|
હૃદયની આ તુચ્છ દુર્બળતા ત્યજી દઈ તું ઊભો થા, તેમ અર્જુનને શ્રીકૃષ્ણ હાકલ કરે છે.
પરંતુ અર્જુન હજી પણ મુંઝવણમાં છે. શ્રીકૃષ્ણની વાત સાંભળી તે વિચારમાં પડી જાય છે. તેને સમજાતું નથી કે શું કરવું? યુઘ્ધ નહીં લડવાનો વિચાર ખરો છે કે ખોટો તે પ્રશ્ન તેના મનમાં ઉદ્દભવે છે.
હે મઘુસુદન! હે અરિસુદન! ભીષ્મ અને દ્રોણાચાર્ય સામે યુઘ્ધમાં બાણોથી હું કેમ લડુ? કેમ કે તેઓ તો પૂજાયોગ્ય છે. મહાનુભાવ વડીલોને નહિ મારી આ લોકમાં ભિક્ષાથી મેળવેલું ભોગવવું પણ વધારે સારું છે, કેમકે વડીલોને મારીને તો અહીં તેમના લોહીથી ખરડાયેલા અર્થ અને કામરૂપ ભોગો મારે ભોગવવા પડે. વળી તે બેમાંથી કયું અમારા માટે શ્રેષ્ઠ છે અથવા અમે જીતીશુ કે તેઓ અમને જીતશે તે અમે જાણતા નથી, જેઓને મારીને અમે જીવવા જ ન ઈચ્છીએ, તે ઘૃતરાષ્ટ્રના સંબંધીઓ અમારી સામે યુઘ્ધ માટે ઊભા છે.
આમ વ્યાકુળ બની ગયેલો અર્જુન વિલાપ કરે છે, તેને સાચો ધર્મ શું છે તેની સમજ પડતી નથી.
... અને આ જીવનની કટોકટીરૂપ ક્ષણે સત્યને જાણવા તે શ્રીકૃષ્ણનું શરણ લે છે.
તેનામાં હવે શરણાગતભાવ ઉદ્દભવે છે. તેથી જ કૃષ્ણ તેને જ્ઞાન આપવા તૈયાર થાય છે.
જ્યાં સુધી ઈશ્વર પ્રત્યે શરણાગતભાવ ન હોય ત્યાં સુધી જ્ઞાન મળતું નથી. જ્ઞાન મેળવવા ગુરૂના શરણે જવું પડે. તે ગુરૂ મનુષ્યદેહરૂપી હોય, ગ્રંથરૂપી હોય કે પછી અંતરમાં બિરાજેલા પરમાત્મા હોય, પણ ગુરૂના શરણે ગયા વિના જ્ઞાનપ્રાપ્તિ શક્ય નથી.
શ્રી અરવિન્દ કહે છે, તમારા અંતરમાં ગુપ્ત છે એવા, અથવા તો, કોઈ પ્રકટ પાર્થિવ દેહમાં વસતા, તમારા ગુરૂને શોધી કાઢો, એનાં વચનને સાંભળો અને એ જે માર્ગ બતાવે તેને હંમેશા અનુસરો. એ માર્ગના છેડે એક એવો પ્રકાશ છે જે કદી નિરાશ કરતો નથી, એક એવું સત્ય છે જે કદી ધોખો દેતું નથી, એક એવી શક્તિ છે જે નથી આડે માર્ગે ચડી જતી, કે નથી ઠોકર ખાતી, એ માર્ગના છેડે વિશાળ મુક્તિ છે, અવર્ણનીય આનંદ છે.
પરંતુ આવા ગુરૂ પ્રાપ્ત થાય, અથવા અંતરમાં રહેલા ગુપ્ત ગુરૂ પ્રકટ થાય તે માટે જ્ઞાન પ્રાપ્ત કરવાની તીવ્ર વ્યાકુળતા હોવી જોઈએ, અને ગુરૂ પ્રત્યે, ભગવાન પ્રત્યે શરણાગતભાવ પ્રગટવો જોઈએ.
ધર્મયુઘ્ધનાં આરંભની ક્ષણે જ અર્જુનમાં અનાયાસે આ તીવ્ર વ્યાકુળતા ઉદ્દભવી છે. આ તીવ્ર મુંઝવણના કારણે તેનો અહં ઓગળી જાય છે અને શ્રીકૃષ્ણના શરણે જાય છે.
અહં હોય છે ત્યાં જ્ઞાનપ્રાપ્તિની વ્યાકુળતા જન્મી શકતી નથી. હું બઘુ જ જાણુ છું, અને હું જે જાણું છું તે જ સાચુ છે. તેવો અહંમ હોય તો જ્ઞાન પ્રાપ્ત કરવાના દરવાજા બંધ થઈ જાય છે પણ જ્યારે વ્યક્તિ વિચારે કે હું કંઈ જ જાણતો નથી, માટે હજી ઘણું બઘુ જાણવાની જરૂર છે. હજી હું અપૂર્ણ છું, ત્યારે તેનું મન નવું જ્ઞાન પ્રાપ્ત કરવા તૈયાર થાય છે. ત્યારે તેનામાં પાત્રતા જન્મે છે.
અર્જુનનો અહંમ્ ઓગળી ગયો છે, તેનામાં જ્ઞાનપ્રાપ્તિની પાત્રતા આવી છે, તે ભગવાન શ્રીકૃષ્ણને કહે છે, દીનતારૂપ દોષ વડે નાશ પામેલા સ્વભાવવાળો અને ધર્મમાં મૂઢચિત્તવાળો હું આપને પુછું છું, મારા માટે જે ચોક્કસ કલ્યાણરૂપ હોય તે મને કહો. હું આપનો શિષ્ય છું, આપ શરણે આવેલા મને ઉપદેશ આપો.
હવે સુપાત્ર બનેલા અર્જુનને શ્રીકૃષ્ણ જ્ઞાન આપવા માટે તૈયાર થયા.
આપણે પણ સુપ્રજનનશાસ્ત્ર દ્વારા એવા સંતાનોને જન્મ આપીએ જેનામાં જ્ઞાન પ્રાપ્ત કરવાની વ્યાકુળતા હોય, સાથે સાથે પ્રભુ પ્રત્યે, પરમ શક્તિ પ્રત્યે શરણાગતભાવ હોય.
ભારતવર્ષમાં આવા જન્મથી અભીપ્સુ અને જીજ્ઞાસુ બાળકોના જન્મ થશે ત્યારે આ દેશ પુનઃ તપસ્વીઓનો દેશ બનશે, જ્ઞાનીઓ અને વૈજ્ઞાનિકોનો દેશ બનશે, ઋષિઓનો દેશ બનશે.
આ રીતે માતાના ગર્ભમાંથી જ્ઞાનપ્રાપ્તિની આકાંક્ષા ધારણ કરીને આવેલા બાળકો મોટા થઈ પરમજ્ઞાની બનશે. આવા જ્ઞાની અને તપસ્વી સંતાનો સમગ્ર વિશ્વને નુતન જ્ઞાન આપશે, ત્યારે વિશ્વમાં ભારતમાતાને જગદ્ગુરૂનું સાચુ સ્થાન મળશે, જે સ્વયં ઈશ્વરે તેના માટે નિર્ધારિત કર્યું છે.
... અને આ માટે જ પ્રાચીન સુપ્રજનનશાસ્ત્ર હવે પુનઃ પ્રગટ થઈ રહ્યું છે!
|