| Last Update : 05-Sept.-2010, Sunday |
|
|
|
|
|
|
| માઓવાદીઓના પ્રતાપેનીતિશકુમારની કફોડી હાલત |
| |
નવી દિલ્હી, તા.૪
બિહારમાં માઓવાદીઓએ બાનમાં પકડેલા લોકોના ભવિષ્ય વિશે સૌ ચૂપકીદી સેવીને બેઠા છે. માઓવાદીઓએ એક પોલીસની હત્યા કરી નાખી છે અને પોતાના સાથીદારોને છોડવામાં ન આવે તો બાકીના બાનમાં પકડેલા પોલીસને પણ મારી નાખવાની ધમકી આપી છે. રાજ્ય સરકારે તેમની સાથે વાટાઘાટોની દરખાસ્ત કરી છે અને માઓવાદીઓ જ્યુડિશ્યલ કસ્ટડીમાં હોવાથી સરકાર પણ તેમને છોડાવી શકે એમ નથી, એવી રજૂઆત કરી છે. છતાં હજુ સુધી તેનું કોઇ પરિણામ આવ્યું નથી. બિહારના મુખ્ય મંત્રી નીતિશકુમારે આ સ્થિતિના મુકાબલા માટે સર્વપક્ષીય બેઠક પણ બોલાવી હતી.
માઓવાદીઓના આ દુઃસાહસનો આખરી અંજામ જે આવે તે, પણ બિહારના અભ્યાસીઓ હવે પૂછી રહ્યા છે કે નીતિશકુમાર માટે ઉભી થયેલી ઉંચી અપેક્ષાઓ અસ્થાને હતી કે શું? મમતા બેનરજીની જેમ નીતિશકુમાર માઓવાદીઓ પ્રત્યે કૂણા વલણ માટે જાણીતા હોવા છતાં માઓવાદીઓએ તેમને પણ છોડયા નહીં એથી ઘણાને નવાઇ લાગી છે. નીતિશકુમાર વિશેની છાપ ખોટી નથી. અગાઉ તેમણે કેન્દ્ર સરકારની માઓવાદીઓ સામેની કાર્યવાહીનો વિરોધ કર્યો હતો. એટલું જ નહીં, માઓવાદગ્રસ્ત રાજ્યોના મુખ્ય મંત્રીઓની બેઠકમાંથી પણ તે ગેરહાજર રહ્યા હતા. ખુદ વડાપ્રધાને માઓવાદગ્રસ્ત રાજ્યો માટે સંયુક્ત કમાન્ડ સેન્ટર રચવાનું નક્કી કર્યું ત્યારે તેમાંથી બિહારને બાકાત રાખવામાં આવ્યું હતું. તેની પરથી પણ નીતિશકુમારનું વલણ સ્પષ્ટ થઇ જતું હતું.
આટલું ઓછું હોય તેમ, હજુ સુધી તેમણે આદિવાસીઓની જમીન સંપાદિત કરવા જેવું કે તેમના વિસ્તારોમાં ખાણકામની પરવાનગી આપવા જેવું કોઇ પગલું પણ ભર્યું નથી. ચિદમ્બરમના 'ઓપરેશન ગ્રીન હન્ટ' સામે પણ તેમને ઘણા વાંધા હતા.
સૌથી વિચિત્ર લાગે એવી વાત તો એ છે કે તેમની સરકાર પકડાયેલા માઓવાદીઓ સાથે જહાનાબાદની જેલમાં સારો વ્યવહાર કરી રહી છે. તેના બદલામાં પકડાયેલા પોલીસ સાથે સારો વ્યવહાર કરવાની તેમની વિનંતી પણ માઓવાદીઓએ ગણકારી નથી. બિહાર વિધાનસભાની ચૂંટણીઓ નજીક છે ત્યારે માઓવાદીઓની આ ચેષ્ટાથી નીતિશકુમારને વિશેષ ચિંતા થાય એમ છે. જો તે બાનમાં રહેલા બાકીના પોલીસજવાનોની જિંદગી બચાવી નહીં શકે તો તેમને પોલીસતંત્ર તથા પ્રજાના એક મોટા હિસ્સાની ખફગી વહોરવાની થશે. તેમના માટે બીજા માઠા સમાચાર એ પણ છે કે ચિદમ્બરમ સાથેના તેમના અણબનાવને કારણે અત્યારે કેન્દ્ર સરકાર પણ નીતિશકુમારની મદદ કરવાના મૂડમાં નથી.
નીતિશકુમારે ફક્ત કેન્દ્ર સરકારનાં પગલાં જ નહીં, ડી.બંદોપાધ્યાય સમિતિનાં સૂચનો પણ અમલમાં મૂકવાની તસ્દી લીધી નથી. એટલે બિહારના પોલીસને બાનમાં પકડીને માઓવાદીઓએ ખરેખર તો નીતિશકુમારને જ જાણે બાનમાં લઇ લીધા હોય એવું લાગી રહ્યું છે.
- ઇન્દર સાહની
|
|
|
|
|
|
|
|
|
|
| |
|
|
|
|
|
|
Gujarat Samachar © 2010, All Rights Reserved |
|
|
|