| Last Update : 05-Sept.-2010, Sunday |
|
|
|
|
|
|
|
 |
|
| યોગબળથી કરાયેલો વધસ્તંભ પર ખીલાથી જકડાવાનો અદ્ભુત પ્રયોગ |
| અગોચર વિશ્વ - દેવેશ મહેતા |
દોલોન એના પૂર્વજન્મમાં નિશિથ હતી અને નિશિથના માતાપિતાએ પણ સ્વીકારી લીઘું કે એમનો પુત્ર નિશિથ જ દોલોન નામની છોકરીના રૂપે ફરી જન્મ્યો છે.
|
યોગ દ્વારા માનવી અસાધારણ સિદ્ધિઓ મેળવી શકે છે એનો એક પુરાવો દક્ષિણ આફ્રિકાના ન્યુ કેસેલ શહેરમાં રહેનારો પીટર વાન ડેનબર્ગ નામનો એક યુવક પણ છે. આમ તો એ એક ‘અદના આદમી’ જેવો સામાન્ય નોકરી કરતો યુવાન હતો. એણે ભારતના યોગીઓની સિદ્ધિઓ વિશે વાંચ્યું તો એનામાં ભારતીય યોગ શીખવાની અદમ્ય ઇચ્છા પ્રકટ થઈ. આ ઇચ્છાને એણે પૂરી પણ કરી. એ તિબેટ થઈને હિમાલય આવ્યો. હિમાલય એટલે સિદ્ધો અને મહાત્માઓનું સ્વર્ગ. ગૂઢ વિદ્યા અને આઘ્યાત્મિક જ્ઞાનની ખાણ. ત્યાં પીટર ડેનબર્ગને એક સિદ્ધ મહાત્માનો ભેટો થઈ ગયો.
તે એ સિદ્ધ યોગીની નિશ્રામાં ત્યાં જ રહી ગયો. એમની પાસેથી સંસ્કૃત ભાષાનું જ્ઞાન મેળવ્યું અને ભારતીય યોગવિદ્યા શીખવાનો આરંભ કર્યો. ત્યાં રહીને એણે એમની પાસેથી એ પણ જાણકારી મેળવી કે ઈસુ ખ્રિસ્તે પણ ભગવાન બુદ્ધ પાસેથી યોગવિદ્યાનું જ્ઞાન ગ્રહણ કર્યું હતું! પીટરે એના ગુરુને પૂછ્યું - ‘શું તમે મને પણ એવું જ્ઞાન આપી શકો?’ ગુરુએ એમની અહર્નિશ સેવા કરતા અને નિરંતર યોગસાધનામાં નિરત રહેતા એમના એ શિષ્યને એ વિદ્યા શીખવી. પીટરે એ વિદ્યા ગ્રહણ કરી એને સિદ્ધ કરવા કઠોર સાધના કરી. એ સિદ્ધિ મેળવ્યા પછી બીજા યોગીઓ અને મહાત્માઓને મળતો મળતો હિમાલય ખેડીને છેવટે પાછો પોતાના દેશમાં પાછો ફર્યો.
યોગ રૂપી પારસમણિનો સ્પર્શ થયા પછી પીટર સામાન્ય વ્યક્તિ ના રહ્યો. એ અલૌકિક તેજથી યુક્ત થઈ આઘ્યાત્મિક પુરુષ બની ગયો. તે લોકોને યોગની અદ્ભુત સિદ્ધિઓની વાત કરતો તો તે અચંબામાં મૂકાઈ જતા. તેમાંથી કેટલાકે તો હઠ પકડી - ‘તમે હિમાલય જઈને આ યોગવિદ્યા શીખી આવ્યા તો અમને એનો કોઈ ચમત્કાર બતાવો.’ પીટરે જણાવ્યું - ‘આ વિદ્યા માનવતાના કલ્યાણ માટે છે. બને ત્યાં સુધી એનું પ્રદર્શન ના કરાય.’ કેટલાક નાસ્તિક કહેવા લાગ્યા - ‘આ બધી પુસ્તકની વાતો હોય. વાસ્તવમાં આવું કશું બની ના શકે. અમે જ્યાં સુધી નજર સામે એ બનતું જોઈએ નહીં ત્યાં સુધી એ માનીએ નહીં. કદાચ, ભૂતકાળમાં એવા કોઈ સિદ્ધ પુરૂષ થયા હોય એવું બને પણ અત્યારે તો કોઈ એવા દેખાતા નથી.’ પીટરે એમને સમજાવ્યું કે ઈસુ ખ્રિસ્ત વધસ્તંભ પર શરીર પર ખીલા ઠોકાવા છતાં હસતા રહ્યા અને વેદનારહિત સ્થિતિ અનુભવતા રહ્યા એ પણ એમણે ભગવાન બુદ્ધ પાસેથી શીખેલી યોગવિદ્યાનો પ્રભાવ હતો. પેલા નાસ્તિક અને બુદ્ધિવાદી લોકો કહેવા લાગ્યા - ‘અમે વાતોમાં માનતા નથી. યોગમાં એવી શક્તિ હોય તો તું જ એનો પરિચય આપને? તું એનો કોઈ નમૂનો બતાવ તો અમે માનીએ, નહીંતર અમે સમજીશું કે આ નરી ગપ્પાબાજી છે!’
પીટર યોગીપુરૂષો વિશે એમની ટીકા અને નિંદા સાંભળી ના શક્યો. તેણે લોકોને પૂછ્યું - ‘બોલો, તમારે કઈ સિદ્ધિ જોવી છે?’ કેટલાક બોલી ઊઠ્યા - હમણા તેં જેની વાત કરી એ જ સિદ્ધિ બતાવ. ઈસુ ખ્રિસ્તની જેમ તું પણ વધસ્તંભ પર જડાઈ શકે છે અને હસતો રહી શકે છે?’ પીટરે એમના આહ્વાનને સ્વીકારી લીઘું અને એમને કહ્યું - ‘હું જરૂર વધસ્તંભ પર ચડીશ. તમે મારા શરીર પર ખીલા ઠોકજો અને હું હસતો રહીશ. એ પહેલાં હું ધગધગતા અંગારા ઉપર ખુલ્લા પગે ચાલી બતાવીશ.’
૨૮ જુલાઈ ૧૯૬૯નો દિવસ આ યોગ નિદર્શન માટે નક્કી કરાયો. હજારો માણસો એ દિવસે એકત્રિત થયા. એક ખુલ્લા મેદાનમાં આ માટે તૈયારી કરવામાં આવી. ત્યાં લાઉડસ્પીકરો પણ ગોઠવાઈ ગયા, જેથી બધા એ કાર્યક્રમની વાતચીત સાંભળી શકે. બુદ્ધિજીવીઓ, નાસ્તિકો, વિજ્ઞાનીઓ, તબીબો અને શ્રદ્ધાળુઓ બધા ત્યાં હાજર હતા. પહેલાં પીટરે અંગારા પર ચાલવાનો પ્રયોગ બતાવ્યો. કોલસાને સળગાવી અત્યંત લાલચોળ બનાવાયા પછી એને જમીન પર પાથરી એનો પટ બનાવી દેવામાં આવ્યો. બે-ચાર નાસ્તિકજનોએ તો એના પર પગનો અંગૂઠો મૂકી એ અંગારાની દાહકતાની ખાતરી પણ કરી જોઈ. પગનો અંગૂઠો મૂકતાં જ નીચેની ચામડી ભયાનક દાઝી ગઈ અને મોટો ફોલ્લો પડી ગયો.
પીટર ડેનબર્ગે એ અંગારાના પટ આગળ ઊભા રહી બન્ને હાથ જોડી દર્શકોનું અભિવાદન કરીને કહ્યું - ‘હું ઇશ્વર નથી કે ઇશ્વરનો દૂત પણ નથી. હું તો એક અતિ સામાન્ય માણસ છું. હું લોકોને એટલું જ બતાવવા માગું છું કે યોગ અને અઘ્યાત્મ વિદ્યા સાચી હકીકત છે. ઇસુ ખ્રિસ્ત વધસ્તંભ પર ચડ્યા અને શરીર પર ખીલા ઠોકાવા છતાં હસતા રહ્યા એ મનથી ઉપજાવી કાઢેલી ખોટી વાતો નથી.’ પછી તે ધગધગતા અંગારા પર પુષ્પોની પથારી પર ચાલતો હોય એમ ચાલવા લાગ્યો. બે-ચાર વાર આવી લટાર માર્યા પછી એણે બહાર આવી એના પગ બતાવ્યા તો પગના તળિયામાં ક્યાંય દાઝવાનું નિશાન નહોતું કે નાનો સરખો ફોલ્લો પણ નહોતો!
એ પછી આવ્યો વધસ્તંભ પર ચડવાનો પ્રયોગ! છ ફૂટનો લાકડાનો સ્તંભ બનાવવામાં આવ્યો હતો એ લાવવામાં આવ્યો. ઈસુ ખ્રિસ્તને જેવા વધસ્તંભ પર ચડાવવામાં આવ્યા હતા એવો જ વધસ્તંભ હતો એ! પીટર ડેનબર્ગ એના પર સૂઈ ગયો અને કોઈ મંત્રોચ્ચાર કરવા લાગ્યો. પછી એના હાથ અને પગમાં છ ઈંચના લાંબા જાડા ખીલા ઠોકી દેવામાં આવ્યા. એક ખીલો ડાબા પગના સાથળમાં પણ ઠોકી દેવામાં આવ્યો. આમ ખીલાઓથી એના શરીરને લાકડાના વધસ્તંભ સાથે જડીને એ વધસ્તંભને ઊભો કરી દેવામાં આવ્યો. આમ છતાંય ડેનબર્ગ હસતો જ હતો. એના મુખ પર ક્યાંય વેદના કે પીડાના ભાવ દેખાતા નહોતા. આ રીતે એને વધસ્તંભ સાથે અડધો કલાક સુધી જકડી રાખવામાં આવ્યો.
એ પછી ખાસ પ્રકારની મોટી પકડથી એના શરીરમાં ઠોકવામાં આવેલા ખીલા બહાર ખેંચી કાઢવામાં આવ્યા. એને વધસ્તંભ પરથી નીચે ઉતારવામાં આવ્યો. એના શરીરનું પરીક્ષણ કરવામાં આવ્યું તો એ જોઈને બધાને અપાર અચરજ થયું કે શરીર પર જ્યાં ખીલા ઠોકવામાં આવ્યા હતા ત્યાં કોઈ જ ઘા પડ્યાની નિશાનીઓ નહોતી. એ જગ્યાએ માત્ર બે-ચાર લોહીનાં ટીપાં જોવા મળ્યા હતાં!! ઘા જ નહોતા પડ્યા તો પછી દવા લગાવી પાટાપીંડી કરવાની તો ક્યાં જરૂર જ હતી? પાટાપીંડી કરવા કે સારવાર આપવા આપમેળે આગળ આવેલા ડોક્ટરો પણ આ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
આ પ્રસંગે પીટર ડેનબર્ગે ફરીથી ભારતીય યોગવિદ્યા અને અઘ્યાત્મ-જ્ઞાનની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું - ‘આ યોગવિદ્યા માનવીનો કાયાકલ્પ કરી શકે છે અને અનેકવિધ સિદ્ધિઓ આપી એને અમૃતત્વની અનુભૂતિ કરાવી શકે છે. જગતે ભારતની યોગવિદ્યા અને અઘ્યાત્મ ક્ષેત્ર પાસેથી ઘણું બઘું શીખવા જેવું છે.’
|
|
|
|
|
|
|
|
|
|
|
| |
| |
|
|
|
|
|
|
Gujarat Samachar © 2010, All Rights Reserved |
|
|
|