માણસનો ખરો ચહેરો... એનો પરિચય કયો ?
જેવો એ બહારથી દેખાય છે તે, કે જેવો અંદરથી છે એ ?!
બહારથી તો એ શણગાર સજીને, મહોરા પર મહોરા લગાવીને જીવે છે. સજ્જન હોવાનું, સાઘુ હોવાનું, સમજદાર હોવાનું પણ એ નાટક કરી શકે છે. લોકો પ્રભાવિત થાય એ રીતે બોલવું, પોતાની એક સુંદર પ્રતિમા ઊભી થાય એ રીતે વર્તવું... આ બઘું એને સુખસાઘ્ય છે. ઘણીવાર માણસ સમાજની સામે તો ઠીક પણ પોતાની સામેય ખુલ્લો નથી થતો. બીજા એને જે રીતે ઓળખે છે કે જાણે છે તે રીતે જ, એ પોતે પણ પોતાને ઓળખે અને જાણે છે. જગતમાં તો એ એકલો અટૂલો, અને અજાણ્યો થઈને જ જીવે છે, પણ સ્વયંની સાથે ય એ અજાણ્યાની જેમ, પૂરી ઓળખ વિના જ જીવે છે અને છેવટે એવી સ્થિતિમાં જ, એક ભૂલા પડેલા એકલા- અટૂલા માણસની જેમ મરે છે. એની સાથે કોઈ છે કે પોતે કોઈની સાથે છે, એ પણ એક ભ્રાંતિ જ છે. પરપોટો ફૂટે એમ જો એ ભ્રાંતિ તૂટે તો એક ક્ષણ એવી આવે છે કે ચારે બાજુથી ઘવાયેલા જીવની જેમ એને તરફડવું પડે છે. નથી એને સરખી ઉંધ આવતી કે નથી એનાથી સુખપૂર્વક, ખુશ થઈને જીવી શકાતું. ‘માણસ’ હોવાની આ અનિવાર્ય સજા છે. જેને માણસ થવું છે કે જાગરણની યાત્રા પર જવું છે તેને આ પ્રક્રિયામાંથી પસાર થવું જ પડે છે. જે આ પ્રક્રિયામાંથી પસાર થાય છે કે પડખાં ફેરવતા ફેરવતા જાગી જાય છે, તેનું જીવન બદલવા લાગે છે. પૂર્ણ જાગરણ પહેલાં પણ એને સુખની, સ્વસ્થતાની, એકાંતની ઝલક મળવા લાગે છે. દુઃખની ક્ષણો ઓછી અને સુખ તથા આનંદની ક્ષણો વઘુ એમ ક્યારેક પૂરી જિંદગી પણ પસાર થઈ શકે છે અને સમજ જો પ્રખર હોય તો મરતા પહેલાં પૂર્ણ જાગરણ કે સંબોધિના શિખર સુધી પણ પહોંચી શકાય છે. પણ એનો આધાર રોજેરોજના- વ્યક્તિગત, પારિવારિક કે સામાજિક જીવનના સ્વાનુભવમાંથી પસાર થઈ થઈને અથડાતાં- પછડાતાં, તપ કે સંતાપમાંથી પસાર થતાં થતાં જ જે સમજ, જે જાગરણ પેદા થાય છે તેના પર છે.
હોશપૂર્વકના સ્વાનુભવ વિના જાગરણ લગભગ અશક્ય છે. બાકી હજારોમાં કોઈ એકાદ વ્યક્તિ પાસે જ એટલી ઉંચી પ્રજ્ઞા હોય છે જે સ્વાનુભવ વિના, ચારે બાજુ જોઈ જોઈને ય જાગી જાય છે. દરેક અનુભવમાંથી એને પોતાને પસાર થવાની જરૂર નથી પડતી. પણ પોતાની આસપાસ જીવતા લોકોને જોઈને, એમના અનુભવ અને ઉંહકારા કે સિસકારા સાંભળી સાંભળીને જ, અંદરથી એના હૃદયમાં એક સમજ પેદા થવા લાગે છે. આવી ઉંચી સમજ ધરાવતા લોકો ઓછા હોવા છતાં સાચા અર્થમાં ભાગ્યશાળી હોય છે. બાકી તો માણસનું શરીર ધરાવતા હોય તેવા મોટા ભાગના લોકો અંદરથી પશુ અને પામર હોય છે. એમની અંદર સ્વયંના હોવાનો બોધ પણ નથી હોતો. આવા લોકો ભીડના એક હિસ્સાની જેમ જ જીવે છે અને ભીડની વચ્ચે જ બેહોશ રીતે મરે છે. એમની પાસે જીવ તો હોય જ છે પણ આત્મા નથી હોતો. માણસ હોવાની પીડા કે માનવી હોવાનું ગૌરવ પણ એમના નસીબમાં નથી હોતું. પશુની જેમ જ એ ખાય છે, પીએ છે, ઉંઘે છે, વંશ પરંપરાને આગળ વધારે છે અને છેવટ જતાં એક ઢોરની જેમ જ મરે છે.
માણસનું વ્યક્તિગત જીવન આજે જેમ પીડાથી ભરાતું જાય છે તેમ એનું પારિવારિક જીવન પણ દુઃખ, અસંતોષ, દંભ, સંતાપ અને અરાજકતાથી ભરાતું જાય છે. સમાજના ખૂબ ઓછા હિસ્સાને બાદ કરીએ તો બાકીનો ભાગ આવી પારિવારિક પીડાની વચ્ચે જીવે છે. બહારથી બઘું બરાબર હોય એવું લાગે છે પણ અંદરથી પ્રત્યેક એકબીજાની પ્રત્યે ફરિયાદ લઈને, અસંતોષ અને સમસ્વરતા વિના જ જીવે છે. બાળકોને મા-બાપ સામે ફરિયાદ અને અસંતોષ છે તો મા-બાપને બાળકો સાથે કેવી રીતે વર્તવું એ સમજાતું નથી. બાળકો પ્રત્યેનો પ્રેમ એમને મન મારીને અનુકૂળ થવા તો પ્રેરે છે પણ અંદરથી કશોક અસંતોષ સતત પીડતો જ રહે છે. જનરેશન ગેપ, બે પેઢી વચ્ચેનું અંતર રોજેરોજ વધતું જ જાય છે અને પરિણામે બહારથી સુખી દેખાતો પરિવાર પણ અંદરથી વિખૂટો અને વ્યથિત જ હોય છે. વૃદ્ધોની અવદશા તો આવા પરિવારમાં ખૂબ જ વધી છે. એમની જૂની આંખોને નવું નવું નથી સમજાતું કે નથી એમનાથી બઘું સહન થતું. આમ છતાં વિભક્ત કે અવિભક્ત રીતે પરિવારનું ગાડું તો ગબડ્યા જ કરે છે. હા, માણસ જે સુખ કે શાંતિ માટે મથે યા વલખે છે તે તો એનાથી ક્ષિતિજની જેમ દૂર જ સરકતું જાય છે.
માણસનું સામાજિક જીવન પણ રોજેરોજ પ્રદૂષિત થતું જાય છે. વિવિધ પ્રકારના ઝેરથી વ્યક્તિનું સામૂહિક જીવન આજે જટિલ અને અસુરક્ષિત થતું જાય છે. એની પાસે સામાજિક અન્યાય કે ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવવાનો પણ સમય નથી. એ પોતાના જ વ્યક્તિગત પ્રશ્નોમાં એટલો અટવાયેલો હોય છે કે ચારે બાજુથી થઈ રહેલા શોષણ સામે એક હરફ પણ ઉચ્ચારી શકતો નથી. રાજનૈતિક ચિત્ત ધરાવતા લોકો અને રાજનેતાઓ રોજેરોજ સમાજની છાતી પર ચડીને આમ જનતાનું લોહી ચૂસી રહ્યા છે. અંગત સ્વાર્થ માટે એ કંઈ પણ કરવા તૈયાર છે. સમાજનું કે દેશનું હિત એમના હૈયામાં નથી. પોતાના સુખ અને સ્વાર્થ માટે જ એ લોકસેવાનું નાટક કરે છે. સમયસર જો આવાં લોહી ચૂસતા ઝેરીલાં તત્ત્વોને અટકાવવામાં નહીં આવે તો સમાજ અખોે ખોખલો, નમાલો અને પાયમાલ થતો જશે.
જે દેશની જનતાએ અંગ્રેજો, મોગલો અને હૂણોને હરાવ્યા એ જ દેશની જનતા હવે એટલી બધી નમાલી અને બાયલી થતી જાય છે કે પોતાના જ દેશના શોષણખોર રાજનેતાઓને હટાવી કે હરાવી શકતી નથી. લોકશાહીના નામે અંગત હિત ધરાવતા રાજનેતાઓની જ આ આપખુદશાહી બની ગઈ છે. સમયસર જો આ દૂષણને ફેલાતું અટકાવવામાં નહીં આવે તો આખા દેશમાં એ નાસૂરની જેમ ફેલાતું જશે. દેશની યુવા પેઢીએ, સમજુ અને શિક્ષિત સમાજે હવે સવેળા જાગવું પડશે. આ માટે કોઈ આંદોલન, તોડફોડ કે અસહકારની જરૂર નથી. સમજપૂર્વકના થોડા એવા અહિંસક ફેરફારથી જ શાસન પદ્ધતિમાં પરિવર્તન લાવી ઉમદા તત્ત્વોને ઉમેરી શકાય તેમ છે. ‘ગણતંત્ર’ની જગ્યાએ ‘ગુણતંત્ર’. ગુણવાન, સજ્જન, સમજદાર અને છતાં વહીવટી સૂઝ ધરાવતા લોકોને જ પસંદ કરી ચૂંટવા. ‘ડેમોક્રેસી’ની જગ્યાએ ‘મેરિટોક્રસી’ દરેક ક્ષેત્રના નિષ્ણાત લોકોનો જ શાસનમાં વિનંતી કરીને લાવવા. આખા દેશમાં સામાજિક જાગૃતિ અને સુશાસનની સમજ સાથેનું જન આંદોલન શરૂ કરી દેવું જોઈએ. કોઈ એક સંપ્રદાય, પક્ષ કે કોમી ઝનૂનનું આમાં કામ નથી. સમજદાર લોકોન આ દેશમાં કોઈ પાર નથી. બસ એમને સક્રિય કરવાની જરૂર છે અને ખૂબ મોડું થઈ જાય, પરિસ્થિતિ કાબૂ બહાર ચાલી જાય એ પહેલાં જ આ તરફ સૌ કોઈનું ઘ્યાન કેન્દ્રિત થવું જરૂરી છે.
ક્રાન્તિબીજ
તીન બાતેં બંધન બંધે; રાગ, દ્વેષ, અભિમાન;
તીન બાતે બંધન ખૂલે; શીલ, સમાધિ, જ્ઞાન.