| Last Update : 05-Sept.-2010, Sunday |
|
|
|
|
|
|
|
 |
|
| સંયુક્તાનો સ્વયંવર |
| ધરતીનો ધબકાર - દોલત ભટ્ટ |
|
સુકોમળ સુંદરીઓ ઉત્તેજિત થઈ ઊઠવા લાગે એમ કનોજ માથે ઊગતા સૂર્યનાં કિરણો ફૂટવા લાગ્યાં. રાધારમણના રાસે પાવન બનેલા કાલિન્દીના કાંઠા હરખી રહ્યા.
કૃષ્ણની જલક્રીડાનાં સંભારણાં સંઘરીને સંચરતી યમુનાએ ઉષાનાં ઓવારણાં લીધાં.
એવે વખતે કનોજના ભવ્ય મહાલના વિશાળ ચોગાનમાં હજારો ભૂદેવોના કંઠમાંથી શ્વ્લોકનો નાદ ઊઠ્યો. મંગલ તુરીના સૂર છૂટ્યા. ધજાપતાકાથી શોભી રહેલા કનોજના શેરી-ચૌટાઓ દિવ્યતાથી દીપવા લાગ્યા.
મંત્રોચ્ચારથી પ્રગટેલી યજ્ઞવેદીમાંથી શ્વેત ઘૂમ્રસેર આભને આંબવા માંડી.
વાત એમ બની હતી કે ઈરાનના શાહના હલ્લાને મારી હઠાવી કનોજપતિ જયચંદ રાઠોડે રાજપૂતાઈનો રંગ દેખાડ્યો હતો. આ રણબંકાને પોતાના પૂર્વજ નયનપાળના વંશજને દીપાવનાર તરીકે બિરદાવી અભૂતપૂર્વ સન્માન લોકોએ કર્યું હતું.
પરંતુ જયચંદ રાઠોડને લોકસન્માન ઓછું પડ્યું હતું તેથી દેવોને પણ દુર્લભ એવો રાજસૂય યજ્ઞ કરીને માન મેળવી લેવા આરંભ કર્યો હતો.
મહિનાઓની તડામાર તૈયારી પછી એ શુભ દિવસનો દિવાકર કનોજ માથે તેજકિરણો પાથરી રહ્યો હતો.
આ યજ્ઞની સાથે પોતાની રાજકુંવરી સંયોગિતાનો સ્વયંવર પણ રચ્યો હતો.
સભામંડપમાં અશોક અને આમ્રનાં તોરણ ઝૂલી રહ્યાં છે. મંડપ મઘ્યે બ્રહ્મર્ષિઓનાં આસન, બીજી તરફ સ્વયંવરમાં સંયોગિતાને વરવાની ઉત્કટ ભાવના ભરીને જયચંદના આમંત્રણનો સ્વીકાર કરીને આવેલ રાજરાજેન્દ્રોનાં સિંહાસનો પડેલાં છે. મઘ્યમાં કનોજપતિ જયચંદનું સુવર્ણસિંહાસન છે.
રાઠોડ વીર જયચંદે ભારતભરના રાજાઓને આમંત્રણ પત્રિકાઓ મોકલી છે. આનંત, ઉત્કલ, સંગ, બંગ, કાંચિ, કેરલ, સૌરાષ્ટ્રના અને સિંહ સુધીના રાજાઓ આવ્યા છે.
આવ્યા નથી માત્ર બે રાજાઓ. એક સમરસિંહ ગેહલોત અને બીજો છે દિલ્હીપતિ પૃથ્વીરાજ ચૌહાણ. આ બન્ને રાજાનાં સુવર્ણપૂતળાં કરાવીને જયચંદે તેની હાજરીની ગણના કરી છે.
શકપ્રવર્તક રાજા વિક્રમાદિત્યને પણ આ અપરિમિત સન્માન સાંપડ્યું નહોતું. જયચંદે ભીડેલી હામથી સારુંયે આર્યાવર્ત આશ્ચર્યચકિત થઈ રહ્યું છે. કનોજરાજ અપૂર્વ શોભાથી શોભી રહ્યો છે. તે સમયે કનોજની પ્રભુતા હિમાલય પર્વત સુધી, પૂર્વમાં કાશી અને ચંબલ નદીને પણ પારી કરી બુંદેલખંડમાં પહોંચી હતી. દક્ષિણ દિશાના મેવાડને વળોટીને અણહિલપુરને આંબી ગઈ હતી.
આવા કનોજપતિ જયચંદે આરંભેલા રાજસૂયયજ્ઞ સાથે ગોઠવાયેલા સ્વયંવરમાં કન્યાની ઉત્સુકતાથી રાહ જોવાતી હતી. યજ્ઞમાં આહુતિઓ અપાતી હતી.
સંયોગિતાએ સ્વયંવર માટે મંડપ મઘ્યે કુમકુમ પગલાં પાડ્યાં.
અંગે ચંદન ચર્ચ્યું છે. શ્વેત ફૂલથી સેંથો ગૂંથ્યો છે. અંગ પર શ્વેત મોતીનાં આભૂષણો ધારણ કર્યાં છે. શ્વેતાંગી સંયોગિતા આવી ત્યારે એવું રૂપ બંધાયું કે દૂધના સરોવરમાં જાણે દૂધની ધારા ચાલી.
પણ રાજકુમારી સંયોગિતાનું મન પરાજિત રાજરાજેન્દ્રોમાંથી કોઈના પર મોહ્યું નહીં. તેના ચિત્તમાં તો ચિતરાયેલો હતો એક ચૌહાણ કૂળનો ઝળહળતો સૂરજ પૃથ્વીરાજ.
પણ પૃથ્વીરાજ હતો ક્યાં? છેક મંડપના પ્રવેશદ્વાર પાસે સુવર્ણપૂતળાના રૂપમાં ખડો હતો. નિર્જીવ છતાંયે શૌર્ય અને સ્નેહથી નીતરતો નરવીર. સંયોગિતાએ પગલાં ઉપાડ્યાં. વરમાળા પૃથ્વીરાજના પૂતળાના કંઠમાં આરોપી. દિલ્હીશ્વરી તરીકે પોતાની જાતને જાહેર કરતાં જ આડે ઊભેલા પૃથ્વીરાજે પોતાની પ્રાણેશ્વરીને ખેંચી લઈ આગળ બેસારી અશ્વને દિલ્હી તરફ દોડાવી મૂક્યો.
સાથે આવેલા ચંદ બારોટે બિરદાવલી ગાઈ. રાઠોડ અને ચૌહાણ વચ્ચે ઘોર સંગ્રામ ખેલાણો. સમરક્ષેત્રમાં કંઈક સોડ તાણીને સૂતા.
ઓળખ ઃ પૃથ્વીરાજ ચૌહાણને દિલ્હીનું રાજ્ય તેની માતાના પિતા તરફથી મળ્યું હતું.
અનંગપાળ રાજ્ય સોંપીને સંન્યાસ ધારણ કરી બદ્રિકાશ્રમમાં રહ્યા હતા.
તણખો
આપણા પૂર્વજોએ રચેલા સંસ્કૃત ગ્રંથોમાં પડેલા જ્ઞાન-વિજ્ઞાનનું સંશોધન કરવાને બદલે આપણે ફૂલ ચઢાવી આરતી ઉતારી પૂજા જ કરી.
|
|
|
|
|
|
|
|
|
|
|
| |
| |
|
|
|
|
|
|
Gujarat Samachar © 2010, All Rights Reserved |
|
|
|