નનવી દિલ્હી, તા.૮
ઝારખંડમાં ત્રણ મહિના સુધી રાષ્ટ્રપતિશાસન પછી ઝારખંડમાં ભાજપ-ઝારખંડ મુક્તિમોરચા યુતિ હેઠળની નવી સરકાર રચાઇ રહી છે, જે દસ વર્ષમાં આઠમી સરકાર હશે. સામાન્ય રીતે રાજ્યમાં કોઇ પક્ષની સરકાર રચાય તો એ પક્ષ માટે આનંદઉત્સવની બાબત હોય, પણ પરંતુ ઝારખંડની સ્થિતિ જુદી છે. સરકારની રચના બાબતે પક્ષમાં ઉદાસી અને મૂંઝારાનો માહોલ છે.
ખુશીના પ્રસંગે ઉદાસી હોવાનું કારણ એ કે અગાઉ ભાજપે સરકાર રચવાના ઘણા પ્રયાસ કર્યા હતા પરંતુ ઝારખંડ મુક્તિમોરચાએ ટેકો પાછો ખેંચી લેતાં એ પ્રયાસ નિષ્ફળ નીવડયા હતા. કપાત પ્રસ્તાવ પર સોરેને ભાજપવિરુદ્ધ મતદાન કર્યું તેનાથી ભાજપમાં નારાજગી ફેલાઇ હતી. સોરેનનું આ પગલું વિશ્વાસઘાત ગણાયું હતું. સોરેને પલટી મારતાં તેમની સાથે સરકાર રચી શકાઇ નહીં, તેનાથી ભાજપનું વધારે ખરાબ દેખાયું હતું.
સ્વાભાવિક રીતે જ પત્રકારો તરફથી પૂછાનારા અકળાવનારા સવાલોને ધ્યાનમાં રાખીને ગઇ કાલે ભાજપે પત્રકારો સાથેની તેની નિયમિત વાતચીત બંધ રાખી હતી. પક્ષના વરિષ્ઠ નેતાઓનો સંપર્ક કરવાના પત્રકારોના પ્રયાસ પણ નિષ્ફળ નીવડયા હતા. આજે પક્ષના પ્રવક્તા પ્રકાશ જાવડેકરે પણ ઝારખંડ વિશેના સવાલોના જવાબ ટાળતાં ફક્ત યુપીએ સરકાર દ્વારા થયેલી ચીફ વિજિલન્સ કમિશનરની નિમણૂંકની જ ટીકા કરી હતી. ઝારખંડ વિશે તેમણે એટલું જ કહ્યું કે 'આ નિર્ણય ઝારખંડના સ્થાનિક એકમનો હતો અને એક વાર સોગંદવિધિ થઇ જાય પછી એ વિશે હું તમારી સાથે વાત કરીશ.'
આંતરિક વર્તુળોના જણાવ્યા પ્રમાણે ભાજપના જમશેદપુરના ધારાસભ્ય અર્જુન મુંડાની આગેવાની હેઠળ સરકાર રચવાના નીતિન ગડકરીએ લીધેલા નિર્ણયથી ભાજપમાં પણ બે ભાગ પડી ગયા છે. અડવાણી, મુરલી મનોહર જોષી, સુષ્મા સ્વરાજ અને અરુણ જેટલી જેવા વરિષ્ઠ નેતાઓ આ નિર્ણયના વિરોધી છે.
અગાઉ ભાજપે ઝારખંડમાં સોરેનની મદદથી સરકાર રચવાનો પ્રયાસ કર્યો ત્યારે મુરલી મનોહર જોષીએ જાહેરમાં તેની ટીકા કરી હતી. પરંતુ હવે બીજા વરિષ્ઠ નેતાઓ પણ તેમને કે પક્ષની સંસદીય સમિતિને વિશ્વામાં લીધા વિના ગડકરીએ લીધેલા નિર્ણયથી દુઃખી થયા છે. સરકારને ટેકો પાછો ખેંચવાનો નિર્ણય સંસદીય સમિતિને વિશ્વાસમાં રાખીને લેવામાં આવ્યો હતો.
પક્ષના મુખ્ય નેતાઓના જૂથની બેઠકમાં પણ સૌનો અભિપ્રાય ઝારખંડમાં સરકાર રચવાની તરફેણમાં ન હતો. પક્ષના એક નેતાએ નામ નહીં આપવાની શરતે જણાવ્યું કે 'એક રાજ્યમાં સરકાર રચાવાથી પોતાની સિદ્ધિમાં ઉમેરો થશે એવું ગડકરીને લાગે છે.' સૌને બીક સોરેનના અસ્થિર સ્વભાવની છે. તેમનો એ સ્વભાવ જોતાં નવી રચાનારી સરકાર પણ લાંબું ખેંચશે કે કેમ એ શંકા રહે છે. એને બદલે નવેસરથી ચૂંટણી વધારે ફાયદાકારક થાય એવું તેમને લાગે છે.
ભાજપનાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે મોસ્કોથી પાછા ફરેલા ગડકરીએ ઝારખંડમાં પક્ષના પ્રમુખ રઘુબાર દાસને નવી સરકારની રચનામાં આગળ વધવા કહી દીધું હતું. ત્યાર પછી અર્જુન મુંડાને નેતા તરીકે ચૂંટી કાઢવામાં આવ્યા.
હિંદી રંગમંચને પ્રોત્સાહન
હિંદી નાટયપ્રવૃત્તિને પ્રોત્સાહન આપવા અને નવી પ્રતિભાઓ શોધવા માટે ભીલવારા જૂથના અધ્યક્ષ એલ.એન.જે.ઝુનઝુનવાલાએ 'ભીલવારા નાટય પુરસ્કાર'ની ઘોષણા કરી છે. આ પ્રસંગે નાટયશાસ્ત્રના નિષ્ણાત ભરત ગુપ્ત અને નેશનલ સ્કૂલ, ડ્રામાના ભૂતૂપર્વ ડાયરેક્ટર મોહન મહર્ષિ અને ઉદ્યોગપતિ રાજેન્દ્ર બાગરોડિયા ઉપસ્થિત રહ્યા હતા.
યુવાનો માટે મોબાઇલ
ખાસ યુવાનોને લક્ષમાં રાખીને બે સીમકાર્ડ, ફુલ ટચસ્ક્રીન ૩-ડી ઇન્ટરફેસ, વધારી શકાય એવી મેમરી અને ઉચ્ચ ગુણવત્તાની રેકોર્ડિંગ ક્ષમતા ધરાવતા મોબાઇલ 'અકાઇ'એ ભારતના બજારમાં મૂક્યા છે. અકાઇ ઇન્ડિયાના મેનેજિંગ ડાયરેક્ટરના જણાવ્યા પ્રમાણે, અકાઇ ઇન્ડિયાના રૃ.૪૩૫ કરોડના સંભવિત ટર્નઓવરમાં મોબાઇલનો હિસ્સો આશરે ૪૦ ટકા રહેશે.
- ઇન્દર સાહની