| Last Update : 07-Sept.-2010, Tuesday |
|
|
|
|
|
|
સમાધાન-હિંસાચાર |
| |
વૈશ્વિક રાજકીય તખ્તા પર કયાંક સમાધાનના બ્યૂગલો વાગે છે તો કયાંક વિસ્ફોટોના અવાજ સંભળાય છે. ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચે સમાધાનના કરાર ગઇકાલે થયા છે. એવી જ રીતે સ્પેનનું લડાયક જૂથ ઇટીએ શસ્ત્રો હેઠા મૂકે છે. આ બંને સમાધાનનો એકજ હેતુ બહાર આવ્યો છે કે ‘નો-મોર કિલીંગ્સ’. આ લોકો માનવ સંહારના કોઇ પગલાં નહીં ભરે. ટૂંકમાં આ હિંસાચાર નહીં. આ બંને સમાધાનો આવકાર્ય છે. ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચે ભૂતકાળમાં અનેકવાર સમાધાનો થયા છે અને તૂટયાં છે પરંતુ આ વખતે હિંસાચાર પર ચોકડી વાળી વાત વિશ્વભરમાં આવકાર મેળવી રહી છે. સ્પેનના સત્તાવાળાઓની આંખે પાણી લાવી દેનાર સીવિલ વૉર છેલ્લા ૪૨ વર્ષથી ચાલતી હતી. કટ્ટરવાદી જૂથ ઇટીએ હવે લોકશાહી ઢબે લડત ચલાવવા માગે છે. ઇટીએની ત્રણ બુરખાધારી મહિલાઓએ યુઘ્ધ વિરામની જાહેરાત કરી એ યુરોપના દેશોમાં આશ્ચર્ય ફેલાવી રહી છે. મઘ્ય-પૂર્વ અને યુરોપના દેશોમાં શાંતિના પ્રયાસો શરૂ થઇ ગયા છે.
આશ્ચર્યની વાત તો એ છે કે બે દેશ વચ્ચેના સમાધાન અંગેની વાતોમાં પણ અમેરિકા વચ્ચે હોય છે અને બે દેશને લડાવવામાં પણ તેનું નામ ચર્ચાય છે. જો કે તાજેતરમાં ઇઝરાયલ અને સ્પેનનું જૂથ ઇટીએ યુઘ્ધ વિરામની જાહેરાત કરી સૌને હાશકારોના સંકેત આપ્યા છે. ઇઝરાયલ અને પેલેસ્ટાઇન શાંતિ પ્રક્રિયા એવી રીતે કરવાના છે કે તેની કોઇ જાહેરાત નહીં થાય. જેથી કોઇ અન્ય જૂથ તેનો લાભ ના ઉઠાવે. બંને દેશના લોકો ખુશ થાય તે સ્વભાવિક છે કેમ કે બંને વેર-ઝેરમાંથી બહાર નીકળવા માગે છે.
ઇઝરાયલ અને પેલેસ્ટાઇનના લોકો પરંપરાગત વેર-ઝેરમાં ખૂંપેલા હતા. એક પછી એક નવી પેઢી બંને પક્ષે આવતી ગઈ અને આ લોકો હિંસાચારમાં અટવાયેલા રહ્યા હતા એવું જ સ્પેનમાં હતું. ઇટીએને ત્રાસવાદી જૂથ તરીકે ઓળખાતું હતું.
ફ્રાંસની બોર્ડર પર આ લોકો સક્રિય હતા. આ બધા દેશો સમાધાનના માર્ગે આવ્યા છે પરંતુ ઇરાક, અફઘાનિસ્તાન અને ભારત-પાકિસ્તાન વચ્ચેના મતભેદો હિંસાચારમાં પરિણમી રહ્યા છે. આ દેશો પર તાલિબાની અને ત્રાસવાદી જૂથોની પક્કડ વધી રહી છે. ઇરાકમાંથી અમેરિકી લશ્કર પાછું ખેંચાયું હોવા છતાં હિંસાચારની ઘટનાઓમાં કોઇ ફર્ક પડયો નથી. બગદાદ વિસ્ફોટ નગરી બની ચૂકી છે. અફઘાનિસ્તાનમાંથી અમેરિકી લશ્કર હટે એની તાલિબાનો ટાંપીને રાહ જોઈ રહ્યા છે. ભારત-પાકિસ્તાન વચ્ચેની હિંસાચારની ઘટનાઓનું મેઇન સેન્ટર જમ્મુ-કાશ્મીર બની ગયું છે. કાશ્મીરની લડતને પાકિસ્તાન તેમજ ત્રાસવાદી સંગઠનોનો ટેકો છે એવું અનેકવાર સિઘ્ધ થઇ ચૂકયું છે. પાકિસ્તાન પ્રેરિત ત્રાસવાદમાં હજારો નિર્દોષો હોમાયા છે એ સંજોગોમાં હવે બંને દેશ વચ્ચે સમાધાન થાય તે જરૂરી છે. બોંબ વિસ્ફોટ અને માનવ બોંબ જેવા હુમલા કરીને ત્રાસવાદીઓ વારંવાર પોતાની મેલી મૂરાદ પાર પાડવા પ્રયાસ કરે છે. પાકિસ્તાન અને તેના સહકારથી માતેલા સાંઢ જેવા થયેલા ત્રાસવાદી જૂથો સમાધાનના અર્થ સમજતાં નથી તેમને હિંસાચારનો સ્કોર વધે તેમાંજ વઘુ રસ છે. વિશ્વભરના દેશો શાંતિમાં માનતા થયા છે ત્યારે મુસ્લિમ દેશો બાંયો ચઢાવવામાંથી ઊંચા નથી આવતા. દરેક ધર્મ શાંતિ ચાહક હોય છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે સમાધાન થાય તો નિર્દોષ લોકો હણાતા બચે એમ છે. હાલમાં જૈનોનું પર્વ પર્યુષણ ચાલી રહ્યું છે ત્યારે સમાધાન અને અહિંસાના સૂર વિશ્વભરમાં પ્રસરે તે જરૂરી છે.
ફિકસીંગ
ક્રિકેટ મેચ ફિકસીંગના અહેવાલો એવું સૂચવે છે કે આખી ગેમ ફિકસ થયેલી હોય છે. ભૂતકાળમાં મેળવેલી ગૌરવભરેલી જીતોને પણ હવે શંકાથી જોવાય છે. પાકિસ્તાન એ ક્રિકેટ ફિકસીંગનું સેન્ટર છે અને દરેક દેશની ટીમોના ખેલાડી વત્તે ઓછે અંશે ભ્રષ્ટાચારની ગંગામાં ડૂબકી લગાવી ચૂકયા છે. કોઈએ ખોબો ભરીને પાણી પીઘું છે તો કોઇએ ધરાઈને ભ્રષ્ટાચારનું ગંગાસ્નાન કર્યું છે. ક્રિકેટ રસીયાઓમાં રહેલી ક્રિકેટ સ્પીરીટની ભાવના ભાંગીને ભુક્કો થઇ ગઈ છે. પાકિસ્તાનના ક્રિકેટર માજીદની ધરપકડ અને તરત જામીન પર મુકિતએ લોકોની આંખોમાં ઘૂળ નાખવાનો પ્રયાસ છે. પાકિસ્તાનમાં ધરપકડ અને છુટકારો એટલે મોસાળમાં જમણ જેવી વાત છે. પાકિસ્તાન ક્રિકેટ સત્તાવાળાઓ જાગૃત છે એવું બતાવવાનો આ પ્રયાસ હતો. બે - ત્રણ ક્રિકેટરોને કાઢી મુકવાથી ભ્રષ્ટાચાર બંધ નથી થવાનો. બુકીઓ જયારે પૈસાના થપ્પા બતાવે છે ત્યારે પાકિસ્તાનના ક્રિકેટરો લપસી પડે છે. આ દેશ પણ ભૂખડી બારસ છે. ત્રાસવાદને પાળતો પોષતો આ દેશ મેચ ફીકસરોને પણ પોષી રહ્યો છે. અફ્રીદી કહે છે કે યાસીર હમીદે પીઠ પાછળથી અમારી પર ઘા કર્યો છે. માજીદ વિશે પણ ક્રિકેટરો આવો જ મત ધરાવે છે. જયારે મેચ ફીકસીંગ ચાલતું હતું ત્યારે અફ્રીદી કયાં હતો ?? આ તો બચવાના ફાંફા છે. એકબીજા પર આક્ષેપો કરી આ પાકિસ્તાન ફરી ક્રિકેટ મેચો રમવા આવશે. હકીકતે તો પાકિસ્તાન સાથે કોઈએ રમવું જ ના જોઈએ.
|
|
|
|
|
| |
|
|
|
| |
|
|
|
|
|
|
Gujarat Samachar © 2010, All Rights Reserved |
|
|
|