| Last Update : 08-Sept.-2010, Wensday |
|
|
|
|
|
|
|
 |
|
ટીમવર્કમાં સફળતા ક્યારે મળે ?
|
|
સમૂહમાં (ટીમ) કાર્ય કરવા માટે વ્યક્તિએ અમુક ખાસ ગુણ કેળવવા પડે છે. માનવીના નકારાત્મક ગુણો ઘણી વખત તેને સમૂહથી દૂર રાખે છે.
સમૂહમાં કામ કરવા માટે વ્યક્તિએ વ્યક્તિગત સ્વાર્થથી દૂર રહેવું પડે છે. સ્વાર્થી- માનવીઓ ટીમને સફળ થવા દેતા નથી અને પરિણામે જૂથવાદ ઉભો થાય છે. દરેક વ્યક્તિ અમુક અંશે સ્વાર્થી હોય છે પરંતુ જ્યારે આ સ્વાર્થ હદ બહારનો થઈ જાય ત્યારે વ્યક્તિ સ્વકેન્દ્રી બની જાય છે અને પરિણામે તે દરેક કાર્યને પોતાના ફાયદા માટે જ કેન્દ્રિત કરતો હોય છે. આવી વ્યક્તિઓ બીજાને નુકસાન કરતાં પણ અચકાતા નથી. ટીમની સફળતા માટે આવા સ્વાર્થી માનવીઓને ઓળખી તેમને ટીમથી દૂર રાખવા પડે છે અથવા તેમને સ્વાર્થ છોડવા માટે સમજાવવા પડે છે. ના સમજે તો સ્વાર્થ છોડવા માટે નિયમોનો સહારો લઈ મજબૂર કરવા પડે છે.
જ્યારે વ્યક્તિઓની કાર્યપદ્ધતિ જુદી જુદી હોય છે. ત્યારે પણ ટીમવર્કમાં તકલીફો સર્જાય છે. એક વ્યક્તિ કાર્ય કરવામાં ચોકસાઈ રાખતો હોય છે. જ્યારે બીજી વ્યક્તિ ‘ચાલશે’ સ્વભાવ ધરાવતો હોય ત્યારે આ બે વ્યક્તિઓ વચ્ચે સંઘર્ષ થાય છે. ઝડપી અને ધીમી વ્યક્તિઓ વચ્ચે સંઘર્ષ થાય છે. આયોજિત કાર્ય કરવા ટેવાયેલી વ્યક્તિ અને બિનઆયોજિત વ્યક્તિ વચ્ચે સંઘર્ષ થાય છે. ટીમવર્કમાં કાર્ય કરવા માટે આ સંઘર્ષને દૂર કરવા જરૂરી છે. કાર્યપદ્ધતિ અને કાર્યોની એકસરખી સમજૂતી જરૂરી છે. દરેક વ્યક્તિ ખરેખર શું સમજે છે તેની ? જાણકારી ખૂબ જ જરૂરી છે. ભલે સૂચનાઓનો અર્થ કરવાની પદ્ધતિ જુદી જુદી હોય છે. પરિણામે જુદા જુદા અર્થ લેવાય છે. જ્યારે એક જ સૂચનાના જુદા જુદા અર્થ લેવાય છે. જ્યારે એક જ સૂચનાના જુદા જુદા અર્થ લેવામાં આવે ત્યારે કાર્ય વિલંબમાં પડે અથવા ગૂંચવાડામાં પડે છે.
સમૂહમાં કાર્ય કરવા માટે વ્યક્તિઓએ પોતાના અભિમાનને દૂર રાખવું પડે છે. જ્યારે વ્યક્તિ અભિમાની હોય છે ત્યારે તેને બીજાઓ સાથે સુમેળતા કરવામાં તકલીફ પડતી હોય છે. ટીમવર્કમાં કાર્ય કરવા માટે સુમેળતા એ મુખ્ય પાયો છે.
અભિમાની વ્યક્તિને વાતવાતમાં ખોટું લાગે છે અને પરિણામે ટીમના બીજા સભ્યોનો તેને મનાવવામાં સમય બગડે છે અથવા વિખવાદ વધે છે. પરિણામે કાર્ય વિલંબમાં પડે છે.
જે વ્યક્તિ સમયને પ્રાધાન્ય આપતો નથી તે પણ સમૂહમાં સારી રીતે કામ કરી શકતો નથી. ટીમવર્કમાં સમયપાલનની અગત્યતા ઘણી છે. સરકારી ક્ષેત્રે કાર્ય વિલંબમાં પડવાનું મુખ્ય કારણ સમયપાલનનો અભાવ હોય છે. જ્યારે વ્યક્તિઓ એકબીજા સાથે કાર્યથી જોડાયેલા હોય ત્યારે કાર્યની સાંકળ રચાય છે. કોઈ સાંકળમાં એક કડી નબળી હોય તો સાંકળ વજન ઝીલી શકતી નથી તે જ રીતે જે વ્યક્તિ સમયપાલનમાં માનતી નથી તે ટીમમાં નબળી કડી સાબિત થાય છે. તેની આગળના અને તેની પછીના કાર્યકરોને એક વ્યક્તિને લીધે ધીમું કરવું પડે છે. તેની આગળના કર્મચારીની પાસે કામનો ભરાવો થઈ જાય છે અને તેની પછીના કર્મચારીને કામ વગર બેસી રહેવું પડે છે. સંસ્થા માટે આ સમયની અને પૈસાની બરબાદી છે.
સમૂહ કાર્ય માટે અસરકારક કોમ્યુનિકેશન પણ જરૂરી છે. જ્યારે કર્મચારીઓ એકબીજા સાથે સ્પષ્ટતાથી અને અર્થસભર વાતચીત કરી શકતા નથી ત્યારે કાર્યમાં વિલંબ થઈ શકે છે. સુપરવાઇઝર વાતવાતમાં ગુસ્સો કરતો હોય તો તેની હાથ નીચેના કર્મચારીને કોઈ કાર્યમાં પૂરતી સમજ ના પડી હોય તો તે સુપરવાઇઝરને પૂછવાની હિંમત નહીં કરે. તેના આવા વર્તનને કારણે ભૂલ થવાના ચાન્સીસ વધી જાય છે. સૂચનાઓ અને અંગ્રેજીમાં આપવામાં આવતી હોય અને મોટા ભાગના કર્મચારીઓ અંગ્રેજીમાં નબળા હોય ત્યારે પણ ગેરસમજ વધી જાય છે. શરમમાં અથવા અભિમાનમાં ‘પોતાને પૂરતી સમજ પડી નથી’ એવું કહેવામાં ખચકાતા હોય છે. આવા સમયે કાર્યમાં ભૂલો થાય છે અથવા વિલંબમાં પડે છે. જ્યારે દક્ષિણ ભારતીય મેનેજર ગુજરાતી અથવા હિન્દી ન જાણતો હોય અને પોતાના ગુજરાતી કર્મચારીઓ સાથે અંગ્રેજીમાં જ વાત કરવાનો આગ્રહ રાખે છે ત્યારે જોઈતા પરિણામો મળતા નથી. આવા સમયે મેનેજરે કોમ્યુનિકેશનનો પ્રશ્ન યોગ્ય વ્યક્તિનો સાથ લઈ દૂર કરવો જોઈએ.
જ્યારે પરંપરાગત રીતથી કાર્ય કરવા ટેવાયેલ વ્યક્તિઓ અને આઘુનિક પદ્ધતિથી કાર્ય કરવા ટેવાયેલ વ્યક્તિઓ ભેગા થાય છે ત્યારે પણ ટીમવર્કમાં પ્રશ્નો ઉભા થાય છે. આવા સમયે બંને પક્ષે થોડી બાંધછોડ કરવામાં આવે તો સારાં પરિણામો મેળવી શકાય છે.
ટીમવર્કમાં સારાં પરિણામો લાવવા એકતા અને સમજની જરૂર હોય છે.
- રોહિત પટેલ
|
|
|
|
|
|
|
|
|
|
|
| |
| |
|
|
|
|
Gujarat Samachar © 2010, All Rights Reserved |
|
|