|
રંગલાને નવી નોકરી મળી છે. આજકાલ છોકરી મળે અને આનંદ થાય તેના કરતાં નોકરી મલે ત્યારે આનંદ બોલીવૂડ જેવો ડાન્સ કરાવે છે. ટાઈમસર નોકરી પર જવા માટે એણે બે એલાર્મ ઘડીયાળ ખરીદ્યા છે જેથી વહેલા ઉઠવા, ઉઠાડવામાં બન્ને હાથ મદદ કરે. રંગલો એલાર્મની ઘંટડી સાંભળે છે ને થપ્પડ મારીને ઘડીયાળને ચૂપ કરી દે છે. એક વઘુ ઊંઘ ખેંચી લઊં ! રંગલા કરતાં રંગલીને રંગલાની નોકરીની વધારે ચિંતા છે. કારણકે નોકરીએ એવો એ જાય તો ઘરમાં શાંતિ. એ રંગલાને બૂમ પાડે છે - ઊઠો, ટાઈમ થઈ ગયો. સફાળો એ ઊઠે છે. આંખે પાણી છાંટી, ટુથપેસ્ટ જોડે દાંતને ઘસી, બ્લેડ જોડે દાઢી ઘસીને દોડવાની શરૂઆત કરતાં પત્નીને દબડાવે છે, તેં મને ટાઈમસર ઉઠાડ્યો નહીં - ચા તૈયાર છે કે નહીં? ચા જોડે એકાદ ખાખરો ગળામાં ભરાઈ ન જાય તે રીતે ખાખરા ઉપર ચા રેડીને એ દોડવા માંડે છે. બસ પકડવી છે. બસ કમબખ્ત આજે મોડી છે. ત્યાં બસ આવે છે. બસની બહાર લટકીને દોડતો દોડતો ઓફીસમાં પહોંચી જાય છે. આ ધાંધલ ધમાલને અંતે ટેબલ ઉપર જ એને ઝોકું આવે છે. એ નસ્કોરાંનું સંગીત વગાડે છે અને ત્યાં બોસ આવે છે. એને એક ધબ્બો મારીને કહે છે, આ ઓફિસ છે. હવે આજથી નોકરીએ નહીં આવવાનું. ઘેર નિરાંતે સૂઈ રહેજો.
આ પ્રસંગ પછી રંગલો મારી પાસે આવ્યો. મને કહે, બોલો! આમાં મારો કંઈ વાંક ખરો? આ બોસ લોકો એમની જાતને શું સમજે છે? મેં એને કહ્યું કે તારા માથા ઉપર ઘડીયાળ ચઢી ગઈ છે. તું ઘડીયાલનો ગુલામ છે. નિરાંત શબ્દ શું કહેવાય એની બારાખડી તું જાણતો નથી. અગાઉથી તૈયારી કર્યા વિના, સમયને જાત જોડે શું સંબંધ છે એ સમજ્યા વિના ભાગમદોડ કરે છે.
રંગલો મને કહે, તમે શું સમજ્યા વિના બોલ બોલ કરો છો? મારી પાસે બે એલાર્મ છે. હું હંમેશાં ટાઈમસર ઓફિસે પહોંચી જઊં છું. મારી પત્ની મને મોડો ઉઠાડે એમાં હું શું કરૂં ? બસ મોડી આવે એટલે હું શું કરૂં ? મેં કહ્યું - તું ભલે જાગતો હોય, તારી બુદ્ધિ અને સૂઝ સતત કુંભકર્ણના દીકરા જેવી છે. જીવન જીવવામાં પ્લાનીંગ શું છે, તેની તને ખબર નથી. સાધનને તું સાઘ્ય સમજ્યો છે. ઘડીયાળ તારી ગુલામ હોવી જોઈએ તેના બદલે તું ઘડીયાળનો ગુલામ છે.
મને કહે, આખી દુનિયા ઘડીયાળની ગુલામ છે. કોઈને પૂછીએ છીએ કે ભાઈ ટાઈમ શું થયો ? તો જવાબ મળે છે. ટાઈમ શું છે એ કહેવાનો ટાઈમ મારી પાસે નથી! મેં કહ્યું, જો ગાંધીજી ઘડીયાળને કમર ઉપર લટકાવતા હતા, ખોપરીમાં લટકાવતા ન હતા.
તમે મને કહ્યું હોત તો અમિતાભ બચ્ચનને કહેત ને?
અમિતાભ બચ્ચને શું કરવું એની તને ખબર છે પણ તારે શું કરવું એની તને ખબર નથી. અમિતાભ બચ્ચનનું ઘડીયાળ છે ‘‘પબ્લીસીટી’’. એ ઘડીયાળ સતત પબ્લીકમાં સીટી વગાડવા વપરાય છે.
રંગલાને આ વાતથી ખોટું લાગ્યું. એ ગરમ થઈ બબડતો બબડતો ચાલ્યો ગયો. ચાર્લી ચેપ્લીને આ ઘડીયાળના ગુલામોની ચામડા ચીરી નાંખે એવા હાસ્યથી એક ટૂંકી ફીલમ નામે ‘પાનશોપ’ બનાવી છે. ફ્રાન્સના લોકો તો આ ટુંકી ફીલમને સમયની કવિતા તરીકે ઓળખે છે. અને ભક્ત ભગવાનને ભજે એમ ચાર્લી ચેપ્લીનની આ હાસ્યસૂઝને ભજે છે. એ ભજવાની પાછળ કારણ છે. આપણે સાધનને સાઘ્ય સમજીએ છીએ એથી વઘુ હાસ્યાસ્પદ શું હોઈ શકે?
પોનશોપ એટલે ધીરધારની નાની દુકાન. જ્યાં જ્યારે પૈસો જોઈએ ત્યારે સામે દુકાનદાર દાગીના અથવા કિંમતી વસ્તુ લઈને રોકડ રકમની અદલાબદલી કરી આપે છે. આ દુકાનમાં એ નોકરી કરે છે. દુકાનમાં કામ કરનાર સાથે એ ઝગડે છે. શેઠ એને કાઢી મૂકે છે ત્યારે દર્દભરી આંખે મારે ‘‘અગીયાર છોકરા છે’’ એમ કહીને શેઠ કાઢી ન મૂકે તે માટે અગીઆર છોકરાને જનમ આપે છે. શેઠની દીકરીને ડિશો ધોવામાં મદદ કરે છે. એમાં પછી લુગડા ધોવાના મશીનમાં ડીશો ઘૂવે છે. એ સમયે એક માણસ પોતાની ઘડીયાળ લઈને આવે છે. ઘડીયાળ સામે એને પૈસા જોઈએ છે. આ પ્રસંગ એ ચેપ્લીનની હાસ્યમાં રહેલી સર્જનશક્તિનું શીખર છે. ફ્રેંચ લોકો આ પ્રસંગને કવિતા કહે છે. કોયલનો ટહુકાર, ચોમાસાની ઝરમર કે વસંત ઋતુનો ઉલ્લાસ, સમજવાનો કે માણવાનો સમય નથી. એ ઘડીયાળના ચક્કરમાં ચકનાચૂર થઈ ગયો છે. સમયના ચક્કરમાં બાલ્યાવસ્થા પછી વૃદ્ધાવસ્થા ક્યારે આવી ગઈ તેની પણ એને ખબર પડતી નથી. રીટાયર થયા પછી પણ એ નવી નોકરીની ઝંખના કરતો હોય છે. સમયની નબળાઈમાં ગુલામ થવાથી અને અહમ્ ઉપર સમયને અને સમય ઉપર અહમને લટકાવવાની વૃત્તિને એક ગ્રાહક સ્થૂલ ઘડીયાલ લઈને એની દુકાન ઉપર આપવા આવ્યો છે તે માઘ્યમ દ્વારા આ પ્રસંગની ટૂંકી ફીલમ ઉતારી છે.
ગ્રાહક ઘડીયાળ લાવે છે અને પછી એ ચાલે છે કે નહિ તે જોવા ઘડીયાળ કાને મૂકીને તપાસ કરે છે, પછી તે જોવા ઘડીયાળની તોડફોડ કરે છે અને પછી જે રીતે એક એક ઝીણો ભાગ ઘડીયાળનો જુવે છે અને તેમાં પણ કોઈ ભાગ ચાલતો હોય તો એને હથોડી મારી તોડી નાંખે છે. એ પછી ગ્રાહકની હેટ લઈને ઝાડુથી બધા તોડી નાંખેલા ઘડિયાળના ભાગોને ગ્રાહકની હેટમાં નાંખીને ગ્રાહકને કહે છે, ‘‘આ ઘડીયાલ ચાલે એવી નથી.’’ આ પછી ગ્રાહક એની સામે જે રીતે જુવે છે એમાં ચેપ્લીન જે સમજાવવા માંગે છે તે વાત પ્રેક્ષક તરત સમજી જાય છે.
આ આખી પ્રક્રિયા ડૉક્ટર પોસ્ટમોર્ટમમાં શરીરને જે રીતે ચીરી નાંખે છે અને શરીરને જુવે છે તેની સાથે સરખાવી શકાય. જીવતા માણસની કોઈને પરવા નથી પણ મરેલો માણસ શા માટે મરી ગયો એની પાછળ જ આપણે સમય વિવેકહીન થઈને બગાડીએ છીએ. સમયનું મહત્ત્વ સમયની સાથે હોઈએ છીએ ત્યારે સમજાતું નથી પણ સમય વહી ગયા પછી એ કેવી રીતે વહી ગયો તે સમયની તોડફોડ કરીને સમજવા પ્રયત્ન કરીએ છીએ.
આપણા જીવનની આ ધન્ય ક્ષણો જે માટે ઈશ્વરે આ ભેટ આપી તેનું મહત્વ નથી. મહત્વ છે જેનું મહત્વ નથી તેવી ઘડીયાળોનું આપણે ઘડીયાળ જોઈએ છીએ. ઘડીયાળની પાછળ સાચો સમય છે તે જોવાની ના પાડીએ છીએ. કવિ સુંદરમે કહ્યું છે ઃ-
નૈ નૈ નૈ
દેખાતું નૈં તેથી નૈં
એ વાત નાસૈ, નાસૈ, મારા ભૈ !
દેખાતું નૈં તેથી નૈં.
દેખી દેખીને તું દેખે શું કેટલું
દેખ્યું તે સમજે શું કૈ ?
મરકટના હાથમાં મોતીડું આલ્ય એને કિંમત ના એની જૈં.
દેખાતું નૈ તેથી નૈં.
|