ઈશ્વરની બનાવેલી કઈ રચના તમને સર્વોત્તમ લાગી ?
- દાળવડાં... જોકે, ઈશ્વરીયો મરચાં વધારે નથી આલતો... !
(હંસા મોદી, ગાંધીનગર)
‘એનકાઉન્ટર’ નકલી અને અસલી... તફાવત શું ?
- મને આશા નહોતી કે, ખુદ સરકાર મારી કોલમની નકલ કરશે.
(ભરત અંજારીયા, રાજકોટ)
સુરતનું જમણ અને કાશીનું મરણ, તો અમદાવાદનું શું ?
- પહેલા તમે એ બન્ને પતાઈને આવો... પછી જોઈશું !
(હરેશ ડી. પરમાર, વડોદરા)
આજની ફિલ્મોના બધા ગીતોમાં સેક્સ મૂકવામાં આવે છે, એનું શું કારણ ?
- સેક્સને બદલે ખેતીવાડીનું બિયારણ મૂકશે, તો તમને ગમશે ?
(અજય પી. પંચાસરા, રાજકોટ)
પૃથ્વીલોક મેં તીન હૈ ઇન્દર... ધર્મેન્દ્ર, જીતેન્દ્ર અને રાજેન્દ્ર! આ ત્રણે તો નામશેષ થઈ ગયા. હવે?
- નરેન્દ્ર.
(શ્રીમતી તરૂ વકીલ, અમદાવાદ)
આપના ‘એનકાઉન્ટર’ની ફળશ્રુતિ શું છે ?
- બેવકૂફ બનાવતા મને આવડી ગયું છે !
(મયૂરી ભાવેશ વોરા, જોરાવરનગર)
સરકારી નોકરીમાંથી નિવૃત્ત થયા પછી શું કરવું જોઈએ ?
- હવે સુધરવું જોઈએ.
(ડૉ. અશોક પટેલ, વડોદરા)
વડાપ્રધાનપદ માટે વઘુ લાયક કોણ ? સોનિયા કે ડૉ. મનમોહન ?
- તમારૂં વાંચન વધારો.
(હરવિંદરસિંઘ, વડોદરા)
કોંગ્રેસને જીવતા અફઝલ કરતા મરેલા સોહરાબુદ્દીનની ફિકર કેમ છે ?
- કોંગ્રેસ મરેલામાંથી ય વોટ કાઢી શકે છે.
(ધીમંત એ. ભાવસાર, બડોલી)
વરઘોડામાં સાજનમાજન વરની આગળ કેમ ચાલે છે ?
- હાળો ભાગી ના જાય એટલે !
(ચંદ્રિકા પંડ્યા, વડોદરા)
નરેન્દ્ર મોદીને એક દિવસ માટે ભારતના વડાપ્રધાન બનાવો તો ?
- એ એક દિવસ માટે, છેલ્લા ૩,૦૦૦-દિવસથી રાહ જોઈને નથી બેઠા. બેસશે તો બીજા ૩,૦૦૦-દિવસ બેસશે.
(પ્રદીપ પંડ્યા, હિંમતનગર)
આઘા ઘર ઉપર સાસરાનું ફેમિલી ફરી વળ્યું હોય તો શું કરવું ?
- ડૂબી મરવું.
(દિપ પરીખ, રાજકોટ)
સ્ત્રીઓ સ્વતંત્રતાને લાયક નથી, એવું મનુસ્મૃતિમાં લખ્યું છે. તમે શું માનો છો ?
- તો એ જમાનામાં પણ સારા લેખકો હતા, એમ ?
(ભરત ડી. સાંખલા, ડીસા)
તમારી જૂની પ્રેમિકાનો પ્રેમપત્ર હકીબેનના હાથમાં આવે, તો શું પ્રતિભાવ આપો છો ?
- રોજેરોજ શું પ્રતિભાવો આલવા... !
(જયેશ અંતાણી, રાજકોટ)
પાપ-પૂણ્યના ખેલમાં લોકો પાપને કેમ વઘુ પસંદ કરે છે ?
- આ જવાબ આપવા મને શું કામ પસંદ કરો છો, બેના ?
(નિકિતા કે. સિંઘલ, જખવાડા)
મતલબી માણસોને કઈ સજા હોય ?
- લગ્ન.
(સીમા બંગલાવાલા, અમદાવાદ)
ગુજરાત મેલ, પણ કર્ણાવતિ એક્સપ્રેસ... ટ્રેનોમાં ય સ્ત્રી-લિંગ પુલ્લિંગ... ?
- આપણે ત્યાં એ બન્નેની વચ્ચેનું એક જ છે... વિમાન.
(મુહમ્મદ ઈલિયાસ ખીલજી, અમદાવાદ)
ધંધાધાપા કરતી વખતે ગ્રાહક સાથે શું ઘ્યાન રાખવું જોઈએ ?
- એક વખત માલ ભટકાડી દો... ઘ્યાન એ રાખતો થઈ જશે !
(પ્રવિણ એન. દોશી, સુરેન્દ્રનગર)
એન્ડરસનને છોડી મૂકવાવાળાઓ હવે એને પકડવા માટે દોડે છે... આને શું કહેવાય ?
- મેરા ભારત મહાન.
(મુનિરા ફખરૂદ્દીન બારીયાવાલા, ગોધરા)
ભ્રષ્ટાચારી રાજકારણીઓ અને કામચોર સરકારી અધિકારીઓથી પ્રજાને રાહત ક્યારે મળશે ?
- શનિ-રવિ.
(ફૂલજી એમ. ચૌધરી, ધીણોજ)
વીંટી પહેરાય છે આંગળીમાં, છતાં તેને અંગૂઠી કેમ કહેવાય છે ?
- એમ તો તમે કદી હાર સ્વીકારતા નથી... છતાં કોઈ પહેરાવે તો પહેરવો પડે છે ને ?
(સુબોધ નાણાવટી, રાજકોટ)
નરેન્દ્ર મોદીએ નીતિશકુમારને મોકલેલી મદદ પાછી કેમ આવી ?
- જેને હરામનું જ પચતું હોય એને ગુજરાતની પ્રજાના પસીનાનું કાંઈ ખપે ?
(નૈષધ દેરાશ્રી, જામનગર)
સલાહ લેવી કોઈને ગમતી નથી, પણ આપવી ગમે છે, તેનું શું કારણ ?
- એક સલાહ આપું છું. કોઈની સલાહ ન લેવી.
(તુષાર આર. નાણાવટી, રાજકોટ)
માણસો સવાલોથી ભાગે છે. તમે આવકારો છો. આવું કેમ ?
- પરણેલો છું.
(રવીન્દ્ર નાણાવટી, રાજકોટ)
બીજાને હસાવતા હાસ્યલેખકો પોતે હસે છે ખરા ?
- કેમ, એ લોકોને કૂતરૂં કયડી ગયું હોય છે ?
(રૂષભ એસ. મોદી, સુરત)
સ્વર્ગની અપ્સરાઓ ધરતી પર ફરવા આવે તો શું થાય ?
- આપણે શું કરવું છે, તેના ઉપર બધો આધાર છે !
(તરલ પી. મહેતા, ભાવનગર)
આરામ ફરમાવવાની શ્રેષ્ઠ જગ્યા કઈ ?
- ઓફિસ.
(કમલા એસ. ચૌહાણ, રાજકોટ)
ભગવાન શ્રીકૃષ્ણ અને સુદામા જેવા મિત્રો આજકાલ કેમ જોવા મળતા નથી ?
- તું કોની વાત કરે છે, સુદુ... ?
(જીતેન્દ્રસિંહ આર. રાઠોડ)
|