| Last Update : 09-Sept.-2010, Thursday |
|
|
|
|
|
|
નુકશાન-હડતાળ |
| |
હડતાળો પ્રજા માટે સજા સમાન બની ગઈ છે. મોંઘવારીના વિરોધમાં મજૂર સંઘોની હડતાળે પ્રજાને પરેશાન કરી મુકી હતી. રાજસ્થાનમાં રેસીડેન્ટ ડૉક્ટરો હડતાળ પર ઉતર્યા એટલે ૫૦ દર્દીઓ સારવારના અભાવે મૃત્યુ પામ્યા હતા તો સફદરગંજ હોસ્પિટલના રેસીડેન્ટ ડોક્ટરો છેલ્લા બે દિવસથી હડતાળ પર છે. પોતાની માગણીઓ રજૂ કરવા લોકશાહીમાં હડતાળ એ હક છે પરંતુ જવાબદાર લોકો જ્યારે હક માટે મેદાનમાં આવે છે ત્યારે અનેક લોકો ત્રાહિમામ પોકારી જાય છે. કોંગ્રેસનું ઘટક મોંઘવારી સામે આંદોલન કરે ત્યારે આશ્ચર્ય થાય છે. કોંગ્રેસના નેતૃત્વવાળી યુપીએ કેન્દ્ર સરકારના હાથમાં મોંઘવારીનું વિષચક્ર રહેલું છે. કોંગ્રેસ ધારે તો સુધારણાના અનેક પગલાં લઈ શકે છે. જ્યાં મજૂર સંઘોનું વર્ચસ્વ છે ત્યાં જનજીવનને ગંભીર અસર પહોંચી હતી અને જ્યાં વર્ચસ્વ નહોતું ત્યાં કોઈ અસર નહોતી પરંતુ બેન્કિંગ સેવાઓને તો દેશભરમાં અસર પહોંચી હતી. હડતાળ એ લોકશાહીનું અસરકારક શસ્ત્ર છે પરંતુ હવે તે અસરકારક રહેવાના બદલે એક શૉ-બાજી સમાન બની ગયું છે. રેસીડેન્ટ ડોક્ટરોની હડતાળ પાછળના સત્વને સરકારે સમજવાની જરૂર છે. દર્દીના સંબંધીઓ જ્યારે કાયદો હાથમાં લઈને મારા-મારી કરવા પર ઉતરી આવે ત્યારે સરકારે ડોક્ટરોની સલામતી અંગે વિચારવાની જરૂર છે. દર્દીના સંબંધીઓ તપાસમાં ઢીલાશ કે પોતાના સ્વજનના મૃત્યુ બાબતે દર્શાવાતી બેદરકારી સહન કરી શકતા નથી. તેમનો રોષ તેઓ હાજર સ્ટાફ ઉપર કાઢે છે. ઘણી જગ્યાએ હોસ્પિટલ સ્ટાફની હોતી હૈ - ચલતી હૈ વાળી નીતિ જોવા મળે છે. દર્દીની સારવારના બદલે પોતાની ચા ઠંડી ના પડી જાય તેનું ઘ્યાન રાખતો હોસ્પિટલનો સ્ટાફ દર્દીના સંબંધીઓના ગુસ્સાનો શિકાર બને છે. ડોક્ટરો માટે કેટલીક બાબતો રૂટીન હોય છે જ્યારે દર્દીના સંબંધીઓ માટે તે અસહ્ય હોય છે. અહીં મૂળ સમસ્યા હોસ્પિટલ મેનેજમેન્ટની છે. નબળું મેનેજમેન્ટ ડૉક્ટરોને કંઈ કહી શકતું નથી અને બીજી તરફ દર્દીના સંબંધીઓ લીમીટ ના વટાવે તેવી સવલત ઊભી કરી શકતું નથી. રેસીડેન્ટ ડોક્ટરોની હડતાળ એ સેવાભાવની ભાવનાને ભાંગીને ભુક્કો કરતી સ્થિતિ છે પરંતુ દરેકને સલામતીની જરૂર છે. દર્દીઓના સંબંધીઓને છુટ્ટો દોર આપી શકાય નહીં. આ રીતે તો ડોક્ટર ઘરની બહાર પણ ના નીકળી શકે. અહીં એ પણ ઉલ્લેખનીય છે કે વઘુ પૈસા લેતી અને દર્દીઓને ખંખેરી લેતી હોસ્પિટલોમાં દર્દીઓની ખબર કાઢવાનો સમય નિશ્ચિત હોય છે. તેઓ ચૂપચાપ બહાર બેસી રહે છે પરંતુ સરકારી અને અર્ધ સરકારી હોસ્પિટલોમાં મોટાપાયે લાલીયાવાડી ચાલે છે. અહીં કોઈ રણી-ધણી નથી હોતું. રાજકીય વગ ધરાવતા લોકો દમ મારીને કામ કરાવે છે પોતાના મતવિસ્તારના દર્દીને તમામ સવલતો મફતમાં મળે એવો આગ્રહ તેઓ રાખતા હોય છે. આ રાજકારણીઓ જ દર્દીના સગાઓને ઉશ્કેરતા હોય છે. હોસ્પિટલોમાં ડોક્ટરોની હડતાળ એ ગરીબો અને મઘ્યમવર્ગ માટે તો મોતની કંકોત્રી સમાન બની જાય છે. સરકારે હોસ્પિટલના નિયમોને વઘુ કડક બનાવવાની જરૂર છે અને સરકારી હોસ્પિટલોમાં ચાલતી લાલીયાવાડી બંધ કરી રાજકારણીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવો જોઈએ. દર્દીઓએ હોસ્પિટલના કાયદા-કાનૂનને માન આપવું જોઈએ. ઑવરઓલ હડતાળ એ લોકશાહીમાં ભલે સબળું શસ્ત્ર છે પરંતુ અંતે તો તે મોટું નુકશાનકારક છે.
ચાંદીને ‘ચાંદી’
ચાંદીની કિંમતને ‘ચાંદી’ થઈ ગઈ છે. ચાંદીના ભાવવધારાએ સોનાને પણ ઉચક્યું છે. ઝવેરી બજારોમાં ચાંદી, તેજીના પંથે છે. ચાંદીના ઉત્પાદનમાં બ્રેક વાગતાં આ બજારો ઉછળેલાં રહ્યા છે. ચાંદીમાં ભાવવધારાનો સીલસીલો દિવાળી સુધી ચાલુ રહેશે એમ માનવામાં આવે છે. ગણપતિ સ્થાપન, નવરાત્રિ અને દિવાળીના તહેવારો દરમ્યાન સોના-ચાંદીના ભાવોમાં વધારો જોવા મળશે. આ સમય સોના-ચાંદી ખરીદવાનો છે. ગુજરાત અને રાજસ્થાનના પરિવારો આ સીઝનમાં સોના-ચાંદીની ખરીદી કરતા હોય છે. ચાંદીના ભાવો વધતાં ઘણાં લોકો ચાંદીની જુની ચીજો વેચવા કાઢશે. આમ બજારમાં ભલે ચાંદીનું ઉત્પાદન ઓછું હોય પણ માગ વધવાની સાથે વેચવાલી પણ વધશે. આમ ચાંદીના બજારને ‘ચાંદી’ લાગી છે. સોનાના ભાવો પણ આ તબક્કે તેજીની છાંટવાળા છે. તહેવારોમાં આ ભાવોને બુસ્ટ મળે એમ છે. અમેરિકામાં મંદી હટતી નજરે પડી રહી હોઈ તેની અસરો સોના-ચાંદીના બજારો પર થઈ છે. ચાંદી આપણે ત્યાં સોના પછી નંબર-ટુ તરીકે ગણત્રીમાં લેવાય છે. ચાંદી પર સટ્ટો રમનારો મોટો વર્ગ છે. આ લોકો ઊંચા ભાવને પકડી રાખશે એમ મનાય છે. ચાંદીનું ઉત્પાદન ઘટ્યું છે અને માગ વધી છે એ સાથે સાથે ચાંદીમાં રોકાણકારો પણ વઘ્યા છે. સટ્ટા બજારમાં ચાંદી હોટકેક છે. ચાંદીના ભાવ વધારાનો ટ્રેન્ડ તેને તેજી તરફ દોરી ગયો હતો. તહેવારો ચાંદીને ઉપર તરફ ખેંચશે. સટ્ટાબજાર, ઓછું ઉત્પાદન અને તહેવારો ચાંદીને વઘુ ચમકાવશે.
|
|
|
|
|
| |
|
|
|
| |
|
|
|
|
Gujarat Samachar © 2010, All Rights Reserved |
|
|