નવી દિલ્હી, તા.૬
લાગલગાટ ચોથી વાર કોંગ્રેસપ્રમુખ તરીકે ચૂંટાઈને સોનિયા ગાંધીએ ફરી એક વખત પક્ષ પર પોતાનો કાબૂ સિદ્ધ કરી બતાવ્યો છે. શરૃઆતમાં રાજકારણથી દૂર રહેવા માગતાં, પણ પછી નબળા પુરવાર થયેલા સીતારામ કેસરીના સ્થાને આવેલાં સોનિયા બાર વર્ષમાં પ્રભાવશાળી નેતા તરીકે ઉભર્યાં છે. અલબત્ત, દિલ્હીમાં એનએસયુઆઇનો શરમજનક પરાજય થતાં સોનિયા ગાંધીની પુનઃવરણીનો થોડોઘણો નશો ઉતરી ગયો હતો. કેમ કે, આ ચૂંટણીમાં એક મુખ્ય મુદ્દો કોમનવેલ્થ ગેમ્સના ભ્રષ્ટાચારનો પણ હતો.
છેલ્લાં બે વર્ષથી સ્થાનિક ચૂંટણીઓમાં કોંગ્રેસનો દેખાવ નબળો રહ્યો છે. એટલું જ નહીં, ગયા વર્ષે લોકસભામાં દિલ્હીની સાત બેઠકો જીતનાર કોંગ્રેસે વિધાનસભાની પેટાચૂંટણીમાં બે બેઠકો ગુમાવી હતી.
સોનિયા ગાંધીનો ચોથી વારનો કાર્યકાળ પણ ઓછો કાંટાળો અને ઓછો પડકારજનક નથી. સૌથી પહેલાં તો તેમણે યુપીએની છબી અકબંધ રાખીને બિહાર અને ઉત્તર પ્રદેશ જેવાં મહત્ત્વનાં રાજ્યોમાં કોંગ્રેસને રાજકીય રીતે ફરી ચેતનવંતી બનાવવાની છે.
તેનાથી પણ પહેલાં આંધ્ર પ્રદેશમાં દિવંગત મુખ્ય મંત્રી વાય.એસ.આર. રેડ્ડીના પુત્ર જગન રેડ્ડીએ ઉભા કરેલા બખેડાનો પણ તેમને નીવેડો લાવવો પડશે. કારણ કે દક્ષિણ ભારતમાં કોંગ્રેસનું રાજ ધરાવતું આ એકમાત્ર રાજ્ય છે. જગન અત્યાર લગીમાં પક્ષની સૂચના અવગણીને ત્રણ વાર 'આશ્વાસન યાત્રાઓ' યોજી ચૂક્યા છે. સોનિયા ગાંધીની નિકટનાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે તે આંધ્ર પ્રદેશની સરકારમાં તેમ જ રાજ્યના કોંગ્રેસ સંગઠનમાં પણ ફેરફાર કરે એવી સંભાવના છે. પ્રદેશ કોંગ્રેસ સમિતિના નવા પ્રમુખ અને આંધ્રના પ્રભારી તરીકે કેન્દ્રિય કાનૂનમંત્રી વીરપ્પા મોઇલીનું નામ સંભાઇ રહ્યું છે. વર્તમાન મુખ્ય મંત્રી રોસૈયાની તબિયતનું ઠેકાણું નથી. એ સંજોગોમાં મોઇલી જગનને પહોંચે એવા ગણાય છે.
કોંગ્રેસને નવેસરથી ચેતનવંતી કરવાનું કામ પણ સહેલું નથી. કારણ કે પક્ષ પાસે તળીયાના સ્તરે કાર્યકરો રહ્યા નથી. માત્ર રાહુલ સામે મીટ માંડીને બેસી રહેવાથી દળદર ફીટે એમ નથી. બિહાર અને ઉત્તર પ્રદેશમાં તે યાદવજોડી (મુલાયમસિંઘ અને લાલુપ્રસાદ) સાથે કેવી રીતે પનારો પાડે છે તે પણ હજુ સ્પષ્ટ થયું નથી.
યુપીએની બીજી મુદતમાં વિપક્ષોના હુમલા ઉપરાંત સરકારમાં મંત્રીઓ અને નેતાઓ વચ્ચે અંદરોઅંદર થતી સાઠમારી પણ ચિંતાનો વિષય બની છે. એ વિશે સોનિયા ગાંધીએ ધ્યાન રાખવું પડે એમ છે.
- ઇન્દર સાહની