| Last Update : 08-Sept.-2010, Wensday |
|
|
|
|
|
|
|
 |
|
| જુગારનું વ્યસન માનસિક બિમારી જ છે |
| ચેતના |
|
અત્યારની દોડધામ ભરી જીંદગીમાં આપણે હંમેશા કોઈક ને કોઈક એવી પ્રવૃત્તિ શોધી રહ્યા હોઈએ છીએ કે જેના દ્વારા માનસિક શાંતિ મળી શકે. અમુક પ્રવૃત્તિઓ નિર્દોષ આનંદ મેળવવા માટે હોય છે - જયારે અમુક પ્રવૃત્તિઓ શરૂઆતમાં સારી લાગતી હોય પરંતુ સમય જતાં તેની આદત પડી જતી હોય છે અને એ આદત વ્યસન થઇ જાય છે. પરિણામે શરૂઆતની માનસિક શાંતિ પાછળથી માનસિક શાપ બની રહે છે. દા.ત. પત્તા રમવાની પ્રવૃત્તિ અથવા શોખ.
નાનપણથી જ બાળકોથી માંડી ને વડીલો પત્તા રમતાં હોય છે. ટાઇમ પાસ કરતાં હોય છે. અને તે દ્વારા આનંદ મેળવતાં હોય છે. જયાં સુધી પત્તાની નિર્દોષ રમત હોય છે ત્યાં સુધી મનોરંજન મળતું રહે છે. પરંતુ પત્તાની રમતમાં જયારે જુગારનો ઉમેરો થાય છે ત્યારે આજ રમત મનોરંજનના બદલે માનસિક બીમારીની ભેટ આપે છે. આ પ્રકારની માનસિક બીમારીને સમજવા વિસ્તારપૂર્વક એક કેસની ચર્ચા કરીએ ઃ-
દીપેશની ઊંમર ૪૨ વર્ષની છે. ખૂબજ સારો ધંધો ચાલતો હતો. બાપદાદાના વખતથી વિસ્તરેલ ધંધો દીપેશને વારસામાં મળેલ હતો. શરૂઆતમાં દીપેશે ખૂબજ મહેનત કરીને ધંધામાં સારો એવો વિકાસ કર્યો.
દીપેશનું મિત્રમંડળ મોટું હતું. પૈસાની રેલમછેલ હતી. તેથી સ્વાભાવિક રીતે મિત્રોમાં તેનું માન પણ હતું. વાર તહેવારે ભેગા થતા. મસ્તી કરતાં- આનંદ મેળવતા. દર જન્માષ્ટમીના દિવસો દરમ્યાન તીન પત્તીની રમત પણ રમી લેતાં. બે ચાર દિવસ રમતાં ત્યારબાદ પોત પોતાના કામે લાગી જતાં. દીપેશનો સ્વભાવ જ પહેલેથી એવો હતો કે થોડુંક હોય તો વધારે મેળવવાની ઇચ્છા કરતો જુગારની બાબતમાં પણ આવું જ બન્યું. થોડુંક જીતે ત્યારે વધારે રમતો. હારે ત્યારે વળી પાછું જીતી જવાશે એમ વિચારી વધારે રમતો - આમ એક હાર-જીતનું વર્તુળ શરૂ થઇ ગયું. ધંધામાં રસ ઓછો થતો ગયો. જુગારના અડ્ડા ઉપરનો રસ વધતો ગયો. અને દરેક વ્યસનના અંતે જે પરિણામ આવે છે તેવું જ દીપેશ સાથે બન્યું. પૈસે ટકે ખુવાર થઇ ગયો. હતાશાનો દર્દી બની ગયો. કલીનીકમાં જઇ દીપેશ ખૂબજ રડતો હતો. પોતાની આપવીતી કહીને પોતાને જ ગાળો આપતો હતો. જીંદગીથી હારી ગયો હતો અને વારંવાર આત્મહત્યાના વિચારો કરતો હતો. દીપેસને ખુબજ પસ્તાવો થતો હતો. પરંતુ જુગાર બંધ થતો નહોતો.
ઘણાને દીપેશની વાર્તા જાણીને આશ્ચર્ય થતું હશે કે જુગારથી કાંઈ માનસિક બીમારી થઇ શકે ? વાચકમિત્રો, જુગાર એક પ્રકારનું વ્યસન જ છે.
જેમ કે તમાકુ, દારૂ વગેરે. વ્યસન કહેવાય. તેવી જ રીતે જુગાર રમવો એક પ્રકારનું વ્યસન કહેવાય. એક વખત વ્યકિત જુગારની લતે ચઢી જાય ત્યારબાદ ધીમેધીમે એક સમય એવો આવે કે તેના વગર ચાલી જ ના શકે. પરિણામે તે વ્યકિત માનસિક રોગનો ભોગ બને. તીન પત્તી જ જુગાર છે એવું નથી. ઘણા પ્રકારના જુગાર હોય છે.
કેસીનો, બેટીંગ, ડર્બી વગેરે પણ જુગારના જ પ્રકાર છે. એક વખત વ્યકિત તેની લતે ચઢી જાય ત્યારબાદ તે પાછો ફરતો નથી. એવું નથી કે બધી જ વ્યકિતઓ વ્યસની થઇ જાય છે પરંતુ અમુક ચોક્કસ પ્રકારના સ્વભાવવાળી વ્યકિતઓ આ પ્રકારના વ્યસનથી માનસિક રોગી બની જાય છે.
જુગારનું વ્યસન છુટી શકે છે. વ્યકિતનો આત્મવિશ્વાસ તેમજ છોડવાની પૂરેપૂરી તૈયાર હોવી જોઈએ.
માનસિક ચિકિત્સક દ્વારા વ્યકિતની સંપૂર્ણ માનસિક તપાસ કર્યા બાદ જરૂર જણાય તો દવાઓ તેમજ યોગ્ય મનોપચારથી આ વ્યસન છુટી શકે છે.
- હિતેન્દ્ર ગાંધી
|
|
|
|
|
|
|
|
|
|
|
| |
| |
|
|
|
|
Gujarat Samachar © 2010, All Rights Reserved |
|
|