| Last Update : 07-Sept.-2010, Tuesday |
|
|
|
|
|
|
|
 |
|
વાર્તા - એકાંત સફર |
| |
|
‘આડોક્ટર નરેશ જાનીનું ઘર છે?’’ અવાજ એકદમ અજાણ્યો હતો અને થોડો કંપતો પણ હતો. લગભગ નરેશના કોઈ દરદીનો ફોેન હશે.
‘‘હા, પણ તેઓ અત્યારે હાજર નથી’’ પ્રતિમાએ ઘડિયાળમાં નજર નાખતા કહ્યું, બે કલાક પહેલા તેના પતિ સાંજના ફરવા માટે ઘરેથી નીકળ્યા હતા. રાત થવા આવી પણ હજી તેઓ પરત ફર્યા નથી તેને ચિંતા પણ થતી હતી.
‘તમે શ્રીમતી જાની બોલો છો? ફોેન પર સામે છેડે રહેલી વ્યક્તિએ પૂછ્યું.
‘હા’ તેમણે થોડા ડર સાથે કહ્યું
સામેના છેડેથી થોડો ઠંડો અવાજ આવ્યો, ‘હું ઈન્સ્પેક્ટર તિવારી કાંકરિયા પોલીસ સ્ટેશનેથી બોલુ છું. મારે તમને એક દુઃખદ સમાચાર આપવાના છે.
પ્રતિમાને ફાળ પડી અને પેટમાં ચુંથાવા લાગ્યુ તેણે ડરતા ડરતા પૂછ્યું ‘શું છે?’
ઈન્સ્પેક્ટરે ઉંડો શ્વાસ લેતા કહ્યું કે, ‘‘માફ કરજો, પણ તમારા પતિ મૃત્યુ પામ્યા છે. કેટલાક લોકો તેમને તળાવમાંથી કાઢીને અહીં લઈ આવ્યા છે.’
પ્રતિમાદેવીને ત્યારબાદની વાતચીત વિશે કંઈ યાદ નહોતું તે સાંજે ઓફિસેથી આદિત્યએ તેને કઈ દશામાં જોઈ અને પછી તેઓ ડો.નરેશના દેહને ઘરે લાવ્યા તથા પછી ક્યારે સ્મશાને ગયા તે પણ તેને ખબર નથી.
આ વાતને આઠ વર્ષ વીતી ગયા. નરેશને મૃત્યુ પામ્યાને આટલો બધો સમય વીતી ગયા છતાં પ્રતિમા દરરોજ સાંજે આર્મચેરમાં બેસીને તેના વિચારો કરે છે.
એમ સમજવામાં આવ્યું હતું કે ચાલતા ચાલતા નરેશને હાર્ટએટેક આવ્યો હશે અને તે પોતાનું સમતોલન નહિ જાળવી શક્યો હોય એટલે તળાવમાં પડી ગયો હશે. પણ નરેશના મૃત્યુના એક મહિનાબાદ તેની ડાયરીમાંથી તેને એક પત્ર મળ્યો હતો. જેમાં નરેશે લખ્યું હતું કે, તે જીવનથી કંટાળી ગયો છે અને હવે તેને બઘુ છોડીને જતા રહેવું છે તેણે પોતાને પ્રેમ આપવા બદલ પ્રતિમાનો આભાર માન્યો હતો. પોતાના મૃત્યુ બાદ આદિત્યનું અને પોતાનું ઘ્યાન રાખવાનું તેણે કહ્યું હતું.
આ પત્ર વાંચીને પોતે આખો દિવસ રડી હતી અને છતાં તેણે તે પત્ર આદિત્યને બતાવ્યો નહોતો.
એક સમયે ડૉ.નરેશ જાની શહેરના નામાંકિત ફેમિલી ફીઝીશીયન હતા. અહીં પોતાની રૂમમાં તેમણે શહેરની ઘણી નામાંકિત વ્યક્તિઓને તપાસ્યા હતા. પણ ધીમે ધીમે ઊંમર વધતા તેની સાથેની બીમારીઓ પણ તેમને લાગુ પડી સૌથી વઘુ આંચકો તો તેમની પુત્રીના અમેરિકામાં સ્થાયી યુવાન સાથે લગ્ન થતા લાગ્યો હતો. આ લગ્ન તેમની સંમતિથી કરવામાં આવ્યા હતા છતાં તેમની પુત્રી શિવાની તેમના હૃદયનું ઝરણું હતું અને તે આંખ સામેથી ઓઝલ થઈ જતા તેઓ એકદમ એકલા પડી ગયાની લાગણી અનુભવતા હતા.
શિવાનીના લગ્નના થોડા મહિના બાદ આદિત્યને અકસ્માત થયો અને તેને કરોડરજ્જુમાં ગંભીર ઈજાઓ થઈ તે કારણે તે લાંબો સમય ઊભો નહોતો રહી શકતો. અને તેથી નરેશે આદિત્યને વૈજ્ઞાનિક બનાવવાનું સ્વપ્ન પડતું મૂકવું પડ્યું કારણ કે વૈજ્ઞાનિકે કલાકોના કલાકો ઊભા રહીને કામ કરવું પડે છે હવે આદિત્યએ સામાન્ય નોકરી સ્વીકારી લેવી પડી અને નરેશના હૃદયને બીજો ધક્કો લાગ્યો.
અકસ્માત બાદ આદિત્ય પણ જીવનથી હતાશ થઈ ગયો હતો. પરંતુ તેના અકસ્માતથી નરેશ એકદમ બુઢ્ઢા બની ગયા. તેઓ બઘુ ભૂલવા લાગ્યા તથા ભૂતકાળ વાગોળતા રહેતા. દરદીઓને દવાઓ આપવામાં પણ ભૂલ કરી બેસતા અને તે કારણે તેમના દરદીઓની સંખ્યા પણ ઘટી ગઈ. જોકે કેટલાક જુના વિશ્વાસુ દરદી હજી તેમની પાસે આવતા પણ નવા તો કોઈ આવતા જ નહિ.
નરેશની માનસિક સ્થિતિ ખરાબ થતી હોવા છતાં પ્રતિમાએ પોતાના પ્રેમમાં ક્યારેય ખોટ ન આવવા દીધી. ઉલ્ટુ તેણે તો નરેશની સંભાળ નાના બાળકની જેમ રાખવાની શરૂ કરી.
નરેશ અને આદિત્ય હવે વારંવાર ઝગડતા હતા છતાં પ્રતિમા તેમની વચ્ચે સમતોલન જાળવીને તેમને સાચવી લેતી. નરેશના વિચારો અનુસાર આદિત્યએ લગ્ન કરી લેવા જોઈએ જ્યારે આદિત્યનું કહેવું હતું કે હું શારીરિક રીતે તંદુરસ્ત નથી એટલે મારે લગ્ન કરીને કોઈનું જીવન બગાડવું નથી.
જે દિવસે નરેશ મૃત્યુ પામ્યા તે દિવસે પણ તેમની વચ્ચે જબરજસ્ત ઝગડો થયો હતો. નરેશ આદિત્ય માટે છોકરીની વાત લઈને આવ્યો હતો અને બોલચાલ શરૂ થઈ ગઈ. આ વાત એટલી બધી વણસી ગઈ કે આદિત્યએ ઘર છોડવાની ધમકી આપી દીધી અને ગુસ્સામાં તે ઓફિસ જતો રહ્યો.
ત્યારબાદ નરેશે પણ કંઈ ખાઘુ નહિ અને ચૂપચાપ પોેતાના રૂમમાં જઈને બેસી ગયા. બપોરે જમવાના સમયે પ્રતિમાએ તેમને જબરજસ્તી થોડું ખવડાવ્યું અને વળી પાછા તેઓ રૂમના એકાંતમાં જતા રહ્યા. તેમના રોજના નિયમ પ્રમાણે પ્રતિમા સાંજના ચાર વાગે ચા લઈને ગઈ ત્યારે તેઓ કશુંક લખતા હતા. પ્રતિમાએ તેમને પૂછ્યું ‘શું લખો છો?’
‘‘પત્ર’’ તેમણે ઉદાસ ચહેરે હસવાના ભાવ સાથે કહ્યું તેમની આંખો એકદમ હતાશ હતી પણ તેમના હોઠ પરાણે હસવાનો અભિનય કરતા હતા. ‘‘તને પછી વાંચવા મળશે.’’
આ એ જ પત્ર હતો જે તેને નરેશના મૃત્યુના એક મહિના બાદ તેની ડાયરીમાંથી મળ્યો હતો.
નરેશની આત્મહત્યાથી પ્રતિમાના જીવનમાં એકલતા ઘર કરી ગઈ હતી. તેનું ઘર પણ એકદમ સુસ્ત બની ગયું હતું. આદિત્ય જ્યારે ઓફિસે જતો રહેતો ત્યારે તો ઘરમાં ટાંકણી પડે તો અવાજ થાય એટલું શાંત થઈ જતુ અને પ્રતિમા સતત પોેતાના વિચારોમાં ખોવાયેલી રહેતી.
આખો દિવસ ઘરમાં કામ પણ ખૂબ જ ઓછું રહેતું. બે વ્યક્તિનું જમવાનું બનાવવાનું, થોડી સાફસફાઈ કરવાની તથા વાસણ-કપડા કરવાના. બસ, પછી તે તદ્ન નવરી થઈ જતી. બે-ચાર દિવસે એક દિવસ તે માર્કેટ જઈને જોઈતી વસ્તુ લઈ આવતી. આદિત્ય ક્યારેય સાત વાગ્યા પહેલા ઘરે આવતો નહિ. તેના અકસ્માત બાદ તેને સેકન્ડહેન્ડ કાર અપાવી હતી. એટલે રોજ તે ટ્રાફિક જામમાં ફસાઈ જતો. તે આવે તે પહેલા તેની કારની લાઈટ બારી ઉપર પડીને તેના આગમનની જાણ કરી દેતી. અને આ લાઈટ જોઈને પ્રતિમા ઊભી થતી ઘરનો દરવાજો ખોેલતી તથા રસોડામાં જમવાનું ગરમ કરવા જતી.
આદિત્ય આવીને હાથ-પગ મોઢું ધોઈને ફ્રેશ થતો. ટી.વી. ઉપર ન્યૂઝ જોતા જોતા બંને જમતા. જમ્યા બાદ પ્રતિમા કામ પરવારીને તેની પાસે આવીને બેસતી એટલે તે પ્રતિમાને ઓફિસના કામની વાત કરતો પછી પ્રતિમાએ આખો દિવસ શું કર્યું તેની વાત કરીને બંને થોડીવાર ટીવી જોઈને સુઈ જતા.
આદિત્ય આખા દિવસનો થાકેલો હોેવાથી તે ઘસઘસાટ ઉંઘી જતો અને પ્રતિમા અડધી રાત સુધી પડઘા ઘસ્યા કરતી.
શિવાની દર ત્રણ વર્ષે તેના પતિ તથા પુત્ર સાથે ભારત આવતી અને ત્યારે ઘર વાતોથી ચ્હેકી ઊઠતું હતું. સતત અવાજથી ઘર ભરાઈ જતુ પણ તેમના ગયા બાદ ઘરમાં તેમના અવાજના પડઘા થોડો સમય આવતા. અને આ પડઘાથી તો પ્રતિમા ડરી જતી. શિવાનીએ પ્રતિમાને પોતાની સાથે પોેતાના ઘરે આવવા ઘણું મનાવી હતી પરંતુ પ્રતિમા આદિત્યને એકલો છોડીને જવા તૈયાર નહોતી. કારણ કે પ્રતિમા નહીં હોય તો આદિત્ય માટે ઘર ખાલી થઈ જશે. અને તેના ખાવા-પીવાની પણ તકલીફ થાય એટલે તે શિવાની સાથે જતી નહોતી.
પ્રતિમા બેઠી બેઠી રોજની જેમ વિચાર કરતી હતી અને અચાનક ફોેનની રીંગ વાગી અને તે ચોકી ઊઠી. નરેશના મૃત્યુના દિવસે ઈન્સ્પેક્ટરે કરેલા ફોેનને ઉપાડ્યા બાદ તે હવે ફોેનને ઉપાડતા ડરતી હતી. ખાસ કરીને, આદિત્ય જ્યારે ઘરમાં ન હોય ત્યારે જો કોઈનો ફોન આવે તો તેના મગજમાં ખોટા ખોટા વિચારો જ આવવા લાગતા હતા. આદિત્યની હાજરીમાં ફોન આવે તો આદિત્ય જ ઉપાડતો હતો.
તેને ફોનની રીંગથી ધૃણા થઈ ગઈ હતી. નરેશના મૃત્યુ બાદ ફોેન તેના માટે શોક સંદેશ લાવનાર સાબિત થયો હતો. હવે અત્યારે ફોનની રીંગ વાગી કે તરત જ તે ચોંકી ગઈ. હજી આદિત્યને આવવાને થોડીવાર હતી. ફોેન કોનો હશે? તે એકદમ ડરી ગઈ. પહેલા તો ફોન ન ઉપાડવાનો વિચાર કર્યો પણ રીંગ સતત વાગતી જ રહી એટલે તેણે મનને થોેડું મનાવ્યું કે કદાચ રોંગ નંબર હશે અને તે ફોેન લેવા ઊભી થઈ.
એકદમ કંપતા સાદે તેણે હલો કહ્યું અને સામે છેડેથી એકદમ મૃદુ અવાજ આવ્યો તે પણ એકદમ દૂરદૂરથી.... કદાચ બીજા વિશ્વમાંથી તે દિવસે સાંજે પણ તે ટ્રાફીકજામમાં ફસાઈ ગયો હતો અને ઘરે પહોંચ્યો ત્યારે મા દરવાજા ઉપર રાહ નહોતી જોતી એટલે લેચકીથી તેણે દરવાજો ખોલ્યો આજે પણ એવું જ થયું એટલે આદિત્યને થોડી નવાઈ લાગી. છેવટે લેચકીથી તેણે દરવાજો ખોલ્યો ત્યારે તે સાંજે પણ તેની મા ફોન પાસે ફસડાઈ પડી હતી અને જાણે કંઈક બફાટ કરતી હતી. ત્યાં તે કેટલા સમયથી પડી હશે તે તો ભગવાન જ જાણે કારણ કે તે એકલી જ ઘરમાં હતી. આદિત્ય દોડીને તેને ઊભી કરવા ગયો પણ તે આદિત્યના ખોળામાં માથુ નાંખી ગઈ. તેના શ્વાસ એકદમ ધીમા ચાલતા હતા. તેની આંખો પણ એકદમ ભારે થઈ હતી અને તેણે જબરજસ્તી આંખ ખોલી તો જાણે આદિત્ય નહિ પણ કોઈક અનોખા જગતમાં હોય તેમ તેની સામે જોઈ રહી.
પછી હળવેથી તેના હોઠ ફફડ્યા અને તે આદિત્યને ધીમા સાદે બોલી, ‘‘મને માફ કરજે આદિત્ય... તું એકલો પડી જઈશ... પણ એમનો ફોન આવ્યો હતો.. તારા પપ્પાનો ફોેન હતો... તેમણે મને બોલાવી અને હું ના ન પાડી શકી...
આદિત્ય સમજી ગયો અને તેણે માથુ હલાવ્યું ત્યાં તોે પ્રતિમા તેના હાથમાં નિશ્ચેતન થઈને પડી ગઈ. એક એકાંતનો અંત થયો અને બીજા એકાંત સફરની શરૂઆત થઈ.
|
|
|
|
|
|
|
|
|
|
|
| |
| |
|
|
|
|
|
|
Gujarat Samachar © 2010, All Rights Reserved |
|
|
|