| Last Update : 04-Sept..-2010, Saturday |
|
|
|
|
|
|
| સડતું અનાજ, સડેલો વહીવટ |
| |
નવી દિલ્હી, તા. ૩
ગોદામોમાં સડતા અનાજમાંથી આશરે ૨૫ લાખ ટન અનાજ ગરીબી રેખા નીચે જીવતા પરિવારો માટે નક્કી થયેલા દરે વહેંચવાનો નિર્ણય લઈને સરકારે અત્યારે તો સર્વોચ્ચ અદાલતના ચુકાદાના અમલનો ખેલ પાડયો છે. પરંતુ અન્ન અને જાહેર વિતરણ મંત્રાલયના અફસરોના જણાવ્યા પ્રમાણે, ખરેખર ગરીબી રેખા નીચે જીવતા પરિવારો સુધી આ અનાજ પહોંચાડવાનું કામ ખરેખર દુષ્કર છે. કેમ કે, સૌથી પહેલા તો ગરીબી રેખાની વ્યાખ્યા વિશે જ એકમતી નથી. રાજ્ય સરકારોએ આપેલો ગરીબ પરિવારોનો આંકડો કેન્દ્ર સરકારના આંકડા કરતા અનેકગણો વધારે છે.
આ અફસરોના જણાવ્યા પ્રમાણે, સર્વોચ્ચ અદાલતે સરકારને ખરાબ સમય માટે અનાજ ખરીદવાનું કહ્યું છે. પરંતુ સરકાર આ રિવાજને વળગી રહે તો ખેડૂતોને તેમનો ધાર્યો ભાવ નહીં મળે અને રાષ્ટ્રની અન્ન-સુરક્ષા સામે ગંભીર ખતરો ઉભો થશે. હકીકતમાં સરકાર કૃષિક્ષેત્ર ટકાવી રાખવા માટે જ ખેડૂતો પાસેથી અનાજ ખરીદી રહી છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, અન્ન અને કૃષિ મંત્રી શરદ પવારની પાંખો કાપવા માટે વડાપ્રધાન પર દબાણ વધી રહ્યું છે. શરદ પવાર છેલ્લા ઘણા સમયથી અનેક વિવાદોમાં સપડાયેલા રહ્યા છે. થોડા સમય પહેલાં ખાંડના ભાવવધારા અંગે તેમણે કરેલા નિવેદનોથી હોબાળો થયો હતો. ખાદ્યાન્નના ફુગાવાની બાબતમાં પણ પવાર સદંતર નિષ્ફળ નીવડયા છે. અનાજના બગાડ બદલ કોંગ્રેસ હવે શરદ પવારને દોષ દઈ રહી છે.
એક વરિષ્ઠ કોંગ્રેસી નેતાએ કહ્યું હતું કે, 'શરદ પવારને મંત્રાલય કરતા આઇસીસીમાં વધુ રસ છે. દેશમાં જે રીતે અનાજનો બગાડ થઈ રહ્યો છે અને બીજી તરફ ભૂખમરો વ્યાપેલો છે, તે ધ્યાનમાં રાખતા દેશને એક પૂરા સમયના કૃષિ અને અન્ન મંત્રીની જરૃર છે.'
કોંગ્રેસના નેતાઓને સૌથી મોટી ચિંતા એ વાતની છે કે અનાજની વહેંચણી અંગે સર્વોચ્ચ અદાલતનો ચુકાદો ભાજપ માટે મોટું હથિયાર બની ગયો છે અને તેમાંથી એ મહત્તમ રાજકીય ફાયદો લેવાનો પ્રયાસ કરશે. ચુકાદાના દિવસે જ ભાજપે 'ગુનાઇત બગાડની કહાણી' દર્શાવતી તસવીરોનું પ્રદર્શન પક્ષની અશોક રોડ સ્થિત ઓફિસે યોજ્યું હતું.
ભાજપના પ્રમુખ નીતિન ગડકરીના જણાવ્યા પ્રમાણે, આ તસવીરો પક્ષના કાર્યકર્તાઓને મોકલી હતી. ગડકરીએ યુપીએ સરકારની મજાક કરતા કહ્યું હતું કે, તે સડેલા અનાજમાંથી કદાચ શરાબ બનાવવા ઇચ્છતી હશે. 'મેં હજુ સર્વોચ્ચ અદાલતનો ચુકાદો વાંચ્યો નથી' એવું નિવેદન કરનાર પવારની મશ્કરી કરતાં ગડકરીએ કહ્યું હતું, 'હવે બધું ઇન્ટરનેટ પર ઉપલબ્ધ હોય ત્યારે કોઈ મંત્રી આવું કઈ રીતે કહી શકે ?'- આ મુદ્દે ભાજપે એક પુસ્તિકા પણ પ્રકાશિત કરી હતી.
- ઇન્દર સાહની
|
|
|
|
|
|
|
|
|
|
| |
|
|
|
| |
|
|
|
| |
| Gujarat Samachar © 2010, All Rights Reserved |
|
|
|
|
|
|
|