂપિયા કહેલા એમાં તો એં એની સાથે ઝગડો કરેલો ! શું લોટરી લાગી છે કે શું ?’
‘પૈસા આવ્યા એટલું સાચું પણ એ લોટરીના નથી પણ,’ છગન બોલ્યો, ‘મારા ભૂલકણા સ્વભાવના કારણે-’
‘શું ? શું કહ્યું ?’ લીલી બોલી, ‘ભૂલકણા સ્વભાવના કારણે ? ભૂલકણા સ્વભાવને અને રૂપિયાને શું સંબંધ ?’
‘જો, સાંભળ ! છગને કહ્યું, ‘મારા એક કાકા અબજોપતિ છે એ જાણે છે ને તું ? એમને બે દિવસ પહેલાં એકાએક હાર્ટએટેક આવ્યો અને ડોકટરને તાત્કાલિક બોલાવવા પડે એવું થઇ ગયું પણ ડોકટરનો મોબાઈલ નંબર તો હું ભૂલી જ જાવ છું એટલે ડોકટરને બોલાવી શકાયા નહીં અને કાકાજી ચાલી ગયા ! એમણે એમને કોઇ સંતાન કે મારા સિવાય સગું નહોતું એટલે વસીયત નામામા..’
‘સમજી ગઈ ! સમજી ગઈ !’ લીલી બોલી, ‘બઘું સમજી ગઈ...’
|
| [Top] |
| |
|
|
આજ ની રેસીપી |
કોળાનો સૂપ
સામગ્રી ઃ ૩૦ ગ્રામ માખણ, ૧ ડુંગળી, સમારેલી, ૨૦૦ ગ્રામ કોળાના ટુકડા, ૧ કપ શાકનો સ્ટોક, ૧/૪ ચમચી જાયફળ, ૧/૪ ક૫ દૂધ, ૧/૨ ચમચી કાળાં મરીનો પાઉડર, મીઠું સ્વાદાનુસાર.
રીત ઃ એક સોસપેનમાં માખણ ઓગાળો. એમાં ડુંગળી સોનેરી થાય ત્યાં સુધી સાંતળો. કોળાના ટુકડા, સ્ટોક, મીઠું, જાયફળ નાખી થોડીવાર ઉકાળો. ઠંડુ થાય પછી પ્યૂરી બનાવો. દૂધ અને મરી નાખી ફરી ગરમ કરો.
|
| [Top] |
|