| Last Update : 05-Sept.-2010, Sunday |
|
|
|
|
|
|
|
 |
|
| દીવ ટાપુ ઉપર આવેલું શિવભક્તોનું અનોખું ધામ |
| ગંગેશ્વરનાં પાંચ શિવલિંગો ઉપર સમુદ્ર દેવતા સ્વયંભૂ જલાભિષેક કરે છે |
આ ધામમાં વર્ષોથી સમુદ્ર જળ વડે સાયં પૂજા થાય છે. વહેલા પ્રભાતમાં આ લિંગો ઉપર એક કદાવર નાગ ફેણ ચઢાવી ડોલતો દેખાય છે અને ઘંટનાદ થતાં સમુદ્રમાં સરકી જાય છે. દર શ્રાવણી સોમવારે એક લીંગ સમુદ્રમાં ગરકાવ થઈ જાય છે અને બીજા સોમવારે જલાધારમાં હાજર થઈ જાય છે.
જોકે આ ક્રમ છેલ્લા ચાલીસ વર્ષથી બંધ થઈ ગયો છે.
સૌરાષ્ટ્ર દક્ષિણ કિનારા ઉપર આવેલા મનોરમ્ય દીવ ટાપુ ઉપર બે કિલોમીટર દુર ફુદમ ગામ આવેલું છે. આમ તો દીવ એ પોર્ટુગીઝ સંસ્કૃતિની જીવતી જાગતી તસ્વીર છે. પરંતુ ઘણા ઓછાને ખબર હશે કે ફુદમ ગામની પશ્ચિમ દિશાએ દરિયાકિનારા ઉપર પાંચ હજાર વર્ષ જૂનું ગંગેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. જેમાં મહાભારત યુગમાં પાંડવોએ જાતે પાંચ શીવલીંગની સ્થાપના કરી હતી અને આજે પણ સમુદ્ર દેવતા આ શીવલીંગો ઉપર રોજ સ્વયં પોતાના જળ દ્વારા જલાભિષેક કરે છે. કહેવાય છે કે અહીં કોઈ રાત રોકાઈ શકતું નથી આ શીવલીંગના દક્ષિણ પશ્ચિમે એક કુંડ આવેલો છે. ઓટના સમયે દરિયાનું પાણી વહી જાય છે ત્યારે આ કુંડમાંથી આપોઆપ નીકળતું મીઠું પાણી ચાખી શકાય છે.
દીવ એક ખડક ઉપર આવેલો બેટ છે. દીવના જુના નામો પાતાલ દ્વીપ, દીવગઢ, દીવ બંદર, દેવ ભદ્ર છે. દીવપાંચ હજાર વર્ષથી વધારે સમય પહેલાં કલિયુગમાં પ્રભાસ ક્ષેત્ર બન્યું હતું. આ પ્રભાસ ક્ષેત્ર ૩૬૭ ચો.માઈલમાં વિસ્તરેલું છે.
દીવના કિલ્લાની પશ્ચિમ દિશાએ બે કિલોમીટર દુર ફુદમ ગામ આવેલું છે. આ ગામ બંને બાજુ સાગરના પટ્ટની વચ્ચે વસેલું છે. ફુદમ ગામની પશ્ચિમે અડધો કિલોમીટર દૂર અત્યંત શાંત વાતાવરણની વચ્ચે ગંગેશ્વર ધામ આવેલું છે. જે પાંચ હજાર વર્ષ પુરાણું છે. અને તેનો સ્થાપનાકાળ પાંડવ યુગ ગણાય છે.
મહાભારત વન પર્વમાં દર્શાવ્યા પ્રમાણે પાંડવો સૌરાષ્ટ્રમાં વિહરતા હતા ત્યારે પ્રભાસ ક્ષેત્રમાં આવ્યા હતા ત્યારે દીવની પશ્ચિમે એક ગાઢ જંગલ હતું. પાંડવોેને એક નિયમ હતો કે શિવપુરાણ કર્યા વગર ભોજન લેતા નહોતા. એક દિવસ સંઘ્યાકાળ સુધી જંગલમાં શિવલીંગ નહીં દેખાતા તેમના ટેકની પૂર્તી માટે ગંગેશ્વરની ગુફામાં પાંચ ભાઈઓએ પોતાના કદ પ્રમાણે શીવલિંગની સ્થાપના કરી અને પૂજન કર્યા બાદ ભોજન લીઘું. આ સમયે ગંગેશ્વર સમુદ્રથી ૧૦૦ મીટર દૂર હતું. તેથી માત્ર ભરતીના સમયે શિવલીંગો ઉપર જલાભિષેક થતો. પાંડવો આ જગ્યાએ એકાદ માસ રહ્યા અને લિંગોનું પૂજન ચાલું રાખ્યું પછી દેવી પ્રભાવથી યોગી-મુનિઓ દ્વારા પૂજન ચાલુ રહ્યું અને ત્રણ હજાર વર્ષ પૂર્વે સમુદ્ર જમીન તરફ આગળ વધતાં આજે દરિયાદેવ છેક ગંગેશ્વર સુધી પહોંચી ગયા છે.
મૈત્રક યુગમાં તે ગુફામાં પશ્ચિમી ખુણામાં ગણેશજી તથા પાર્વતીજીની મૂર્તિઓ ખડકમાંથી કોતરવામાં આવી હતી.
આ પંચલિગોની દક્ષિણ પશ્ચિમે એક કુંડ આવેલો છે. જ્યાં ખાડામાં આજે પણ ઓટના સમયે મીઠું પાણી વહે છે. જેને ગંગાજળ કહેવાયું અને તેના ઉપરથી આ ધામનું ગંગેશ્વર પડ્યું. સોલંકી યુગમાં અહીં પંચલિંગોની ગુફામાં જવા પગથિયાં બનાવ્યા. પગથિયાની ઘાટે ઉત્તર તરફ હનુમાનજીની પથ્થરની પ્રતિમા મુકાઈ જે શીવલિંગોનું દરિયાઈ તોફાન અને વાવાઝોડાથી રક્ષણ કરે છે.
સમુદ્ર દેવતા જેના ઉપર જલાભિષેક કરે છે. તેવા આ ધામના પ્રભાવની અનેક વાતો દીવના લોકોમાં ચર્ચાય છે. કહેવાય છે કે અહીં કોઈ રાત્રે મુકામ કરી શકતું નથી. તેમ જ શિખરમાં મંદિર બાંધી શકાતું નથી. ક્યાંક કોઈ રાત્રી મુકામનું સાહસ કરે તો સવારે બેભાન અવસ્થામાં માલુમ પડે છે અને કહે છે કે રાત્રે એક લાંબી દાઢી જટાવાળાપુરુષ દેખાયા હતા પછી શું થયું તે ખબર નથી.
આ ધામમાં વર્ષોથી સમુદ્ર જળ વડે સાયં પૂજા થાય છે. વહેલા પ્રભાતમાં આ લિંગો ઉપર એક કદાવર નાગ ફેણ ચઢાવી ડોલતો દેખાય છે અને ઘંટનાદ થતાં સમુદ્રમાં સરકી જાય છે. દર શ્રાવણી સોમવારે એક લીંગ સમુદ્રમાં ગરકાવ થઈ જાય છે અને બીજા સોમવારે જલાધારમાં હાજર થઈ જાય છે. જોકે આ ક્રમ છેલ્લા ચાલીસ વર્ષથી બંધ થઈ ગયો છે.
વળી ખાસ તહેવાર, યોગના દિવસે અહીં રાત્રિના બાર વાગે આપોઆપ ઘંટનાદ અને શંખઘ્વનિ થાય છે. દર મહાશિવરાત્રીએ મોટો મેળો ભરાય છે. અને હજારો લોકો અહીં દર્શન કરવા આવે છે. આમ તો દીવમાં જોવાલાયક સ્થળોમાં કીલ્લો દરિયાકિનારો અને ચર્ચો આવેલા છે. પરંતુ દરિયાના એક ખૂણે આવેલા ગંગેશ્વરની મુલાકાત લેનારાને વારંવાર અહીં આવવાનું મન થાય તેવી આ જગ્યા છે. ખાસ કરીને ક્ષિતિજ ઉપર સૂર્યોદય થવાના સમયે પ્રકૃતિ અહીં જાણે સોળે કળાએ ખીલી ઉઠે છે. એક તરફ અફાટ દરિયો વચ્ચે ગંગેશ્વર અને બીજી તરફ પર્વતો અને જંગલો દુનિયાને ભૂલી જઈ મહાદેવમય થઈ જવાય એવું આ ધામ છે. દીવ જવાનું થાય તો ગંગેશ્વરની મુલાકાત ચૂકવા જેવી નથી.
|
|
|
|
|
|
|
|
|
|
|
| |
| |
|
|
|
|
|
|
Gujarat Samachar © 2010, All Rights Reserved |
|
|
|