મુંબઇ -
સ્વર કિન્નરી લતા મંગેશકરનો સુમધુર્ય સ્વર જે કામ ન કરી શક્યું તે એંગ્રી યંગમેન લેખાતા અમિતાભ બચ્ચનના ઘેરા સ્વરે કરી દાખવ્યું છે. બોલીવુડના શહેનશાહ લેખાતા અમિતાભ બચ્ચને પોતાના બ્લોગમાં મુંબઇની મેટ્રો ટ્રેન અંગે આકરા પ્રત્યાઘાત વ્યકત કરવાને પગલે અધિકારીઓએ ટ્રેનના પાટા પર દૃષ્ટિ અવરોધકો મૂકવાની તૈયારી દાખવી છે.
જેને પરિણામે ટ્રેનના પ્રવાસીઓને પાટા પાસેની ઇમારતો દૃષ્ટિભૂત ન થવા ઉપરાંત ધ્વનિ પ્રદૂષણને પણ કાબૂમાં રાખી શકાશે. સરકાર પરવાનગી પ્રદાન કરે તો એમએમઆરડીએ તથા મુંબઇ મેટ્રો વન પ્રા.લિમિટેડ (એમએમઓપીએલ)ના વરિષ્ઠ અધિકારીઓએ રેલેવે લાઇન પર 'વ્યુ કટર્સ' (દૃષ્ટિ અવરોધક) મૂકવાની તૈયારી દાખવી છે. જેને પરિણામે પ્રવાસીઓ નજીકની ઇમારતોમાં ડોકિયાં નહીં તાણી શકે એમ તેમણે જણાવ્યું હતું.
'વ્યુ કટર્સ' હકીકતમાં તો ગેલ્વેનાઇઝડ સ્ટીલની શીટ છે. જેના પર પોલિસ્ટીરીન નામે પદાર્થનું આવરણ ચઢાવવામાં આવ્યું હોય છે. જે ધ્વનિ પ્રદૂષણને નાથવાનું પણ કાર્ય કરે છે. બે મહિના અગાઉ સરકારે આર્થર રોડની સલામતીની જાળવણી માટે જેકોબ સર્કલ-ચેંબુર મેટ્રો લાઇન પર તેનો ઉપયોગ કરવાનું સૂચન કર્યુ હતું.
શનિવારે બિગ બીએ બ્લોગ પર મંતવ્ય રજૂ કરીને રાજકીય વાંવટોળ સર્જયો હતો. અમુક લોકાના મતાનુસાર આગામી મેટ્રો પ્રોજેક્ટ પર તેમણે તોપમારો કર્યો હતો. બ્લોગ પર અમિતાભ બચ્ચને મુંબઇમાં પ્રવાસીઓની સુવિધા તથા ખુશાલી માટે આકાર પામતી મેટ્રો રેલ યોજનાને પરિણામે પ્રાયવસી જોખમાતી હોવાનું જણાવ્યું હતું. અભિનેતાના આ પગલાને જુહુ, વિલેપાર્લા તથા વાંદરાના અનેક નિવાસીઓએ આવકાર્યુ હતું. પ્રાયવસી ઉપરાંત તેમના પાડોશમાં શાંતિ જોખમાતી હોવાનો ભય અનુભવનારા લોકોએ પ્રધાનમંડળને ઊંચાણ પર મેટ્રો બાંધવાની જગ્યાએ ભૂગર્ભ મેટ્રો બાંધવાની વિનંતી કરી હતી.
એમએમઓપીએલના અધિકારીઓએ આ સંદર્ભમાં અમિતાભ બચ્ચન તથા અન્ય રહેવાસીઓના ભયને દૂર કરવાનો પ્રયાસ કર્યો છે. ઉપનગરીય રેલવે તથા બસના નેટવર્કને પરિણામે રેલવેના પાટાની બાજુમાં રહેનારા લોકોના જનજીવન પર આડઅસર ન સર્જાય એ માટે પ્રધાનમંડળે તે સંદર્ભમાં વૈકલ્પિક પગલાં લીધાં હોવાની ખાતરી આપી હતી.
ચારકોપ-વાંદરા-માનખુર્દ તથા વર્સોવા-ઘાટકોપર લાઇન પર ક્રોંકીટની ઇમારતો તથા પાટા પર 'ઇલાસ્ટોમેરિક પેડ' મૂકતા હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું. જેને પરિણામે ટ્રેન દ્વારા ફેલાતા ધ્વનિ પ્રદૂષણ અને વાઇબ્રેશન્સ (કંપન)માં ઘટાડો થશે. આ ઉપરાંત ટ્રેનના પૈડા પર તેઓ 'ફલેન્જ લ્યુબ્રિકેશન'નો અમલ કરવાના હોવાનું પણ તેમણે કહ્યું હતું. જેને કારણે બ્રેક મારતી વખતે ઘરઘરાટીભર્યા સ્વરને દૂર કરી શકાશે. ધ્વનિના ફેલાવાને કાબૂમાં રાખવા માટે રેલવેના પાટા પર યુ આકારના કોંક્રીટના ગર્ડર બાંધવામાં આવશે.
એમએમઆરડીએના અગ્રણીના મતાનુસાર વ્યૂ કટર્સ જેવા અવરોધકને પરિણામે શહેરના બાહ્ય દેખાવ પર આડઅસરરૃપ તથા મેટ્રો માટે પણ કુરૃપ સાબિત થશે.
મેટ્રોને પરિણામે ધ્વનિ અને વાયુ પ્રદૂષણ ઓછું થશે એમ અગ્રણીએ જણાવીને કહ્યું હતું કે કોરીડોર પર પ્રવાસ કરનારા ૩૫ ટકાથી વધારે ઉતારુઓ વાહનમાં મુસાફરી કરવાના સ્થાને ટ્રેનમાં પ્રવાસ કરવાનું પસંદ કરશે. આ ઉપરાંત મેટ્રો ફક્ત પાંચ સેકંડમાં એક પોઇન્ટને આવરતી હોવાને કારણે પ્રવાસીઓ આજુબાજુમાં રહેલી ઇમારતોનું યોગ્ય રીતે અવલોકન નહીં કરી શકે એમ જણાવીને ઉમેર્યુ હતું કે ડબલ-ડેકર બસમાંથી પણ નિવાસસ્થાનો જોઇ શકાય છે.
|