| Last Update : 05-Sept.-2010, Sunday |
|
|
|
|
|
|
| મસ્જિદ નિર્માણ મુદ્દે અમેરિકામાં પણ અયોધ્યા જેવો વિવાદ |
| લગભગ ૨૦ ટકા અમેરિકનો એવી ગેરસમજમાં રાચે છે કે પ્રમુખ બરાક ઓબામા ખ્રિસ્તી નહીં પણ એક મુસ્લિમ છેળાયેલું છે. |
નધર્મના નામે આખા વિશ્વમાં રાજરકારણ ખેલાય છે. અમેરિકા જેવો પ્રગતિવાદી દેશ પણ એમાંથી બાકાત નથી. ભારતમાં બાબરી મસ્જિદ અને રામ જન્મભૂમિને લઈને વરસો સુધી જેવો વિવાદ ચાલ્યો હતો એવો જ વિવાદ આજકાલ અમેરિકામાં ન્યુ યોર્કના ગ્રાઉન્ડ ઝીરો નજીક મસ્જિદ બાંધવાને લઇને ચાલી રહ્યો છે. નવેમ્બરમાં અમેરિકામા મધ્યસત્ર ચૂંટણી યોજાવાની છે. એટલે પ્રમુખ બરાક ઓબામા અને એમની શાસક ડેમોક્રેટિક પાર્ટી સામે વિપક્ષ રિપબ્લિકન પાર્ટીએ મસ્જિદને મુદ્દો બનાવીને અત્યારથી મોરચો ખોલી નાખ્યો છે. રિપબ્લિક પાર્ટીની આપણાં મમતા બેનરજી અને ઉમા ભારતી જેવી ફાયરબ્રાન્ડ મહિલા નેતા સારાહ પાલિનને સૂચિત મસ્જિદમાં મબલખ મતો આકર્ષી શકાય એવો મહત્ત્વનો મુદ્દો દેખાઈ રહ્યો છે. એટલે સારાહ પાલિન ટિવટર પર જાતજાતના સંદેશા મૂકીને લોકોની લાગણીઓ ઉશ્કેરી રહી છે. આવા એક સંદેશામાં એમણે લખ્યું છે, 'ગ્રાઉન્ડ ઝીરો પર બંધાનારી મસ્જિદના ટેકેદારો તમને અમારી જેમ હૃદયમાં કશી ભોકાતું નથી? શાંતિપ્રિય મુસ્લિમો, અમને માફ કરજો.' બીજા એક વગદાર રિપબ્લિકન લિડર ન્યુત ગિંગરીચે ગ્રાઉન્ડ ઝીરો નજીક ઇસ્લામિક સેન્ટર બાંધવાની યોજનાને 'અમેરિકાના ભદ્ર વર્ગની ભીરૃતા, નિષ્ક્રિયતા અને ઐતિહાસિક અજ્ઞાાનની કસોટી' સમાન ગણાવી છે.
બીજી તરફ, શાસક ડેમોક્રેટિક પાર્ટી પોતાના નેતા અને પ્રમુખ ઓબામાએ ૧૩મી ઓગસ્ટે વ્હાઇટ હાઉસમાં યોજાયેલી ઇફતાર પાર્ટીમાં કરેલા નિવેદનને કારણે બચાવ કરવાની ભૂમિકામાં આવી ગઈ છે. પ્રમુખ ઓબામાએ એ નિવેદનમાં એમ કહ્યું હતું કે 'અમેરિકામાં બીજા બધાની જેમ મુસ્લિમોને પણ પોતાનો ધર્મ પાળવાનો અધિકાર છે અને એમાં લોઅર મેનહટ્ટન વિસ્તારમાં ખાનગી પ્રોપર્ટી પર ધર્મસ્થળ અને કોમ્યુનિટી સેન્ટર બાંધવાનો હક પણ આવી જાય છે.' પોતાની આવી ટીપ્પણને પગલે લોકોમાં અનપેક્ષિત આક્રોશ પ્રગટ થતો જોઈને બીજા જ દિવસે પ્રમુખ ઓબામાએ એવુ પીછેહઠ કરતું નિવેદન કર્યું હતું કે હું તો માત્ર ધાર્મિક સ્વાતંત્ર્યની વાત કરતો હતો, લોઅર મેનહટ્ટનમાં મસ્જિદ બાંધવાનો નિર્ણય લેવા પાછળના ડહાપણ વિશે મેં કોઈ ટીપ્પણ નથી કરી. ઓબામાની પીછેહઠ વિશે પોતાના પ્રત્યાઘાત આપતા આરબ અમેરિકન ઇન્સ્ટિટયૂટના પ્રમુખ જેમ્સ ઝોગ્બી કહે છે, 'આગલી રાતે પ્રમુખે એક મહત્ત્વની દલીલ કરી અને બીજા દિવસે તેઓ પોતાની ચામડી બચાવવામાં પડી ગયા. પીછેહઠ કરીને એમણે આ ચર્ચા ચાલુ રાખવા માટેનો દરવાજો ખોલી દીધો છે.'
ઝોગ્બી તો સારાહ પાલિન અને ન્યુત ગિંગરિચના શબ્દાંડબરોથી પણ આઘાત પામ્યા છે. એમના મતે 'ધર્માંધો અને ધર્માંધતા માટેના દ્વાર ખૂલી ગયા છે.' તેઓ એવું માને છે કે ઉક્ત વિવાદ અમેરિકાની પ્રતિષ્ઠાને ગ્વાન્ટાનામો બે ને અબુ ઘરીબની ઘટનાઓએ મળીને જેટલું નુકસાન પહોંચાડયું હતું એનાથી પણ વધુ હાનિ કરશે. અત્રે યાદ અપાવવું ઘટે કે ૯/૧૧ના હુમલામાં આતંકવાદીઓએ ન્યુ યોર્કના લોઅર મેનહટન વિસ્તારમાં શાનથી ઉભેલા વર્લ્ડ ટ્રેડ સેન્ટર (ડબલ્યુટીસી)ના ટ્વિન ટાવર્સ તોડી પાડી જગતના ચોટામાં અમેરિકાની આબરૃના લીરા ઉડાડયા હતા. ટ્વિન ટાવર્સ જમીનદોસ્ત થયા બાદ એ સ્થળ ગ્રાઉન્ડ ઝીરો તરીકે ઓળખાય છે. ગ્રાઉન્ડ ઝીરોનું નામ પડતા જ કેટલાક અમેરિકનોની લાગણી ઉશ્કેરાઈ જતી હોવાથી મસ્જિદના વિવાદને સારી એવા હવા મળી છે.
આ વિવાદ વધુ ને વધુ ચગે એવું ઇચ્છતા લોકો આ સંબંધમાં જાતજાતના જુઠાણાં ફેલાવી રહ્યા છે. સૌથી મોટું જુઠાણું તો એ છે કે ગ્રાઉન્ડ ઝીરોની સાઇટ પર જ મસ્જિદ સાથેનું એક ઇસ્લામિક સેન્ટર બંધાવાનું છે. હકીકત એનાથી સાવ જુદી છે. સાચી વાત એ છે કે ઇસ્લામિક સેન્ટર ગ્રાઉન્ડ ઝીરોથી ઓછામાં ઓછા બે બ્લોકના અંતરે બંધાવાનું છે. બન્ને વચ્ચે બેથી પાંચ મિનિટનું વોકિંગ ડિસ્ટન્સ હશે. જોકે, ટીકાકારોને બે બ્લોકનું અંતર પણ બહુ ઓછું લાગે છે અને એમના મતે એ સેન્ટરના આયોજકોની ૯/૧૧ના હુમલામાં માર્યા ગયેલા સેંકડો લોકો પ્રત્યેની સંવેદનહીનતા બતાવે છે.
સૂચિત ઇસ્લામિક સેન્ટરની સાઇટ પર અત્યારે એક જર્જરિત ઇમારત ઊભી છે, જેમાં એક સમયે ક્લોથિંગ ચેઇન બર્લિંગ્ટનની ફેક્ટરી હતી. ઇસ્લામિક સેન્ટરને 'પાર્ક ૫૧' એવું સત્તાવાર નામ અપાયું છે. અને એમાં મસ્જિદ ઉપરાંત સ્વિમિંગ પુલ, બાસ્કેટબોલ કોર્ટ, ઓડિટોરિયમ, લાઇબ્રેરી અને રેસ્ટોરાંઝ પણ હશે. સેન્ટર ઇમામ ફૈસલ રાઉફ અને એમના પત્ની ડૈસી ખાનના ભેજાની ઉપજ છે. એમના જણાવવા મુજબ આ કોમ્યુનિટી સેન્ટર મેનહટનમાં આવેલા યહુદી (જુઈશ) કોમ્યુનિટી સેન્ટરના મોડલના આધારે જ બંધાશે.
ડબ્લ્યુટીસી ટાવર્સની સાઇટ નજીક બંધાનારા ઇસ્લામિક સેન્ટરને લઇને ભલે ગમે એટલો ઉહાપોહ થયો હોય પણ અમુક આગેવાનો સેન્ટરને પોતે શરૃમાં આપેલા ટેકામાં ટસથી મસ થવા તૈયાર નથી. એને લીધે એમની સેક્યુલર ઇમેજ વધુ ઉજળી બની છે. દાખલા તરીકે, ન્યુ યોર્કના યહુદી અમેરિકન મેયર માઇકલ બ્લુમ બર્ગે એમ કહ્યું છે કે ડબ્લ્યુટીસી સાઇટ હંમેશાં આપણાં શહેર અને આપણાં હૃદયમાં એક વિશેષ સ્થાન ધરાવશે. પરંતુ આપણે જો લોઅર મેનહટનમાં મસ્જિદ બાંધવાની ના પાડીશું તો ન્યુ યોર્કવાસીઓ અને અમેરિકન નાગરિકો તરીકે આપણી જાતને વફાદાર નહીં રહીએ. એમણે એવી પણ ચેતવણી ઉચ્ચારી હતી કે લોકલાગણી સામે ઝૂકી જવું ત્રાસવાદીઓના હાથમાં સામે ચાલીને વિજય મૂકી દેવા સમાન હશે અને આપણે એ ન કરવું જોઈએ.
પરંતુ લોકમત ઇસ્લામિક સેન્ટરની વિરુદ્ધમાં હોય એવું લાગે છે. સીએનએનના ઓપિનિયન પોલમાં એવું પ્રસ્થાપિત થયું હતું કે લગભગ ૭૦ ટકા અમેરિકનો ગ્રાઉન્ડ ઝીરો નજીક મસ્જિદ બાંધવાની વિરુદ્ધમાં છે. જ્યારે ટાઇમ એબીટી એસઆરબીઆઇના સર્વેમાં ૬૧ ટકા લોકો મસ્જિદની વિરુદ્ધમાં હોવાનું જાણવા મળ્યું હતું. ૪૬ ટકા લોકોએ તો એવો મત પણ દર્શાવ્યો હતો કે બીજા બધા ધર્મો કરતા ઇસ્લામ વિધર્મીઓ સામેની હિંસાને પ્રોત્સાહન આપે એવી વધુ શક્યતા છે.
મસ્જિદ ઉપરાંત હાલ અમેરિકામાં એક બીજુ જુઠાણું પણ ચલાવાઈ રહ્યું છે. અમેરિકનોનો એક વર્ગ માને છે કે પ્રમુખ બરાક ઓબામા ખ્રિસ્તી નહીં પણ મુસ્લિમ છે. ૧૯મી ઓગસ્ટે બહાર પડેલા પીવ રિસર્ચ સેન્ટરના પોલના પરિણામોમાં એવું જાણવા મળ્યું હતું કે ઓબામાં ક્રિશ્ચિયન નહીં પણ મુસ્લિમ છે એવી લોકોની ગેરસમજ વધતી જાય છે. માર્ચ, ૨૦૦૯માં આવું માનતા લોકોની સંખ્યા ૧૧ ટકા હતી. પરંતુ હવે અમેરિકાની ૨૦ ટકા પ્રજા આવી ગેરસમજ રાખતી થઈ છે. એનું એક કારણ મિડિયામાં ચલાવાતી ગેરમાહિતીની ઝુંબેશ છે.
ટૂંકમાં અમેરિકાના પ્રગતિશીલ સમાજમા મસ્જિદનો મુદ્દો ધીમી પણ મક્કમ ચાલે ઝનૂની સ્વરૃપ ધારણ કરી રહ્યો છે. એના પુરાવા રૃપે નેશનલ રિપબ્લિકન ટ્રસ્ટ પોલિટિકલ એક્શન કમિટીએ તાજેતરમાં 'કિલ ધ ગ્રાઉન્ડ ઝીરો મોસ્ક' એવા શીર્ષક હેઠળ એક ટેલિવિઝન એડ બનાવી છે. આ એડ પાછળનો એક માત્ર ઉદ્દેશ મસ્જિદનો વિરોધ કરવાનો છે. એથી પણ વધુ ગંભીર વાત એ છે કે એડમાં વારંવાર મુસ્લિમોને વિનાશ વેરવા બહાર પડેલા હથિયારધારી અને બુકાનીધારી માણસો તરીકે દર્શાવાયા છે. આ વિવાદાસ્પદ એડ મુસ્લિમો સામે એટલું બધુ ઝેર ઓકે છે કે એનબીસી અને સીબીએસ ચેનલે એનું પ્રસારણ કરવાની ઘસીને ના પાડી દીધી છે.
-કાંતિલાલ |
|
|
|
|
|
|
|
|
|
|
| |
|
|
|
|
|
|
Gujarat Samachar © 2010, All Rights Reserved |
|
|
|