મુંબઇ - વરલી સ્થિત નીચલા મધ્યમ વર્ગની વસતિ ધરાવનારા જાંબોરી મેદાન વિસ્તારમાં સોમવારે સવારે એન.સી.પી.ના નેતા સચિન આહિરની દહીહાંડીનું ૨૫ લાખ રૃપિયાનું ઇનામ જાહેર કરતું એક હોર્ડિંગ ઉતારી લેવાયું હતું. આ સ્થળથી માત્ર ૨૦ મિનિટના અંતરે કાલાચૌકી વિસ્તારના અભિનવ ક્રિડા મંડળનો એક સભ્ય અને કોન્સ્ટેબલ અજય ગંગન (૪૦ વર્ષ) કે.ઇ.એમ. હોસ્પિટલના વોર્ડ નંબર ૩૭માં સારવાર લઇ રહ્યો છે. અજય અને તેની મંડળીના સભ્યોએ આ દહીહાંડી ફોડી ૨૫ લાખ રૃપિયાનં માતબાર ઇનામ જીતી લેવાનું સપનું જોયું હતું.
રવિવારે ડોકટરોએ અજયની પત્ની અનદાને આઘાતજનક સમાચાર આપતા કહ્યું હતું કે, આહિરની દહીહાંડી ફોડવા માટે નવ સ્તરનું માનવ પિરામિડ રચવાના પ્રયત્ન દરમિયાન અજય પર તેના મંડળના ૧૫ જેટલાં ગોવિંદા પડયાં હતા અને આ એકસામટા વજનને કારણે અજયની કરોડરજ્જુનું હાડકું ભાંગી ગયું હતું, હવે અજય ફરીથી ચાલી શકશે નહીં. જોકે, આ માઠાં સમાચાર હજી અધુરાં હતા. અજય હવે પછી તેની આંગળી પણ ઊચી નહિ કરી શકે, નજીકના ભવિષ્યમાં તો નહિજ તબીબી ભાષામાં કહીએ તો, તેને આ અકસ્માતના કારણે કવોડ્રીપ્લેજિયા થઇ ગયું છે. અર્થાત ગળાની નીચેના ભાગના તેના સમગ્ર શરીરના ચાર મુખ્ય અવયવ (બે હાથ અને બે પગ)ને પક્ષાઘાત થયો છે.
ઉંચી દહીહાંડી ફોડવાની લાલચમાં પથારીવશ થનારો અજય મુંબઇનો એક માત્ર ગોવિંદા નથી. આવા તો અડધો ડઝન ગોવિંદા શહેરમાં છે જ અજયની જેમ દર્દથી કણસી રહ્યાં છે. આવા જ એક ગોવિંદાનું રવિવારે મોત પણ થયું હોવાનું નોંધાયું હતું. ઘોડા નાસી ગયાં બાદ તબેલાંને તાળા મારવાની આપણે ત્યાં જાણે એક પ્રથા પડી ગઇ છે, એ ક્રમમાં હવે દહીંહાંડીને ઉત્સવ અંગે પણ જન્માષ્ટમીનો તહેવાર વીતી ગયાં બાદ ચારેકોરથી સલાહ-સુચનો મળી રહ્યાં છે. આ સુચનોમાં મુખ્યત્વે ગોવિંદાઓની સુરક્ષા સંબંધી પગલાં અંગેના છે. પરંતુ હવે ખુદ ડોકટરોએ આ મામલે ઉચ્ચસ્તરે રજૂઆત કરી ગોવિંદાઓની સુરક્ષા સંબંધી મહત્વના સુચનો લખી જણાવ્યાં છે.
કે.ઇ.એમ. ખાતે ન્યુરોસર્જરી વિભાગના એસોસિયેટ પ્રોફેસર અન ેબોમ્બે ન્યુરોસાયન્સીસ એસોશિએશનના સભ્ય ડૉ. નિતિન ડાંગેએ સોમવારે રાજ્યના આરોગ્ય પ્રધાન સુરેશ શેટ્ટીને એક પત્ર લખીને ગોવિંદાઓને દહીંહાંડીના ઉત્સવ દરમિયાન થતી ગંભીર ઇજાએ (ક્યારેક તો જીવલેણ ઇજાઓ) થતી કઇ રીતે રોકી શકાય અને તે માટે કેવા પગલાં લઇ શકાય, તે સંબંધી સુચનો મોકલ્યા હતા.
ડૉ. ડાંગેએ મુખ્ય ત્રણ સુચનો કર્યાં હતા. એક તો દહીહાંડી બાંધવામાં આવે તેની નીચેના કેટલાંક વિસ્તારમાં ગોવિંદાઓ પડી જાય છતાં તેમને પછડાટ ન લાગે તેવા શોક-એબ્સોર્બિંગ રબ્બરનું પ્લેટફોર્મ હોવું જોઇએ. બીજું નીચે પડતાં ગોવિંદાઓને ઝીલવા માટે એક નેટ-જાળી પણ હોવી જોઇએ. ડૉ. ડાંગેનું ત્રીજું સુચન છે કે, ગોવિંદાઓને ઇજા ન થાય તે માટે દરેકે અંદર પેડ હોય તેવું જેકેટ અને માથાની સુરક્ષા માટે હેલ્મેટ પહેરવી ફરજિયાત હોવી જોઇએ.
જોકે, આરોગ્ય પ્રધાનને હજુ સુધી આ પત્ર મળ્યો નથી, પરંતુ શેટ્ટીએ નક્કી કર્યું હતું કે, તેનું મંત્રાલય વધુ સમય સુધી આ મામલે મૂક પ્રેક્ષક બની બેસી નહિ રહે. શેટ્ટીએ કહ્યું હતું કે, 'મારી આસપાસના વિસ્તારમાંજ દહીહાંડી ઉત્સવ દરમિયાન ઇજા થતાં એક યુવાનને અપંગ થતો મે જોયો હતો. આવું બધું ચાલવું ન જોઇએ, હું આ મુદ્દો રાજ્યની વિધાનસભામાં ઉઠાવીશ અને આવતા વર્ષે દહીંહાંડી ઉત્સવ દરમિયાન દરેક સ્તરે સલામતીના પગલાં ભરાય તેની ખાતરી રાખીશ.' |