મુંબઇ - રાજ્યની પોલીસ અને ગણેશ મંડળોને ઇન્ટેલિજન્સ બ્યુરો (આઇબી)એ ગણેશોત્સવ દરમિયાન વધારાની સતર્કતા રાખવાનું જણાવ્યું હોવાથી શહેરના સુપ્રસિદ્ધ 'લાલબાગચા રાજા' સાર્વજનિક ગણેશોત્સવ મંડળે લોકોની હિલચાલ પર નજર રાખતા ૧૦ કેમેરા લગાવવાનો નિર્ણય કર્યો છે.
૫૦ ક્લોઝ સર્કિટ ટેલિવિઝન (સીસીટીવી) કેમેરા ઉપરાંત આ ૧૦ કેમેરા પંડાલની અંદર અને આસપાસ સારી રીતે નજર રાખી શકાય એવા સ્થળોએ લગાવવામાં આવશે.
લાલાબાગચા રાજા સાર્વજનિક ગણેશોત્સવ મંડળના સેક્રેટરી સુનીલ જોશીએ કહ્યું હતું કે દર્શનાર્થીઓની સલામતી અમારી મુખ્ય પ્રાધાન્યતા હોવાથી અમે આ અત્યાધુનિક કેમેરા લગાવવાનો નિર્ણય કર્યો છે. આ કેમેરા માત્ર લોકો પર જ નહીં, પરંતુ ત્યાંથી પસાર થતાં વાહનો પર પણ નજર રાખશે. આ કેમેરામાં ઝડપાયેલા ફોટા તેના ડેટાબેઝમાં સંઘરાઈ જશે. આ કેમેરાની ખાસિયત એ છે કે તે પોતાનું લક્ષ્ય ઓળખીને આપોઆપ તેની તરફ ફરશે. તેના નાઇટ વિઝન કેમેરા શેરીની લાઇટના અજવાળામાં પણ પોતાનું લક્ષ્ય ઓળખી કાઢશે. આ ડોમ કેમેરા ૧૮૦ ડિગ્રીએ ફરી શકે છે.
ગણેશોત્સવ દરમિયાન શહેરના અસામાજિક તત્વો પર ચાંપતી નજર રાખવા ટ્રાફિક વિભાગે પણ ૧૦૦ સીસીટીવી કેમેરા ગોઠવ્યા છે. સુરક્ષા કર્મચારીઓને સહાય કરવા મંડળના ૧,૨૦૦ જેટલા સ્વયંસેવકો પણ હાજર રહેશે. આ ઉપરાંત આસ્થાળુઓની સુવિધા માટે વાતાનુકૂલિત પંડાલ અને સ્કાયવોકની સગવડ પણ કરવામાં આવી છે.
આ હાઇટેક સલામતી કેમેરાના પ્રોપરાઇટર જી. એસ. આનંદે જણાવ્યું હતં કે હિલચાલ પર નજર રાખતા કેમેરા એકવાર હાલતીચાલતી વસ્તુને ઝડપી લે ત્યાર પછી તે કોઇપણ વ્યક્તિ કે ચાલતા વાહન પર નજર રાખી શકે છે, આ ઉપરાંત આ કેમેરાની વિશેષતા એ છે કે તેની તસવીરો વધુ સ્પષ્ટ હોય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે લાલબાગચા રાજાના દર્શન કરવા દરરોજ લગભગ બે લાખ જેટલાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. જ્યારે છેલ્લા ત્રણેક દિવસ દસ લાખ જેટલાં દર્શનાર્થીઓ લાલબાગચા રાજાની એક ઝલક મેળવવા કલાકો સુધી કતારમાં ઊભા રહે છે. લાલબાગચા રાજાના દર્શન માટે લાંબી કતાર લાગે છે અને ઘણીવાર તો દર્શન કરવા માટે ૧૦-૧૦ કલાક સુધી લાઈનમાં ઊભું રહેવું પડે છે. |